અલ્હાબાદમાં મળેલા મહા કુંભમેળાની કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની સૂચિત મુલાકાત રદ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશની કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો છે કે સુરક્ષા વ્યવસ્થા અંગે સપા સરકારે યોગ્ય સહયોગ નહિ આપવાના કારણે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. જોકે, કોંગ્રેસના આ આક્ષેપ બાદ રાજ્ય સરકારે આપેલી પ્રતિક્રિયામાં જણાવાયું હતું કે સોનિયા ગાંધી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કુંભમેળાની મુલાકાત લેશે તો તેઓને પૂરતી સુરક્ષા આપવામાં આવશે.
યુપીસીસીના પ્રવક્તા કિશોર વાષ્ર્ણયે જણાવ્યું છે કે સોનિયા ગાંધીની સૂચિત મુલાકાત માટે આવશ્યક સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં રાજ્ય સરકાર અસમર્થ હોવાની માહિતી ગઇકાલ રાતે મળતા અમને આઘાત લાગ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમે રાજ્યની સપા સરકાર તરફથી આવા પ્રકારના વર્તનની અપેક્ષા ક્યારેય રાખી નહોતી. આ મહા કુંભમેળો યોજવા માટે કેન્દ્ર તરફથી યોગ્ય સહાય મળી હોવા છતાં રાજ્ય સરકારે આવું વલણ અપનાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે પક્ષપ્રમુખ છેલ્લા એક સપ્તાહથી કુંભમેળામાં પવિત્રસ્નાન કરવા માટેની યોજના બનાવી રહ્યાં છે પણ તેઓ રાજ્ય સરકારના જવાબની રાહ જોઇ રહ્યા હતાં. છેવટે રાજ્ય સરકારે તેમને સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા દાખવી છે.
યુપીસીસીના પ્રવકતાએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર શરમ અનુભવે છે કેમ કે, કુંભમેળા માટે અપાયેલા ભંડોળનો યોગ્ય ઉપયોગ કરવામાં તે નિષ્ફળ ગઇ છે અને આ નાણાંનો ઉપયોગ પોતાના પ્રચાર માટે કરી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ ૨૦૦૧માં રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં સોનિયા ગાંધીએ કુંભમેળાની મુલાકાત લીધી હતી.
અહીંથી આગળ વાંચવા તસવીર સ્ક્રોલ કરો...