કોંગ્રેસના મહામંત્રી અને યુવા સાંસદ રાહુલ ગાંધીએ પોતાના મત વિસ્તાર અમેઠીની ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે મતદારોની ફરિયાદોના વરસાદનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધીએ શુક્રવારે ખાસ મતદારો સાથે સીધી મુલાકાત યોજી હતી જેમાં તમામ લોકોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા અને રાહુલ ગાંધીએ તેના નિરાકરણ માટે આશ્વાસન આપ્યું હતું.
પક્ષના સ્થાનિક નેતા અશોક દુબેએ જણાવ્યું હતું કે શુક્રવારે મુનશીગંજ ગેસ્ટ હાઉસમાં રાહુલ ગાંધીને તેમના મત વિસ્તાર અમેઠી ઉપરાંત આસપાસના અંદાજે બે હજારથી વધારે લોકો મળ્યા હતા. તેમણે પોતાના મતવિસ્તારની સમસ્યાઓ, સ્વાસ્થ્ય, નોકરી, પાણી અને વીજળીની કટોકટી જેવી સમસ્યા સહિત વિવિધ તકલીફો રાહુલ સમક્ષ વ્યક્ત કરી હતી.
રાહુલ ગાંધીએ તમામ લોકોને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તમામ લોકોની ફરિયાદો લીધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પક્ષના તમામ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા પણ હાકલ કરી હતી.
પ્રદેશ કોંગ્રેસ કમિટિના નવા ચૂંટાયેલા સભ્ય ચૌધરી રામઅધાર પાસીએ નવી કમિટિમાં દલિતોના પ્રતિનિધિત્વની ખાતરી આપવા બદલ રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેમણે અહીં ફાઈબર ટુ ધ પંચાયત અને ૩-જી સેવા સહિત સંખ્યાબંધ યોજનાઓ લોન્ચ કરી હતી.