વિશ્વ હિંદુ પરિષદે કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમની ભગવા આતંકવાદ સંદર્ભેની ટિપ્પણી પર તેમની ટીકા કરી છે. વિશ્વ હિંદુ પરિષદે ચિદમ્બરમ આ મુદ્દે માફી માગે તેવી માગણી પણ કરી છે.
વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાએ કહ્યું છે કે ગૃહમંત્રીએ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માગવી જોઈએ. જો ગૃહમંત્રી એવું ન કરે તો વડાપ્રધાને તેમને મંત્રીમંડળમાંથી હટાવી દેવા જોઈએ.
જન્માષ્ટમીના અવસરે એક શોભાયાત્રાને લીલી ઝંડી દેખાડીને રવાના કરતી વખતે તેમણે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વિશ્વ હિંદુ પરિષદની પ્રતિબદ્ધતા ફરી એક વખત જાહેર કરી હતી.
તોગડિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ દ્રઢપ્રતિજ્ઞ છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજીત આ યાત્રામાં ગુજરતાના નાણાંમંત્રી વજુભાઈ વાળા અને સાંસદ વિજય રૂપાણીએ પણ ભાગ લીધો હતો.