સાંસદોની વર્તણૂંક શરમજનક, જનતા સાથે સરખામણી. દેશમાં ૭૭ ટકા લોકોની આવક ૨૦ રૂપિયા રોજ પણ નથી અને બીજી તરફ ત્રણસો સાંસદો કરોડપતિ છે
દેશમાં આમઆદમી ૧૦થી ૨૦ ટકા પગારવધારાથી પણ ખુશી મનાવે છે પરંતુ આપણા સાંસદો ખુદ પોતાનો પગાર ત્રણસો ગણો વધારી લીધા બાદ પણ ખુશ તો થતા જ નથી. આ વધારો થયા બાદ એક સાંસદને ભથ્થાં અને સુવિધાઓ ભેગી કરતાં સાડા ત્રણ લાખ માસિક પગાર મળશે. શું આ પગાર ઓછો છે? ભાસ્કરે ભૂતપૂર્વ સાંસદો અને વિશેષજ્ઞો પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવ્યો....
પગાર વધારે તો ભ્રષ્ટાચાર ઓછો
એક વાત તો સ્પષ્ટ છે કે આઝાદી પહેલાંની જેમ જનસેવકો હવે કોઈ મશિન માટે નહીં પરંતુ સારી કારકિર્દી માટે આ ક્ષેત્રે આવે છે. આથી બહેતર એ જ રહેશે કે કોઈ સ્વતંત્ર કમિશન તેમનો પગાર નક્કી કરે અને દર પાંચ વર્ષે તે ફરી નિધૉરિત કરવામાં આવે. સિંગાપોરમાં એવું માનવામાં આવે છે કે પગાર જેટલો વધારે હોય એટલો ભ્રષ્ટાચાર ઓછો થશે.
તેઓ પોતાના કર્તવ્ય પ્રત્યે વધારે ગંભીર બનશે. હું માનું છું કે વધારે પગાર હોય તેમાં કંઈ ખોટું નથી. તેનાથી તેઓ ઈમાનદારીથી કામ કરી શકશે. આપણે અહીં સવાલોના બદલે લાંચના કિસ્સા જોવા મળ્યા. પગાર વધ્યા બાદ આશા રાખી શકાય કે ફરી કદાચ આવી નોબત નહીં આવે. એતો સ્પષ્ટ છે જ કે સાંસદોના ખર્ચા બેફામ હોય છે. તેમના ક્ષેત્રથી આવતા લોકોનો પણ ભારે ખર્ચો તેઓ જ ભોગવે છે. આટલી મોંઘવારીમાં આ બધું કેવી રીતે શક્ય છે તે જોવું જરૂરી છે. દેશના અર્થતંત્રની સ્થિતિ સારી છે. આપણે આ ખર્ચ ભોગવી શકીએ તેમ છીએ. -યોગેન્દ્ર નારાયણ, ભૂતપૂર્વ સચિવ, રાજ્યસભા
અધિકારીઓની સરખામણી અયોગ્ય
હું એ દલીલથી સહમત નથી કે અધિકારીઓ કરતાં સાંસદોને વધારે પગાર મળવો જોઈએ. આ સરખામણી અયોગ્ય છે. આપણે જનસેવાના ઈરાદાથી જ રાજનીતિમાં આવીએ છીએ માટે અધિકારીઓ સાથે સ્પર્ધા કરવી ખોટી વાત છે. કામની સવલત પ્રમાણે યોગ્ય પગાર ચોક્કસપણે નક્કી કરવો જોઈએ. સાંસદોના ખર્ચા પહેલાં કરતાં વધ્યા છે. આથી સરવાળે કેટલી રકમ મળવી જોઈએ તે કોઈ સ્વતંત્ર સમિતિ અથવા પંચે જ નક્કી કરવું જોઈએ. પહેલાં પણ એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈ સમિતિ પગાર નક્કી કરે. પરંતુ વાસ્તવમાં આ બની શક્યું નહીં. એ વાત બિલકુલ સાચી છે કે આ મામલે વિચાર અને નિર્ણય માટે સરકારી અધિકારીઓના પગારપંચની જેમ કોઈ સ્થાયી વ્યવસ્થા, બંધારણીય માળખું રચવાની જરૂર છે. તેમને વધારે પડતો પગાર આપવાનો વિકલ્પ યોગ્ય નથી કારણ કે પગાર ગમે એટલો હોય દિલ્હી જેવા શહેરમાં ઘરનું ભાડું કેટલું હશે? કેટલું આપશે? આ વ્યાવહારિક નથી. - ડૉ. લક્ષ્મીનારાયણ પાંડે, છ વખત સાંસદ રહેલા ભાજપના નેતા
પોતે કેવી રીતે નક્કી કરી શકે છે?
