વર્ષ 2004થી ચૂંટણી હારતા રહેલા જયલલિતા માટે વર્ષ 2011નું વર્ષ સારું સાબિત થઈ રહ્યું છે અને તેઓ ફરી એક વખત તામિલનાડુના મુખ્યપ્રધાન બનવા તરફ આગળ વધી રહ્યાં છે. વર્તમાન ચૂંટણીઓ દરમિયાન જયલલિતાએ તેમનો અહં છોડી દીધો હતો અને વિજયકાંત તથા ડાબેરી પક્ષો સાથે યુતિ કરીને જીત હાંસલ કરી છે.
-અભિનેત્રીથી નેત્રી બન્યા જયલલિતા-અહં છોડતા 'અમ્મા' જીત્યા
-વર્ષ 2004થી ચૂંટણી હારતા AIADMK માટે વર્ષ 2011નું વર્ષ સારું સાબિત થયું
63 વર્ષીય રાજનેતા જયલલિતા એઆઈએડીએમકેના સુપ્રિમો છે. કાર્યકર્તાઓ તેમને 'અમ્મા'ના હુલામણાં નામથી ઓળખે છે. વર્તમાન વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જયલલિતા એ ખાસ કાળજી રાખી હતી કે, ડીએમકે-વિરોધી મતો વહેંચાઈ ન જાય. આ માટે તેમણે નાના પક્ષો અને જ્ઞાતિ આધારિત સંગઠનો સાથે પણ ગઠબંધન કર્યું હતું.
નેત્રી બનતા પહેલા જયલલિતા સફળ અભિનેત્રી હતા. ડીએમકે-કોંગ્રેસ સીટોની વહેંચણી પર ચર્ચા કરી રહ્યાં હતા ત્યારે જયલલિતા ચૂંટણી ગઠબંધનો કરી રહ્યાં હતા. જયલલિતા એ તેમના પૈત્તૃક ગામ શ્રીરંગમથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો અને આજે ફરી એક વખત મુખ્યપ્રધાન નિવાસ સુધી પહોંચી ગયા છે. ડીએમકે દ્વારા મફત ચીજોની જાહેરાત કરવામાં આવી તો જયલલિતાએ પણ તેમની જ ભાષામાં જવાબ આપતા લેપટોપ મંગળસૂત્ર સહિતની જાહેરાતો કરી હતી. સામાન્ય રીતે ગાડીમાં બેસીને સભાઓ સંબોધતા જયલલિતાએ આ વખતની ચૂંટણી દરમિયાન લોકોની વચ્ચે જઈને પરસેવો પાડ્યો હતો. સમાન્ય રીતે કોઈપણ અન્ય નેતા સાથે એક મંચ પર નહીં આવતા જયલલિતાએ પ્રકાશ કારત, ચંદ્રબાબુ નાયડુ અને બીજા નેતાઓ સાથે સાથી પક્ષોના ઉમેદવારોનો પણ પ્રચાર કર્યો હતો. જો કે, વિજયકાંત સાથે એકમંચ પર આવવાના બદલે તેણીએ પ્રતિનિધિ મોકલી દીધો હતો.
જયલલિતાના અનુયાયીઓ મજબુત નિર્ણય શક્તિ અને વ્યક્તિત્વના કારણે તેણીને 'લોખંડી મહિલા' અથવા 'તામિલનાડુની માર્ગરેટ થ્રેચર' તરીકે ઓળખાય છે. એઆઈએડીએમકેના સ્થાપક એમ. જી. રામચંદ્રન તેણીને જાહેર જીવનમાં લાવ્યા હતા. વર્ષ 1982માં તેણી રાજ્યસભાના સાંસદ બન્યા અને ત્યારથી અત્યાર સુધી તેણીએ પાછું વળીને જોયું નથી. જો કે, વર્ષ 1987માં એમજીઆરે તેણીને પક્ષ વિરોધી કામોના કારણે તેમને પ્રચાર સચિવના પદ પરથી હટાવી દીધા હતા.
માત્ર પંદર વર્ષની ઉંમરે પરિવારને આર્થિક ટેકો મળે તે માટે કોનવેન્ટ સ્કૂલનો અભ્યાસ છોડનારા જયલલિતાએ ઘણાં ચઢાવ ઉતાર જોયાં છે. ત્રણ દાયકાની અભિનય કારકિર્દી દરમિયાન જયલલિતાએ ત્રણસોથી વધુ તામિલ, હિંદી, કન્નડ, અને તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું છે. એમજીઆર અને શિવાજી ગણેશન સાથેની જયલલિતાની ફિલ્મી જોડી ખૂબ વિખ્યાત હતી. જ્યારે એમજીઆર સરકારી કામોમાં વ્યસ્ત થઈ ગયા હતા ત્યારે તેમણે લોકો સાથેનો સંપર્ક સેતુ જળવાઈ રહે તે માટે જયલલિતાને પસંદ કર્યા. જો કે, એઆઈએડીએમકેના કદ્દાવર નેતાઓ આર. એમ. વિરપપ્ન અને સ્વ. એસ. ડી. સોમસુંદરમે એમજીઆરના પગલાનો જોરદાર વિરોધ કર્યો. જો કે, વર્ષ 1991માં જયલલિતા પ્રથમ વખત રાજ્યના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી બંને નેતાઓ તેણીના અનુયાયી બની ગયા.
