કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે સાંસદોના કુલ પગારમાં ત્રણ ગણા વધારાને મંજુરીની મ્હોર મારી હોવા છતાં બિનભાજપી વિપક્ષી સભ્યોએ આ વધારા સામે અસંતોષ વ્યક્ત કરીને લોકસભામાં ભારે હંગામો મચાવ્યો હતો અને ગૃહની કાર્યવાહી ખોરવી નાંખી હતી. તેઓ પગાર વધારીને R ૮૦,૦૦૦ કરવાની માગણી કરી રહ્યા છે.
પગાર વધારાની માગણી સાથે રાજદના લાલુપ્રસાદ અને સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહની આગેવાની હેઠળ આ સાંસદોએ ભારે શોરબકોર અને હંગામો મચાવ્યો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી પહેલાં બે વાર અને ભોજનના વિરામ પછી દિવસભર માટે સ્થગિત કરવી પડી હતી. દરમિયાન રાજદ, સપા, બસપા, જેડી(યુ), શિવસેના અને અકાલીદળના સભ્યોએ ‘સાંસદોનું અપમાન બંધ કરો’ અને ‘સંસદીય સમિતિના અહેવાલને લાગુ કરો’ જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. આ સાંસદો ઇચ્છે છે કે તેમનો પગાર સરકારના સચિવના પગારથી એક રૂપિયો વધારે એટલે કે R ૮૦,૦૦૧ હોવો જોઇએ.
બિલ પસાર
પગાર વધારાના મુદ્દે સાંસદોના હંગામા વચ્ચે પહેલાં બપોરે ૧૨: ૦૦ કલાક સુધી ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું. ફરી પાછું ગૃહ મળ્યું ત્યારે લાલુ-મુલાયમની આગેવાની હેઠળ અસંતુષ્ટ સાંસદોએ સૂત્રોચ્ચાર કરીને ગૃહના મધ્યમાં પહોંચી ગયા હતા. આ ધાંધલ-ધમાલ વચ્ચે મૌખિક મતદાન દ્વારા ટ્રેડ માર્ક(એમેન્ડમેન્ટ) બિલ માટે રાજ્યસભા દ્વારા કરાયેલા સુધારાને માન્ય રાખ્યા હતા. આ ઉપરાંત કોઇપણ ચર્ચા-વિચારણા વગર મેડિકલ કાઉન્સિલ બિલ પણ પસાર કરાયું હતું. આ પગલાંનો ભાજપ અને જેડી(યુ)ના સભ્યોએ વિરોધ કરી તેને ‘લોકશાહીની હત્યા’ સમાન ગણાવ્યો હતો. ભારે શોરબકોર અને સૂત્રોચ્ચારો ચાલુ રહેતાં ઉપાધ્યક્ષ કારિયા મુંડાએ દિવસભર માટે ગૃહને મોકૂફ રાખ્યું હતું.
વર્તમાન સત્રમાં બિલ
વડાપ્રધાનની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં સાંસદોના પગાર વધારાને મંજુરી મળી ગઇ છે. આ સંબંધિત બિલ સંસદના વર્તમાન સત્રમાં રજુ થવાની સંભાવના છે. અગાઉ સર્વસંમતિ નહિ થવાના કારણે સાંસદોના પગાર વધારાનો મામલો ટળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક મંત્રીઓનું કહેવું હતું કે,ખેડૂતોના આપઘાત અને કોમનવેલ્થમાં ભ્રષ્ટાચારના આરોપોને નજરમાં રાખીને પગાર વધારો કરવો ઉચિત બાબત નહીં હોય.