- મૂળ ભાવનગરી દિગ્દર્શક જશવંત ગાંગાણીની સિદ્ધી
- બેસ્ટ પ્રોડ્યુસર અને ડાયરેકટર તરીકે પસંદગી થઇ
- મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરાયો
- સુરતના જશવંત ગાંગાણીને ૩જી મેના રોજ મુંબઇમાં દાદા સાહેબ ફાળકે એકેડેમી એવોર્ડથી સન્માનિત કરાયા
- ગાંગાણીની પ્રથમ ફિલ્મ ‘મન સાયબાની મેડીએ’ એ સિલ્વર જ્યુબિલી કરી હતી
આજથી લગભગ 37 વર્ષ પહેલા એક યુવાન રોજગારીની તલાસમાં ભાવનગરથી સુરત આવી પહોંચ્યો. અહીં આવી તેને હીરા ઘસવાનું કામ મળ્યું. પરંતુ તેનું કલાકાર મન લેખન જેવી પ્રવૃત્તિમાં વધુ લાગતુ હોવાથી તે હીરા ઘસવાના વ્યવસાય સાથે સાથે વાર્તા લેખન અને ગીલલેખન કરવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે આ યુવાને ફિલ્મ બનાવવાનું વિચાર્યું જેની સ્ટોરી પણ તેમણે લખી અને ગીતો પણ, સાથે આ ફિલ્મના તેઓ પ્રોડ્યુસર પણ હતા અને ડાયરેક્ટર પણ. આ ફિલ્મનું નામ હતું 'મન સાયબાની મેડીએ', અને આ ફિલ્મ બનાવનાર એ યુવાનનું નામ હતું જશવંત ગાંગાણી.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોખરાનું સ્થાન ધરાવતા સુરતના જશવંત ગાંગાણીને તાજેતરમાં દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડથી સન્માનિત કરાયા છે. સુરતી જશવંત ગાંગાણીની પસંદગી બેસ્ટ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર માટે કરવામાં આવી હતી.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે આપેલા યોગદાનની કદર કરીને મુંબઈ સ્થિત દાદા સાહેબ ફાળકે એકેડમી દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી. મુંબઈમાં 3જી મેના રોજ વિલે પાર્લે (વેસ્ટ)ના ભાઈદાસ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગાંગાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડ વિજેતા જશવંત ગાંગાણી મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ગામના વતની છે. ૧૯૭૩માં સુરતમાં હીરા ઘસવા આવેલા ગાંગાણીએ સાથે સાથે સ્ટોરી રાઇટિંગ અને ગીતો લખવાનું શરૂ કર્યું. તેમણે ૩૫ જેટલી ફિલ્મોમાં વાર્તા અને ગીતો પણ લખ્યાં છે. રાઇટર,ગીતકાર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરીકે તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘મન સાયબાની મેડીએ’ હતી. આ ફિલ્મે સિલ્વર જ્યુબિલી કરી હતી અને સાત એવોર્ડ પ્રાપ્ત થયા હતા. ગાંગાણી પ્રોડક્શનના બેનર હેઠળ ૬ ગુજરાતી ફિલ્મો અને એક સિરિયલ ‘કરિયાવર’ ની ભેટ આપી છે. ઝી ટીવી પર પ્રસારિત આ કરિયાવરને ૭ એવોર્ડ મળ્યા હતા.
તેમની અન્ય સુપરહિટ ફિલ્મોમાં ‘મૈયરમાં મનડું નથી લાગતું’, ‘માંડવા રોપાવો મારા રાજ’, ‘મેં તો પાલવડે બાંધી પ્રિત’ વગેરેનો સમાવેશ થાય છે.
તેમની તમામ ફિલ્મો એવોર્ડની હકદાર બની હતી
ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન પ્રા. લિ. ધરાવનાર જશંવત ગાંગાણીએ સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારપછી મૈયરમાં મનડું નથી લાગતું, માંડવા રોપાવો મારા રાજ, મેં તો પાલવડે બાંધી પ્રીત, મૈયરમાં મનડું નથી લાગતું પાર્ટ-૨, મારા રૂડી રંગાણા સજના તમે જેવી ફિલ્મો બનાવી અને તમામ ફિલ્મો એવોર્ડની અધિકારી બની.
દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને એકેડેમી એવોર્ડ જુદા જુદા છે
દાદાસાહેબ ફાળકે એવોર્ડ ભારત સરકાર દ્વારા ભારતીય સિનેમા જગતના ભીષ્મ પિતામહ ગણાતા દાદાસાહેબ ફાળકેની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે ૧૯૬૯માં શરૂ કરાયો હતો. જ્યારે દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડ તેમના નામે શરૂ થયેલી દાદાસાહેબ ફાળકે એકેડેમી દ્વારા આપવામાં આવે છે. આમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડ જુદા છે.