ધ્રાંગધ્રાના રાજચરાડી ગામ પાસે પાંચ ઘૂડખરોના નર્મદા કેનાલમાં મોત થવાનો અને ૧૧ ઘૂડખરોને બચાવી લેવાના બનાવથી ચકચાર ફેલાઇ હતી ત્યારે પાંચ ઘૂડખરોના મોતની તપાસ ઠેરની ઠેર રહેતા જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
દેશમાં એકમાત્ર કચ્છના નાના રણમાં ઘૂડખર અભયારણ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ઘૂડખરને અમૂલ્ય પ્રાણીનો દરજજો આપવામાં આવ્યો છે ત્યારે તા. રપ જાન્યુઆરીના રોજ ૧૬ ઘૂડખર રાજચરાડી અને હીરાપુર વચ્ચેની નર્મદા કેનાલમાં પડી ગયા હતા. જેમાંથી પાંચ ઘૂડખરોના સાયફનમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. આ બનાવને પગલે રાજચરાડીમાં વન વિભાગ અને અભયારણ્ય વિભાગના અધિકારીઓએ ૧૧ ઘૂડખરોને બચાવી લીધા હતા. જેમાં પાંચ ઘૂડખરોના મોતના તપાસના આદેશો છુટતા ઘૂડખર અભયારણ્યના ડીએફઓ જે.એ.ચૌધરી, આર.એફ.ઓ. કરમટા દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ત્યારે આ તપાસ ગોકળગાયની ગતિએ ચાલતા જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે કશિનભાઇ પરમારે જણાવ્યું કે, દેશની શાન સમા અમૂલ્ય પ્રાણી પાંચ ઘૂડખરના મોત થયા બાદની તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે. આ ઘૂડખરોના મોત પાછળ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી અમારી માગ છે.
આ અંગે ઘૂડખર અભયારણ્યના આર.એફ.ઓ. કરમટાએ જણાવ્યું કે, ઘૂડખરના મોત અંગેના બનાવની તપાસ ચાલી રહી છે. કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર મોતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેની તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે.