મદ્રાસ હાઈકોર્ટે સ્વયંભૂ સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ દુષ્કૃત્ય સહીત અન્ય આપરાધિક મામલામાં કાર્યવાહી પર વચગાળાની રોક લગાવી દીધી છે. પુડુચેરી પોલીસે આ મામલાઓમાં નિત્યાનંદ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. નિત્યાનંદે એક અરજીમાં આ આરોપોને રદ્દ કરવાની માગણી કરી હતી. નિત્યાનંદને કર્ણાટક હાઈકોર્ટમાંથી 11 જૂને શરતી જામીન મળ્યા હતા.
શું મામલો છે?
2 માર્ચે દક્ષિણ ભારતની મુખ્ય ટીવી ચેનલ સન ન્યૂઝ પર એક વિશેષ ટેલિકાસ્ટમાં સ્વામી પરમહંસ નિત્યાનંદને એક તમિળ અભિનેત્રી સાથે કઢંગી હાલતમાં દર્શાવતા વીડિયો ફૂટેજ પ્રસારીત કરાયા હતા. સ્વામી નિત્યાનંદ દક્ષિણ ભારતના જાણીતાં ધર્મગુરુ છે.
કોણ છે સ્વામી નિત્યાનંદ?
નિત્યાનંદ ધ્યાન લગાવીને સારવાર કરવાની પદ્ધતિ આધારીત ‘ધ્યાનપીતમ’ સંસ્થાના પ્રણેતા છે. આ સંસ્થાનું આધ્યાત્મિક મુખ્યમથક બેંગલુરુમાં છે. 1 જાન્યુઆરી, 1978ના દિવસે તમિલનાડુમાં જન્મેલા પરમહંસ સ્વામી નિત્યાનંદ ત્રણ વર્ષની ઉંમરથી યોગ, તંત્ર, આધ્યાત્મ વગેરેનો પ્રચાર કરે છે. વિવાદાસ્પદ વીડિયો ફૂટેજમાં સ્વામી નિત્યાનંદને તમિલ અભિનેત્રી સાથે આલિંગન કરતાં દર્શાવાયા છે. જો કે આ વીડિયો ફૂટેજ પ્રસારીત કરનાર ટીવી ચેનલે તમિલ અભિનેત્રીનું નામ સાર્વજનિક કર્યું નથી. આ વીડિયોને યૂ-ટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવી છે.
*