કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સનાં આયોજન અને તૈયારીઓ માટે વરિષ્ઠ અધિકારીઓની એક પેનલ રચીને ભારતમાં યોજાનારી ગેમ્સ પરનો સંપૂર્ણ અંકુશ પોતાના હાથમાં લઈ લીધો છે તો સાથે સાથે ગેમ્સની આયોજન સમિતિના ચેરમેન સુરેશ કલમાડીની પાંખો કાપીને તેમની પાસેથી સત્તા આંચકી લીધી છે. આ ઉપરાંત સરકારે જાહેર એકમોને પણ ત્રીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં રોકેલાં નાણાં પરત લઈ લેવાનો આદેશ કર્યો છે.
દેશની પ્રતિષ્ઠાને લાંછન લાગી રહ્યું છે તેવી અનુભૂતિ થતાં જ સરકારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની તમામ સત્તા પોતાના હાથમાં લેવાની સાથે આયોજન સમિતિને નિષ્પ્રભાવી બનાવી દીધી છે. આ સાથે કલમાડી પાસેથી તમામ અધિકાર પણ સરકારે છીનવી લીધા છે અને હવે સરકારના દસ વરિષ્ઠ અધિકારીઓની પેનલ ગેમ્સનું સંચાલન કરશે તથા તેમની પસંદગી વડાપ્રધાન કાર્યાલય (પીએઓ) દ્વારા કરવામાં આવી છે.
હકીકતમાં સરકારે ગયા સપ્તાહે જ સુરેશ કલમાડીની સત્તા પર કાતર ફેરવીને આયોજનની જવાબદારી કેબિનેટ સચિવના અધ્યક્ષપદ હેઠળની સમિતિને સોંપી દીધી હતી પરંતુ ગુરુવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નવેદન બાદ કેન્દ્ર સરકારે સુરેશ કલમાડીને ગેમ્સથી અલગ કરી દીધા હતા. કલમાડી હવે માત્ર નામ ખાતર જ કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિના ચેરમેન રહી ગયા છે.
સોનિયા ગાંધીએ ગુરુવારે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સનાં આયોજનમાં તમામે સહકાર આપવાની જરૂર છે અને તેમાં દોષિતોને સજા થશે. દરમિયાન આવતા સપ્તાહે ખુદ વડાપ્રધાન મનમોહનસિંઘ કોમનવેલ્થ ગેમ્સનાં વિવિધ સ્ટેડિયમની મુલાકાત લઈને નિરીક્ષણ કરશે. રમત પ્રધાન એમ. એસ. ગિલે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ માઇક ફેનેલે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને મને આશા છે કે વડાપ્રધાન પણ તેની મુલાકાત લેશે. સરકારના નિર્ણય અંગે સુરેશ કલમાડીએ જણાવ્યું હતું કે તમામની મંજુરી બાદ જ હું ચેરમેન બન્યો હતો.
કોને કોને જવાબદારી સોંપાઈકેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિના ચેરમેન સુરેશ કલમાડી પાસેથી તમામ સત્તા આંચકી લઈને દસ વરિષ્ઠ અધિકારીઓને આ જવાબદારી સોંપી છે. એડશિનલ સેક્રેટરી સુબોધકુમાર કનેક્ટિવિટીને લગતી તમામ બાબતો પર દેખરેખ રાખશે. ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ અને અર્બન ડેવલપમેન્ટના મુદ્દા આર. સી. મિશ્રા સંભાળશે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમની જવાબદારી એડશિનલ સેક્રેટરી એસ. આર. રાવને સોંપાઈ છે. દિલ્હી યુનિ. કોમ્પ્લેકસની દેખરેખ શશી શેખર રાખશે. ધ્યાનચંદ અને ત્યાગરાજ સ્ટેડિયમની તૈયારીઓની જવાબદારી ગોપાલકૃષ્ણને સોંપાઈ છે. આર. કે. ખન્ના ટેનિસ સ્ટેડિયમની દેખરેખ રોહિત નંદાને હસ્તે રહેશે.