અંકિત-રુચિએ સમાજમાં નવો ચીલો પાડ્યો : આઠમો ફેરો કન્યા ભ્રૂણહત્યા રોકવા અને નવમો ફેરો ભ્રષ્ટાચાર નાબૂદી માટે ફર્યા
ભોપાલના શાહપુરમાં એક અનોખા લગ્ન થયાં છે. જેમાં વર-વધૂએ નવ ફેરા ફરીને પ્રભુતામાં પગલાં માંડ્યાં છે.વરઘોડિયાઓએ આઠમો ફેરો કન્યા ભ્રૂણહત્યા અને નવમો ફેરો ભ્રષ્ટાચારને રોકવા માટે લીધો હતો. નવદંપતીએ આ નવ ફેરા, રાજ્ય સરકારના બેટી બચાવો અભિયાન અને અણ્ણા હજારેના જનલોકપાલ લાવવા અને ભ્રષ્ટાચાર નાબૂદી આંદોલનથી પ્રેરાઇને કર્યા છે.
શાહપુર નિવાસી અંકિત નીખરા(૨૮ વર્ષ)ને સ્વીટ્સનો વેપાર છે. તેનાં લગ્ન દેપાલપુર(ઇન્દોર) નિવાસી રુચિ સાથે થયાં હતાં.શનિવારે અંકિત-રુચિની લગ્નની સાત ફેરાની રસમ પૂરી થઇ રહી હતી, ત્યારે જ બંનેએ મળીને કન્યા ભ્રૂણહત્યા અને ભ્રષ્ટાચારને રોકવા માટે વધારાના બે ફેરા ફરવાનું નક્કી કર્યું હતું. લગ્ન પછી અંકિત-રુચિએ મીડિયાને જણાવ્યું હતું કે નવદંપતી પ્રથમ બાળકના રૂપમાં દીકરીને ઇચ્છે છે.
દેશની યુવાપેઢીને સંદેશ આપનારા આ લગ્ન બાદ નવવધૂ રુચિએ જણાવ્યું હતું કે પતિ સાથે લગ્નમંડપમાં વધારાના બે ફેરા ફરીને તે સમાજને બેટી બચાવો અભિયાન અને ભ્રષ્ટાચાર નાબૂદી આંદોલનનો સંદેશ આપવા માગે છે.