આ છે દિલ્હી: દાદાની ઈચ્છાઓનો પેચ
Agency | May 25, 2012, 22:41PM IST

નાણાપ્રધાન પ્રણવ મુખરજી સરકાર અને પક્ષ માટે હંમેશા સંકટમોચનની ભૂમિકામાં રહ્યા છે. પરંતુ આ વખતે રાયસીના હિલ પહોંચવા વ્યક્ત થયેલી ઇચ્છાને મુદ્દે પક્ષમાં પેચ રચાયો છે. દાદા વારંવાર સંકેત આપી ચૂક્યા છે કે તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા તૈયાર છે. સામાન્યપણે પ્રશ્નોના જવાબો ટાળનારા દાદાએ સંસદીય કાર્યમંત્રી પવન બંસલને ત્યાં યોજાયેલા ભોજન સમારંભ બાદ આ મુદ્દે પુછાયેલા તમામ પ્રશ્નોના હકારાત્મક જવાબ આપ્યા હતા.
લગભગ તમામ વિરોધપક્ષો પ્રણવના દાવાને સમર્થન આપી રહ્યા છે. વીતેલા દિવસમાં શિવસેનાના સાંસદે પણ સંસદ પરિસરમાં જણાવ્યું કે જો દાદાના નામ પર પસંદગી ઉતરશે તો બધાના મત મળશે. હવે સત્તાપક્ષના લોકો હતપ્રભ છે. ચૂંટણી અને ઉમેદવાર બંને જાહેર થયા વિના જ આટલું સમર્થન? લાગે છે કે અંદરોઅંદર કાંઇક ચાલી તો રહ્યું છે.
એક બાણથી બે નિશાન
અહેવાલ છે કે ઘઉંનું જંગી ઉત્પાદન થતાં નેતાઓના આંખનો કણો બની ચૂકેલા ભારતીય ખાદ્ય નિગમના વડા સિરાજહુસેનને કૃષિ મંત્રાલય મોકલી દેવામાં આવશે. ખાદ્ય મંત્રાલય પોતાની આ હિલચાલ દ્વારા એક તીરથી બે નિશાન સાધી રહ્યું છે. એક તો અનાજના સંગ્રહથી માંડીને ભંડારોમાં સડેલા અનાજના મુદ્દે જનતા અને નેતાઓમાં ઊભા થયેલા આક્રોશને શાંત કરી શકાશે અને પવાર છાવણીના મનાતા આઇએઅસ અધિકારીને પોતાને ત્યાંથી દૂર કરીને પવારના મંત્રાલયમાં જ પહોંચાડી દેવામાં આવશે. હવે લાગે છે સાઉથવાળા પણ હિન્દીના શબ્દસમૂહ 'એક તીરથી બે શિકાર’નો અર્થ સમજવા લાગ્યા છે.
કૌભાંડની જ્વાળા સચિવ સુધી પહોંચી?
ઉત્તરપ્રદેશના એનઆરએચએમ કૌભાંડની આગ દિવસે ને દિવસે વધી રહી છે. લખનઉમાં ભડકેલી આગની જ્વાળાઓમાં સૌથી વધુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી દાઝી રહ્યા હોવાનું લાગે છે. તત્કાલીન સંયુક્ત સચિવ અમિત મોહનપ્રસાદ પોતાનો કાર્યકાળ પૂરો કરીને ગૃહ કેડર પાછા જતા રહ્યા છે.
જ્યારે યુપીમાં ચોપડાઓની તપાસ કરવા અને ગેરરીતિઓનો ખુલાસો કરનાર મહિલા અધિકારીએ સંભવિત પૂછપરછ અને વિવાદથી હાથ અધ્ધર કરવા માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી દીધી છે. કૌભાંડની જ્વાળાઓ સ્વાસ્થ્ય સચિવને પણ દઝાડવાની છે. છેલ્લાં પાંચ વર્ષ સુધી એનઆરએચએમનો હવાલો તેમની પાસે જ હતો.
આઝાદનો વિદેશ પ્રવાસ લોકપાલ બિલની બલિ ચડ્યો
આમ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ગુલામનબી આઝાદ વિદેશ જવાની કોઇ તક જતી કરતા નથી પરંતુ પ્રથમ વાર વડાપ્રધાન ડો. મનમોહનસિંઘના આદેશ પર તેમને જિનિવામાં એક સપ્તાહ પસાર કરવાની તક ગુમાવવી પડી. થયું એમ કે, વિશ્વ આરોગ્ય સંગઠનની હેલ્થ એસેમ્બ્લીમાં આરોગ્ય પ્રધાનને જિનિવા સ્થિત મુખ્યાલયમાં એક સપ્તાહ પસાર કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બધી જ તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.
પરંતુ છેલ્લી ઘડીએ તેમને જાણ કરવામાં આવી કે, એ જ સપ્તાહમાં કેન્દ્ર સરકાર લોકપાલ બિલ રાજ્યસભામાં રજૂ કરવાની છે. સંસદના ઉપલા ગૃહમાં યુપીએના સભ્યો ઓછા છે તેથી આરોગ્યપ્રધાનને છેલ્લી ઘડીએ તેમની યાત્રા રદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સૌથી દુ:ખદ વાત એ છે કે, ભારે હંગામાને કારણે રાજ્યસભામાં લોકપાલ બિલ તો રજૂ થઇ ગયું પરંતુ પસાર થઇ શક્યું ન હતું અને તેમનો વિદેશ પ્રવાસ પણ રદ થયો.






