કેનેડાની સુરક્ષા એજન્સીઓએ અલ-કાયદાના આતંકી હુમલાના ષડયંત્રનો ભાંડાફોડ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરવામાં આવેલા શકમંદોમાંથી એક ભારતીય છે. કેનેડાએ આ પહેલા વર્ષ 2006માં અલ-કાયદાના આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો હતો.
રોયલ કેનેડાઈ માઉન્ટેડ પોલીસે(આરસીએમપી) ‘ઓપરેશન સમોસા’ અતંર્ગત બુધવારે બે શકમંદોની ધરપકડ કરી હતી. જેમાંથી એક મિસબાહુદ્દીન અહમદ ભારતીય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અહમદ ઓટાવાની હોસ્પિટલમાં એક્સ-રે ટેક્નોલોજિસ્ટ તરીકે કામ કરતો હતો. જ્યારે અન્ય શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ હથિયારની ટ્રેનિંગ માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ ગયા હતાં. કેનેડાના ભૂતપૂર્વ રાજનાયક રોબર્ટ ફેરલે જણાવ્યું હતું કે અહમદે તેને જણાવ્યું હતું કે તેનો જન્મ ભારતમાં થયો છે, તેમજ તે લાંબા સમયથી સાઉદી અરેબિયામાં રહેતો હતો.
અહમદે ફેરલનું ઘર ભાડે રાખ્યું હતું. પોલીસ બીજા શકમંદ અહમદ અહસાનની પણ ધરપકડ કરી છે. બંને ઘટનાને અંજામ આપવા માટે વિદેશ જવાની તૈયાર કરી રહ્યા હતાં ત્યારે પોલીસ બંનેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ અંગે વધારે માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો.