ગયા સપ્તાહે રશિયામાં હિન્દુઓના ધાર્મિક ગ્રંથ ગીતાને કારણે ઊભા થયેલા વિવાદને પગલે સંસદમાં ગરમાગરમી થાય તે સ્વાભાવિક હતું. શ્રીકૃષ્ણ તરફ આંગળી ઉઠાવનારને જડબાતોડ જવાબ આપવા લોકસભામાં તમામ યદુવંશીઓ એક થઈ ગયા હતા. લાલુ યાદવ, શરદ યાદવ, હુકમચંદ યાદવ ઉપરાંત કદાચ કોઈ એવો યાદવ નેતા નહતો કે જે યદુવંશ શીરોમણી ગણાતા શ્રીકૃષ્ણનું અપમાન કરનાર રશિયાને આડે હાથે લેવા ન માગતો હોય. વિપક્ષના મોટા ભાગના નેતાઓ ગૃહમાં હાજર રહી વિદેશમંત્રીના નિવેદનની માગણી કરી રહ્યા હતા તે જ સમયે વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ સંસદમાં પોતાની ઓફિસમાં ગીતાને વાંચી રહ્યા હતા. ૭૦૦ શ્લોક ધરાવતી ગીતાનું એક લોકેટ તેમના પતિએ તેમને તેમના લગ્ન જયંતી નિમિત્તે ભેટ આપ્યું હતું. ગૃહની અંદર અને બહાર માત્ર લોકપાલ વિધેયકની ચર્ચા ચાલતી હતી. તે સમયે ગીતાના અપમાનનો મુદ્દો ઊભો થતા કદાચ તેમને એ વાતનું ગૌરવ હતું કે તેમની સોનાની ચેનમાં ગીતાનું લોકેટ લટકી રહ્યું છે.
સંસદમાં પ્રચાર નહીં
છેલ્લા થોડા દિવસો દરમિયાન ટીમ અણ્ણા અને ત્યારબાદ ડર્ટી પીકચરના હીરો ઇમરાન હાશ્મી દ્વારા સંસદમાં મીડિયા સાથે કરાયેલી વાતચીત અંગે સરકારે કડક વલણ અપનાવ્યું છે. સંસદમાં આવીને તેનો એક મંચ તરીકે ઉપયોગ થતો હોવાનું જણાતા સંસદમાં પ્રવેશવા માટે ઇશ્યૂ થનારા પાસ ઉપર સ્પષ્ટપણે દર્શાવાયું છે કે જે બહારની વ્યક્તિ સંસદમાં પ્રવેશે તેણે ત્યાં મીડિયા સાથે વાતચીત કરવી નહીં. તેનો વાસ્તવિક અમલ થાય તે માટે વોચ એન્ડ વોર્ડના કર્મચારીઓને આદેશ પણ અપાયા છે કે સંસદ પરિસરમાં માત્ર સાંસદ, મંત્રી જ મીડિયા સાથે વાતચીત કરે.
તમામ પ્રવક્તા ચૂપ રહેશે
હાલમાં જ એક ડઝન જેટલા મંત્રીઓને સરકારે પ્રવક્તા બનાવી દીધા હતા. આ સાથે જ એવું પણ કહેવાયું હતું કે સરકારની કોઈ પણ નીતિ, કાર્યક્રમ કે પગલા અંગે તેઓ સરકારનો પક્ષ રજુ કરશે પરંતુ આ વાતનો લાંબો સમય અમલ ચાલુ રહી શક્યો નહીં. સંસદમાં જ્યારે લોકપાલ વિધેયક રજુ કરાયું તો સરકારના એક પણ પ્રવક્તા આ પગલાને જાહેરમાં સાચું કે ખોટું જણાવવા ઉપલબ્ધ ન હતા. જોકે કોંગ્રેસના પ્રવક્તા જરૂર આ માટે તત્પર હતા. એ સાચું જ છે કે પક્ષ સરકાર કરતા વજનદાર હોય છે.
નાણા મંત્રાલયના ચિત્રો પર નજર
કેબિનેટમાં તૃણમૂલ કોંગ્રેસના એક માત્ર સભ્ય નાણામંત્રાલયમાં જઈ નાણામંત્રી પ્રણવ મુખરજીને મણ્યા વિના જ પરત ફયાઁ હતાં. જાણવા મળ્યું કે તેઓ કોઈ ખાનગી કારણોસર નાણામંત્રાલયમાં ગયા હતા. પોતાના કુટુંબ સાથે આ મંત્રી નાણામંત્રાલયના વેઇટિંગ રૂમમાં લગાવાયેલા પેઇન્ટિંગ અને સોફા જોવા આવ્યા હતા. જેથી આવા જ પેઇન્ટિંગ અને સોફા તેઓ પોતાની ઓફિસમાં મૂકાવી શકે. પરંતુ આ માટે પહેલા ઘરના ગૃહમંત્રાલયની મંજુરી લેવી જરૂરી હોવાથી તેમનો પરિવાર પણ સાથે આવ્યો હતો.