મહારાષ્ટ્રના માલેગાંવમાં વર્ષ 2006માં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ભગવા આતંકવાદની પરિભાષા બનાવાય હતી. `ભગવો આતંકવાદ`, `હિંદુત્વ આતંકવાદ` અને `હિંદ આતંકવાદ`ની પરિભાષાઓ હિંદુ કટ્ટરવાદીઓ દ્વારા હિંદુ રાષ્ટ્રવાદને ફેલાવા માટે કરતાં આતંકવાદી પ્રવૃતિઓના વિવરણ માટે વપરાય છે.
ગૃહમંત્રી સહીત ઘણાં લોકોને આશંકા છે કે માલેગાંવ વિસ્ફોટો બાદના ઘણાં વિસ્ફોટો માટે `ભગવો આતંકવાદ` જવાબદાર છે. માલેગાંવ વિસ્ફોટોના બે મુખ્ય આરોપીઓ લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહીત અને સાધ્વી પ્રજ્ઞા સિંહના નામ ભગવા આતંકવાદના પર્યાયરૂપ ગણાય રહ્યાં છે. જો કે તેમના પર કોર્ટમાં આરોપો સિદ્ધ થવાના બાકી છે.
ભગવા આતંકવાદની પરિભાષા પર અભિપ્રાયો વિભાજીત છે. કેટલાંક લોકો માને છે કે સરકારે મુસ્લિમ સમુદાયના તુષ્ટિકરણના પ્રયત્ન માટે તેને ઘડી કાઢી છે.
`ભગવા આતંકવાદ` સાથે સંકળાયેલા તથાકથિત વિસ્ફોટો
મોડાસા-માલેગાંવમાં 2006માં થયેલા વિસ્ફોટ
8મી સપ્ટેમ્બર, 2006માં માલેગાંવમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં બે સાયકલમાં મસ્જિદ નજીક શબ-એ-બારાત વખતે કેટલાંક મુસ્લિમ સમુદાયના લોકો માર્યા ગયા હતા. જ્યારે ગુજરાતના મોડાસામાં બાઈકમાં બોમ્બ વિસ્ફોટ થવાને કારણે 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
મક્કા મસ્જિદ વિસ્ફોટ
હૈદરાબાદની મક્કા મસ્જિદ પર 18મી મે, 2007ના રોજ શુક્રવારના દિવસે નમાજ વખતે વિસ્ફોટ કરવામાં આવ્યા હતો. આ વિસ્ફોટોમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 5 લોકો પોલીસ ફાયરિંગમાં માર્યા ગયા હતા.
અજમેર શરીફ દરગાહમાં વિસ્ફોટો
11મી ઓક્ટોબર, 2007ના રોજ રમજાન માસમાં ઈદના ત્રણ દિવસ પહેલા અજમેર શરીફની દરગાહમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા અને 17 લોકોને ઈજા થઈ હતી.
માનવામાં આવે છે કે આ તમામ વિસ્ફોટોમાં હિંદુ કટ્ટરપંથીઓનો હાથ હતો. જો કે તેની તપાસ ચાલુ છે અને આરોપ સિદ્ધ થવાના બાકી છે.