- સોનિયા ગાંધીએ ભલામણ કરતાં એરપોર્ટની અંદર ગાડી લઇ જઇ શકશે શંકરાચાર્ય
માત્ર દેશના નેતાઓ જ નહીં પરંતુ સાધુ-સંતોને પણ વિશેષ સુવિધા જોઇએ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મળેલી અરજીઓમાં ત્રણ સંતોએ એરપોર્ટ પર સુરક્ષાલક્ષી તપાસમાંથી છુટ આપવાની માંગ કરી છે. જેમાંથી એક અરજી માટેની ભલામણ ખુદ સોનિયા ગાંધીએ કરી જ્યારે બીજી અરજી માટેની ભલામણ કેન્દ્રીય રમત ગમત મંત્રી અજય માકને કરી છે.
કાંચીના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીએ એરપોર્ટ પર વિમાનના આવાગમન માટે બનેલા રનવે સુધી પોતાની ગાડી લઇ જવા માટેની મંજૂરી માંગી હતી. સોનિયા ગાંધીની ભલામણ સાથે તેણે પોતાની અરજી મોકલી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જે દિવસે શંકરાચાર્યની અરજી મળી તે જ દિવસે તેને મંજૂરી આપી દીધી.
મંત્રાલયના અધિકારીએ કહ્યું "જયેન્દ્ર સરસ્વતીને સ્વાસ્થ્ય કારણોને લીધે મંજૂરી અપાઇ છે. સુરક્ષા તપાસ બાદ તેની ગાડી અંદર જશે."
કેન્દ્રીય રમત ગમત મંત્રી અજય માકને ઝંડેવાલાન મંદિરના સંત લક્ષ્મદાસ મહારાજ માટે સુરક્ષાલક્ષી તપાસમાં છુટ આપવાની માંગ કરી હતી. માકને જે સાધુ માટે ભલામણ કરી છે તે અંગે કહ્યું છે કે તેનો પરિવાર ઝંડેવાલાન મંદિર સાથે વર્ષોથી જોડાયેલો છે અને સુરક્ષામાં છુટ ઘણા લોકોને મળેલી છે. માકને કહ્યું હતું કે "કોઇપણ વ્યક્તિ લક્ષ્મણદાસ મહારાજને અડી નથી શકતો કારણ કે તે કળિયુગના ભગવાન છે."
19 ડિસેમ્બરે લખાયેલા પત્રમાં માકને કહ્યું કે "કોઇપણ ભક્ત કે વ્યક્તિ મહારાજને ન તો અડી શકે કે ન તેની પાસે જઇ શકે છે એટલા માટે મહારાજને તપાસમાંથી છુટ આપવી જોઇએ."
એરપોર્ટ પર વિશેષ છુટની માંગ કરનારી ત્રીજી અરજી બેંગાલૂરૂના રામચંદ્રપુરા મઠ તરફથી આવી છે. જેમાં મઠના ગુરૂ સાથે લઇ જવાતા બોક્સને સુરક્ષા તપાસમાંથી છુટ આપવામાં આવે તેવી માંગ કરાઇ છે. આ બોક્સ દેવી-દેવતાઓનું હોવાનું મનાય છે.
મઠના સીઇઓએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને 26 ડિસેમ્બરે લખેલા પત્રમાં કહ્યું છે કે "અમને બોક્સના એક્સ રે સ્ક્રિનિંગ સામે કોઇ વાંધો નથી પરંતુ આ બોક્સને હાથોથી અડીને તેની તપાસ ન કરાય. મઠાધીશ સ્નાન કર્યા બાદ પોતે આ બોક્સ ખોલે છે."
આ પ્રકારની છુટ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, એસપીજી સુરક્ષાકર્મીઓને પણ અપાઇ છે. બીજીતરફ તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી માયાવતીને પણ આ પ્રકારની છુટ મળેલી છે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.