1984માં કોંગ્રેસ-એઆઈએડીએમકેની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષનો ભવ્ય વિજય થયો. વડાપ્રધાન ઈંદિરા ગાંધીની હત્યા અને એમજીઆરની બિમારીના કારણે પક્ષને લાભ થયો. આગળ જતા એમજીઆર રાજ્યના મુખ્યપ્રધાન બન્યા અને બિમારીનો ઈલાજ કરાવવા માટે અમેરિકા ગયા. વર્ષ 1987માં તેમનું અવસાન થયું તે પછી થોડા સમય માટે એમજીઆરના પત્ની જાનકી મુખ્યપ્રધાન બન્યા. જો કે, જયલલિતાએ દાવો કર્યો કે તેઓ જ એમજીઆરના સાચા રાજકીય વારસ છે. તેમણે પક્ષમાં બળવો કરીને છેડો ફાળ્યો. તે સમયની ચૂંટણીમાં જયલલિતાના ફાંટાના 23 સીટો મળી જ્યારે એમજીઆરના કાયદેસરના પત્ની જાનકી માત્ર પોતે જ વિજયી થયા. વર્ષ 1991ની ચૂંટણીઓમાં એઆઈએડીએમકે એ કોંગ્રેસ સાથે યુતિ કરી. રાજીવ ગાંધીની તામિલનાડુમાં હત્યાનો બહોળો લાભ યુતિને મળ્યો. કારણ કે, ડીએમકેને એલટીટીઈનું સમર્થક માનવામાં આવતું હતું. આથી લોકોમાં ડીએમકે સામે ગુસ્સો ફાટી નીકળ્યો અને સત્તા પર જયલલિતાનું આગમન થયું. તેમની પ્રથમ ટર્મ દરમિયાન જયલલિતાએ તેમના દતક પીત્ર વી. એન. સુધાકરણનના લગ્ન ભવ્યાતિભવ્ય રીતે કર્યા હતા તેના કારણે ભારે વિવાદ થયો હતો. તેમણે તત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિંહરાવને 'અયોગ્ય' કહ્યાં હતા.
વર્ષ 2001માં તેઓ સત્તા પર પરત ફર્યા ત્યારે તેમણે સાથી પક્ષોની અવગણના કરવી શરૂ કરી દીધી. તેમણે સાથી પક્ષોને નારાજ કરીને કેટલાંક નિર્ણયો લીધા. જેમ કે, હડતાલ ઉપર ઉતરેલા બે લાખ કર્મચારીઓને એક સાથે બાંકી કાઢ્યા, લોટરી પર પ્રતિબંધ મુક્યો, ખેડૂતોને મફત વીજળી બંધ કરી દીધી, માસિક પાંચ હજાર રૂપિયા કરતા વધુની આવક ધરાવતા લોકોના રાશનકાર્ડ રદ્દ કરી દીધા. મંદીરમાં બલિ બંધ કરી દીધી, વીજળી અને બસભાડાના દર વધાર્યા, વર્ષ 2004માં લોકસભાની ચૂંટણી દરમિયાન ડીએમકે-કોંગ્રેસની યુતિ સામે તમામ 39 સીટો પર તેમનો કરૂણ રકાસ થયો. ત્યારબાદ તેમણે મંદીરોમાં બલીને મંજૂરી આપી અને ખેડૂતોને મફત વીજળી આપવી શરૂ કરી. છતાં પછીની વિધાનસભાની ચૂંટણીઓમાં તેમનો પરાજય થયો હતો. જયલલિતાને ટીકા બિલકુલ પસંદ નથી અને તેમણે અનેક સમાચારપત્રો પર તેમણે બદનક્ષીની ફરિયાદો કરી હતી.
તમારો મત
શું તમને લાગે છે કે, વધુ એક વખત જયલલિતા દ્વારા ધ્વંસાત્મક રાજકારણ હાથ ધરવામાં આવશે? કારણ કે તેઓ અગાઉ પણ આ પ્રકારની રાજનીતિ કરી ચૂક્યાં છે. શું એઆઈએડીએમકે સત્તા પર આવતા કરૂણાનીધિના પરિવાર દ્વારા હાથ ધરવામાં આવેલા કેટલાંક વિવાદાસ્પદ પ્રોજેક્ટ અને નિર્ણય પર જયલલિતાનો ડંડો પડશે? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.