રૂ. ૧૬,૦૦૦ના પગારમાં તગડો વધારો કરીને R ૫૦,૦૦૦નો પગાર કરી દીધા પછી પણ નારાજ સાંસદોને દર મહિને વધારાનું R ૧૦,૦૦૦નું ભથ્થું પણ મળશે. એટલું જ નહીં, આ R ૧૦,૦૦૦ના વધારાને કરમુક્તિ પણ આપી દેવાઈ છે. કેન્દ્રીય કેબિનેટે સોમવારે આ અંગે મંજુરી આપી દીધી છે.
વડાપ્રધાન મનમોહનસિંઘની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં દરેક સાંસદનું ઓફિસ ખર્ચ પેટે ભથ્થું R ૫૦૦૦ પ્રતિ માસ અને મતવિસ્તાર ખર્ચ પેટે ભથ્થું દર મહિને R ૫૦૦૦ વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારા સાથે જ હવે સાંસદોનું ઓફિસ ખર્ચનું ભથ્થું દર મહિને R ૪૫,૦૦૦ થઈ ગયું છે. મતવિસ્તાર માટે ખર્ચનું ભથ્થું પણ વધારીને R ૪૫,૦૦૦ કરી દેવાયું છે.
નાણામંત્રી પ્રણવ મુખરજીએ R ૧૦,૦૦૦ના આ વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તાત્કાલિક મંજુરી કરી દેવાયો હતો. જોકે રાજદ, સમાજવાદી પક્ષ અને જેડી(યુ)ના સાંસદોએ R ૮૦,૦૦૦ના પગારની માગણી ચાલુ જ રાખી હતી અને આ વધારાને સંસદનું અપમાન ગણાવીને હંગામો મચાવ્યો હતો.
આ ઉપરાંત સાંસદોને ખાનગી વાહન ખરીદવા માટે વ્યાજમુક્ત લોનની મર્યાદા પણ R ૧ લાખથી વધારીને R ૪ લાખ કરી દેવાઈ છે. એટલું જ નહીં, સાંસદોને તેમના મતવિસ્તારમાં પ્રવાસ માટે કિલોમીટર દીઠ R ૧૩નું વાહન ભથ્થું મળતું હતું તે વધારીને R ૧૬ કરી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે સાંસદોએ પોતાના પગારવધારાના મામલે ગત સપ્તાહે સંસદમાં ભારે હંગામો મચાવ્યો હતો અને શુક્રવારે તો તેમણે સમાંતર સંસદ પણ યોજી હતી. ભારે વિરોધ પછી કેબિનેટે સાંસદોનો પગાર વધારીને R ૫૦,૦૦૦ કરી દેવાની દરખાસ્તને મંજુરી આપી હતી. જોકે રાજદના લાલુપ્રસાદ યાદવ અને સપાના મુલાયમસિંહ યાદવ સહિતના સાંસદો R ૮૦,૦૦૦ના પગારની માગણીને વળગી રહ્યા હતા. આખરે શનિવારે પ્રણવ મુખરજી સાથે આ નેતાઓને બેઠક યોજાઈ હતી, જેમાં પ્રણવે ઘટતું કરવાની ખાતરી આપી હતી.
શૈક્ષણિક ટ્રિબ્યૂનલ બિલને મંજુરી
ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને લગતા વિવાદનો જલદી ઉકેલ આવે તે માટે શૈક્ષણિક ટ્રિબ્યૂનલ રચવા અંગેના બિલને કેબિનેટે સોમવારે મંજુરી આપી દીધી હતી. આ અંતર્ગત રાષ્ટ્રીય સ્તર પર અને રાજ્ય સ્તર પર એમ બે સ્તરે શૈક્ષણિક ટ્રિબ્યૂનલની રચના કરાશે.