આઇએએસ-આઇપીએસ અધિકારીઓના વેતન સાથે સરખામણી કરવાને બદલે સાંસદ જનતાની સ્થિતિ સાથે પોતાની તુલના કરે. દેશના ૭૭ ટકા લોકો દિવસે ૨૦ રૂપિયા કમાઈ શકતા નથી તેઓ આવી જનતાના પ્રતિનિધિ છે. તો અધિકારીઓ સાથે સરખામણી શા માટે? અને પોતાના વેતન માટે સંસદમાં હંગામો તો શરમજનક છે. લોક પ્રતિનિધિ છે તો પોતાના હિત માટે નહીં પરંતુ પ્રજાના મુદ્દે સંસદમાં હંગામો કરે. બંધ કરાવો. વેતન કેટલું હોવું જોઇએ, તે નક્કી કરનારા પણ સાંસદ કોણ હોય છે? વિશ્વમાં ક્યાંય આવું થતું નથી. સાંસદ પોતાનું વેતન નક્કી કરી રહ્યા છે તે હાસ્યાસ્પદ છે. કોઇ સ્વતંત્ર પંચ જ મોંઘવારી અને બજારની કસોટીઓના આધારે પગાર નક્કી કરે. એક સાથે મળનાર વેતનનો વિકલ્પ જરૂર દિલ્હીમાં બહારથી આવનાર સાંસદો માટે એક મુશ્કેલ વિકલ્પ હશે. દિલ્હીમાં જરૂરી આવાસ જેવી સુવિધાઓની જવાબદારી સરકારની હોવાનું જ યોગ્ય છે. - હન્નાન મૌલા, વરિષ્ઠ સીપીએમ નેતા
ત્રણસો સાંસદ તો કરોડપતિ છે
પોતાના વેતન અંગે સંસદમાં આવો હંગામો ગુંડાગર્દી સિવાય વધુ કંઇ જ નથી. આવું આચરણ આપણા લોક પ્રતિનિધિઓને જરાય શોભતું નથી. વેતનનો પ્રશ્ન છે ત્યાંસુધી પ્રતિષ્ઠિત અને અનુભવી લોકોની કોઇ સ્વતંત્ર વ્યવસ્થા તેમનું વેતન નક્કી કરે તે વધુ સારું છે.
તેઓ જાતે પોતાનું વેતન નક્કી કરનાર કોણ છે? આપણા ત્રણસો સાંસદ તો કરોડપતિ છે. તેઓ ઘણાં વ્યવસાયો, ઉદ્યોગો અને ધંધામાં સક્રિય રહીને પણ સાંસદ તો બની રહે છે. તેથી સરકારી અધિકારીઓ સાથે તુલના યોગ્ય નથી. સરકારી અધિકારી બીજું કામ કરી શકતો નથી પરંતુ એક વકીલ સાંસદ વકીલ તરીકેની પ્રેક્ટિસ તો ચાલુ રાખે છે. સંસદમાં આજે માલ્યા અને જિંદાલ જેવા ધનિકો પણ છે. તેમની માસિક આવક કરોડોમાં છે. મારી સલાહ છે કે, ત્રણ-ચાર લાખ રૂપિયા માસિક નક્કી કરીને તેમની પાસેથી બધી સુવિધાઓ પાછી લઇ લેવી જોઇએ. - સુભાષ કશ્યપ, બંધારણ નિષ્ણાત