જેઠવા હત્યા કેસ : સાંસદ દિનુ બોઘા સોલંકીની ધરપકડની ચર્ચાથી ઉત્તેજના

- CBIનો ઇનકાર : સોલંકી મુંબઈ જતાં ચર્ચાને વેગ મળ્યો
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યામાં મૃતકના પિતાએ માગેલી ફેરતપાસમાં સીબીઆઈએ જૂનાગઢના ભાજપના સાંસદ દિનુ બોઘા સોલંકીની કલાકો સુધી પૂછપરછ કરી હોવાની અને ત્યાર બાદ ધરપકડ કરી હોવાની ચર્ચાએ ગુરુવારે ભારે રાજકીય ઉત્તેજના જગાવી હતી. બીજી તરફ સાંસદ સોલંકી દિવથી જેટ એરવેઝની ફ્લાઇટમાં મુંબઈ ગયા હોવાથી આ ચર્ચાને વેગ મળ્યો હતો.
સાંસદની ધરપકડ ન કરી હોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું તો સીબીઆઇએ પૂછપરછ કરી હોવાની વાત પણ સાંસદનાં નજીકનાં સૂત્રોએ ફગાવી દીધી હતી. સાંસદ સોલંકીની પૂછપરછ અને ધરપકડની ચર્ચા વંટોળની જેમ ગુરુવારે બપોરે ફેલાઈ હતી. આ બાબતે સાંજે ધરપકડ ન થઈ હોવાની સાંસદનાં નજીકનાં સૂત્રોએ લાગતા-વળગતાને જણાવતાં અટકળોનો દોર ધીમો પડ્યો હતો.
ગેરકાયદે ખનીજચોરી સામે અવાજ ઉઠાવનારા આરટીઆઇ એક્ટિવસ્ટિ અમિત જેઠવાની અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ સામે જ સત્યમ્ કોમ્પ્લેકસના ગ્રાઉન્ડમાં ૨૦ જુલાઈ, ૨૦૧૦ના રોજ ૮.૪૫ કલાકે હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. આ કેસમાં સાંસદને કિલીનચીટ આપતાં અમિતના પિતાએ હાઇકોર્ટમાં ફેરતપાસની અને સીબીઆઈ દ્વારા થાય તેવી માંગ કરી હતી, જેથી કોર્ટે સીબીઆઇને તપાસ સોંપતાં થોડા સમય પૂર્વે સાંસદ દિનુ સોલંકીને સમન્સ પણ પાઠવવામાં આવ્યો હતો.
આ સંજોગોમાં જૂનાગઢનાં સાંસદની બુધવારે સીબીઆઈ પૂછપરછનો દોર કલાકો સુધી ચાલ્યો હોવાના નિર્દેશ મળ્યા હતા અને ધરપકડ તોળાઈ રહી હોવાની ચર્ચાઓ ઊઠી હતી. દરમિયાન ગુરુવારે બપોરે સાંસદ દિવથી જેટ એરવેઝની અઢી વાગ્યાની ફ્લાઇટમાં મુંબઈ જતાં દિનુ સોલંકીની ધરપકડની ચર્ચાએ ઉત્તેજના જગાવી હતી.
- પહેલાં ધરપકડના અને પછી માત્ર પૂછપરછના એસએમએસ વહેતા થયા
સીબીઆઈની ટીમનું આગમન અને સાંસદની પૂછપરછના ઘટનાક્રમ વચ્ચે સાંસદની ધરપકડ થઈ હોવાના એસએમએસ વહેતાં થતાં રાજકીય ગરમાવો સર્જાયો હતો. જોકે પછીથી સીબીઆઇએ ધરપકડ કરી ન હોવાનું અને માત્ર પૂછપરછ થઈ હોવાના સુધારા સાથેના એસએમએસ ફરતા થયા હતા.
- હમને કિસી કો એરેસ્ટ નહીં કિયા : સીબીઆઇના આઇજી
સાંસદની પૂછપરછ અને મુંબઈ લઈ ગયાની ગુરુવારે બપોર પછી જાગેલી ચર્ચા વચ્ચે સીબીઆઈના આઇજી અરુણ બોતરાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હમને કિસી કો એરેસ્ટ નહીં કિયા હૈ.
- સાંસદની ધરપકડના અહેવાલ પાયાવિહોણા : હરિભાઈ વિટ્ઠલાણી
દિનુ સોલંકીની ધરપકડની વહેતી થયેલી વાતો અને એસએમએસ અંગે સાંસદના મિત્ર અને કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિટ્ઠલાણીએ કહ્યું હતું કે ત્રણ દિવસથી હું તેમની સાથે છું. બે દિવસમાં તેમની કોઈ પૂછપરછ થઈ નથી તેમજ સાંસદને અંગત કામે મુંબઈ જવાનું હોઈ બપોરે દિવ એરપોર્ટ પર મૂકવા પણ હું ગયો હતો. તેથી ધરપકડના અહેવાલ પણ પાયાવિહોણા છે.
- સીબીઆઈની પૂછપરછના કેન્દ્રમાં ‘દિવ’
બુધવારે અમિત જેઠવા હત્યા કેસમાં સાંસદની ૨૪ કલાકમાં બે-બે વાર પૂછપરછ થઈ હોવાનું માનવામાં આવે છે. સીબીઆઈની ટીમે દિવમાં નાગવા બીચ પાસેની એક હોટલમાં આ પૂછપરછ કરી હોવાની પણ લોકમુખે ચર્ચા ચાલી હતી.






