ગલ્ફના દેશોમાં ‘રિટેઈલ કિંગ’ તરીકે ઓળખાતા ભારતીય બિઝનેસમેન મિકી જગતિયાનીને ગલ્ફના ધનવાનોની યાદીમાં સૌથી ધનવાન ભારતીય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ધ અરેબિયન બિઝનેસના આ સર્વેમાં મિકી જગતિયાનીની સંપત્તિ ૨.૬૫ અબજ ડોલર(અંદાજે R ૧૨૨ અબજ)ની દર્શાવાઈ છે. બીજા ક્રમ પર ન્યૂ મેડિકલ સેન્ટર(એનએમસી)ના સ્થાપક બી.આર. શેટ્ટી છે, જેમની સંપત્તિ તેમનાથી લગભગ એક અબજ ડોલર ઓછી છે.
જગતિયાનીનું લેન્ડમાર્ક ગ્રુપ હવે ખાડી દેશોનું સૌથી મોટું રિટેઈલ ગ્રુપ છે. આ ગ્રુપ ગલ્ફના ૧૫ દેશોમાં ૯૦૦ રિટેઈલ સ્ટોર ધરાવે છે અને તેનું વાર્ષિક ટર્નઓવર ૩.૨ અબજ ડોલર(અંદાજે R ૧૪૭ અબજ)નું છે. લેન્ડમાર્ક ગ્રુપના ૩૧,૦૦૦ કર્મચારીઓ છે. મધ્યપૂર્વના દેશોમાં રિટેઈલ સેક્ટરમાં જગતિયાની સૌથી શક્તિશાળી બિઝનેસમેન તરીકે ઊભર્યા છે. આ કંપનીની સ્થાપના બહરીનમાં ૧૯૭૩માં એક સ્ટોરથી થઈ હતી.
આ સર્વે અનુસાર ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ(જીસીસી)ની સૌથી ધનવાન ભારતીયોની યાદીમાં ત્રીજા ક્રમે જમ્બો ગ્રુપના સ્થાપક છાબરિયા ફેમિલી છે. તેમની સંપત્તિ ૧.૪૫ અબજ ડોલર (અંદાજે R ૬૭ અબજ)છે. લુલુ હાઈપરમાર્કેટ્સના બોસ યુસુફ અલી અને ઓમાન સ્થિત પીએનસી મેનન યાદીમાં સામેલ અન્ય બે ભારતીયો છે. યાદીમાં ગ્લોબલ એજ્યુકેશન મેનેજમેન્ટ સિસ્ટમ(જીઈએમએસ) ગ્રુપના સન્ની વાર્કે પણ સામેલ છે, જેમની સંપત્તિ ૬૫ કરોડ ડોલર(અંદાજે R ૩૦ અબજ)ની છે.
તાતા દેશનું સૌથી ધનવાન જુથ : અંબાણી બીજા ક્રમે
રતન તાતાના અનુગામીની શોધ શરૂ થઇ છે ત્યારે જ તાતા જુથ દેશનું સૌથી ધનવાન જુથ બની ગયું છે. તાતા જુથનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને R ૩,૭૧,૦૦૦ કરોડ થઇ ગયું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ બીજા ક્રમ પર મુકેશ અંબાણીનું રિલાયઇન્સ ઇન્ડસ્ટ્રીઝ જુથ આવે છે, જેનું માર્કેટ કેપ R ૩,૨૧,૭૫૦ કરોડ છે. ત્રીજા ક્રમ પર અનિલ અગ્રવાલનું વેદાંત જુથ છે, જેનું માર્કેટ કેપ R ૧,૩૫,૩૦૦ કરોડ છે. ચોથા ક્રમ પર અનિલ અંબાણીનું અડાગ જુથ છે, જેનું માર્કેટ કેપ R ૧,૨૫,૦૦૦ કરોડ છે.
પાંચમા ક્રમ પર સુનિલ ભારતી મિત્તલનું ભારતી ગ્રુપ છે. જેનું માર્કેટ ગ્રૂપ R ૧,૨૦,૫૦૦ કરોડનું છે. મુકેશ અંબણી અને અનિલ અંબાણી જુથ બદલાયેલા સંજોગોમાં જો આગામી સમયમાં એક થઇ જાય તો બંનેનું સંયુક્ત માર્કેટ કેપ સૌથી વધુ થઇ જાય. આ બંને અંબાણી જુથનું સંયુક્ત માર્કેટ કેપ R ૪,૪૭,૦૦૦ કરોડનું છે, જે તાતા જુથ કરતાં R ૭૭,૦૦૦ કરોડ વધારે થાય છે. પણ હાલના તબક્કે રતન તાતા જુથ દેશનું સૌથી મૂલ્યવાન જુથ છે.
રતન તાતા નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે જ તેમનું જુથ દેશનું સૌથી મોટું જુથ બની રહ્યું છે તે તેમના માટે ગર્વની બાબત છે. રતન તાતાએ તેમના અનુગામી પસંદ કરવા માટે સર્ચ કમિટીની રચના પણ કરી દીધી છે અને આ કમિટીએ કામગીરી પણ શરૂ કરી દીધી છે. ૧૯૯૧માં રતન તાતાએ તાતા જુથનું સુકાન સંભા¬યું હતું અને તેઓ ડિસેમ્બર ૨૦૧૨માં નિવૃત્ત થઇ રહ્યા છે. આટલા મોટા જુથના સુકાની નક્કી કરવામાં અને ત્યારબાદ તેમને તમામ કામગીરી સોંપતા દોઢ બે વર્ષનો સમય લાગી જશે.