વિદેશમાં કાળા નાણા જમા કરાવનારા ઉદ્યોગપતિઓ અને નેતાઓ સામે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાય છે. દિલ્હીના આવકવેરા ખાતા દ્વારા વિદેશમાં ખાતું ધરાવનારા ત્રણ સાંસદોને નોટિસ ફટકારવામાં આવી છે. આ સાંસદ હરિયાણા, યુપી અને કેરળના છે. તેમણે જીનેવાની એચએસબીસી બેન્કમાં નાણા જમા કરાવ્યા છે. આઈટી વિભાગ દ્વારા આ નાણા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક સાંસદના ખાતામાં R 200 કરોડ જેટલી જંગી રકમ જમા છે.
- કાળાનાણાના કાળા ચહેરા થશે બેનકાબ, ત્રણ સાંસદોને નોટિસ
- આઈટી વિભાગે નથી આપ્યા નામ
- ટ્વિટર પર વરૂણ ગાંધીએ ઠાલવ્યો પુણ્યપ્રકોપ
ભાજપના યુવા સાંસદ વરૂણ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે, વિદેશમાં કાળા નાણા જમા કરાવનારા સાંસદો પર ટેક્સ નાખવાથી કામ પુરૂ થઈ જતું નથી. આ પ્રકારના લોકોની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. ગેરકાયદેસર રીતે એકઠા કરવામાં આવેલા નાણાને દેશની સંપતિ જાહેર કરવા માટે કાયદો ઘડી કાઢવો જોઈએ. જો વિદેશમાં નાણા જમા કરાવનારા સાંસદોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં નહીં આવે, તો હું ટૂંક સમયમાં માહિતી અધિકાર હેઠળ અરજી દાખલ કરીશ. એ લોકોના નામ બહાર આવવા જોઈએ. "
મુંબઈના એક ઉદ્યોગપતિના ખાતામાં R 800 કરોડ જમા હતા. તેમણે સ્વીકાર્યું છે કે, જેનેવાના નાણા અંગે તેમની પૂછપરછ થઈ છે. એક અંદાજ પ્રમાણે વિદેશમાં રહેલા કાળા નાણાનું પગેરું દાબવા માટે આવકવેરા ખાતા દ્વારા છેલ્લા બે મહિના દરમિયાન ઓછા માં ઓછા પચાસ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ફ્રાન્સની સરકાર દ્વારા ત્યાંની બેન્કોના 700 ખાતા અંગે માહિતી આપવામાં આવી હતી. જેના આધારે આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉપરાંત અનેક ખાતા ધારકો પાસેથી રૂ ત્રણસો કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જો કે, આ યાદીમાંના અનેક લોકોએ વિદેશમાં ખાતું હોવાનો ઈન્કાર કર્યો છે. આમ છતાં ત્રણ જેટલા કેસમાં આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે. આવકવેરા ખાતા પાસે વિદેશમાં નાણા જમા કરાવનારા ભારતીયો અંગે લગભગ દસ હજાર જેટલી માહિતી છે. જેની ઉપર તપાસ ચાલુ છે.
આવી જ રીતે લિંચેસ્ટાઈન બેન્કમાં ગેરકાયદેસર રીતે નાણા રાખનારા અઢાર લોકો સામે આવકવેરા ખાતાએ પેનલ્ટી લગાવી છે. આ લોકોના લગભગ 25 કરોડ રૂપિયા વિદેશમાં જમા છે. જર્મનીના અધિકારીઓએ ખાતેદારોના નામ ભારતીય અધિકારીઓને આપ્યાં છે.
સરકારના કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે કહ્યું છે કે, તેઓ કરચોરીના કેસમાં આર્થિક દંડ ઠોકવાના બદલે ગુનેગારને સજા મળે તે માટે પ્રયાસ કરશે. હાલ સુધી ભ્રષ્ટાચાર નિવારણના કાયદા હેઠળ જ આવા લોકોની સુનાવણી થતી હતી. તે માત્ર લોકસેવક પુરતું મર્યાદિત હતું. આવકવેરા કાયદાને સિવિલ કેસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આથી, કરચોરી કરનારા લોકો પેનલ્ટી ભરીને છુટી જાય છે.
હવે આવકવેરા ખાતાએ કરચોરો અને વિદેશમાં કાળા નાણા જમા કરાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કરચોરી કરનારા લોકોને માત્ર પેનલ્ટી જ નહીં પરંતુ, પાંચ થી દસ વર્ષ સુધીની સજા થાય તે પ્રકારની જોગવાઈઓ કરવાની તૈયારી, આવકવેરા ખાતાએ કરી લીધી છે.
જો કે, મોડેથી સીબીડીટી દ્વારા આ મતલબના અહેવાલોને રદ્દિયો આપી દીધો હતો અને કહ્યું હતું કે, કોઈપણ સાંસદને સમન્સ ફટકારવામાં નથી આવ્યા. આ પ્રકારના અહેવાલો પાયાવિહોણા છે.
તમારો મત
શું તમને લાગે છે કે, આવકવેરા ખાતું નિષ્પક્ષ બનીને કામગીરી કરી શકશે ? સરકારના ભાગીદાર ન હોય તેવા પક્ષના સાંસદોને જ નિશાન બનાવવામાં આવશે, શાસક યુતિના પક્ષોના સાંસદોને નોટિસ ફટકારવામાં આવશે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.