ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગુપ્ત સમજુતીનો આક્ષેપ કરીને સમાજવાદી પક્ષ તથા રાજદ સહિતના વિપક્ષોએ સંસદમાં ધમાલ કરી હતી અને કાર્યવાહી ઠપ કરી દીધી હતી. વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ન્યૂકલીયર લાયેબિલિટી બિલ પસાર કરાવવા માટે ભાજપનો ટેકો મેળવવા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બચાવી રહી છે અને સીબીઆઇએ આ મુદ્દે નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી છે.
સંસદમાં બુધવારનો મુખ્ય એજન્ડા ન્યૂકલીયર લાયેબિલિટી બિલની સમીક્ષા કરી રહેલી સંસદીય સમિતિનો અહેવાલ રજુ કરવાનો હતો. લોકસભા અને રાજ્યસભામાં આ અહેવાલ રજુ થયો તે સાથે જ ધમાલ શરૂ થઈ હતી. લોકસભામાં લાલુપ્રસાદ યાદવ સહિતના રાજદના સાંસદો અને સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવ સહિતના સાંસદો ગૃહની મધ્યમાં ધસી ગયા હતા. આ સાંસદોએ ‘કોંગ્રેસ, ભાજપ કા ખેલ, નરેન્દ્ર મોદી કો મિલ ગયા બેઈલ’ એવા સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.
લાલુ અને મુલાયમે નરેન્દ્ર મોદીને કલીન ચીટ અપાયા અંગેના અખબારી અહેવાલોની કોપી દર્શાવી હતી. લાલુએ દાવો કર્યો હતો કે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ મોદીને પૂછ્યા વિના સોહરાબુદ્દીન મામલે કોઈ નિર્ણય લઈ જ શકે તેમ ન હતા. તેમણે કહ્યું કે ‘સીબીઆઈ અમિત શાહની પૂછપરછ કરી રહી છે, જે માત્ર એક નાની માછલી છે, પણ શાર્ક તો બહાર જ છે.’
આ સાંસદોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ન્યૂકલીયર લાયેબિલિટી બિલ સંસદમાં પસાર કરાવવા માટે ભાજપનો ટેકો લેવા ગુજરાતનાં રમખાણોની તપાસ કરી રહેલી સીટ(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) સમક્ષ મોદીને કલીન ચીટ આપવાનો ‘સોદો’ કરી રહી છે. તેમની સાથે ડાબેરીઓ અને માયાવતીનો બસપ પણ જોડાયા હતા. રામવિલાસ પાસવાનનો એલજેપી પણ તેમાં જોડાયો હતો.સંસદમાં આ ઉપરાંત ગેરકાયદેસર માઈનિંગનો મામલો પણ ઉછળ્યો હતો. બસપ, જેડી(એસ) અને ટીડીપીના સાંસદોએ આ મામલો ઉઠાવ્યો હતો અને આ મામલે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પક્ષોએ કર્ણાટકમાં ભાજપની સરકારને અને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની દરખાસ્તને બરખાસ્ત કરી દેવાની માગણી કરી હતી. ભારે ધમાલને અંતે બન્ને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવી પડી હતી.
ન્યૂકલીયર લાયેબિલિટી બિલનો માર્ગ મોકળો થયો
વિવાદાસ્પદ ન્યૂકલીયર લાયેબિલિટી બિલની સમીક્ષા કરી રહેલી સંસદીય સ્થાયી સમિતિએ પરમાણુ અકસ્માતના કિસ્સામાં સપ્લાયરની સ્પષ્ટ જવાબદારી નક્કી કરતી જોગવાઈ સામેલ કરી દેતા ન્યૂકલીયર લાયેબિલિટી બિલનો માર્ગ મોકળો થયો છે. ભાજપ આ બિલનું સમર્થન કરશે તેવી શક્યતા છે. જોકે ડાબેરીઓએ હજી તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે અને કહ્યું છે કે અણુ દુર્ઘટનાના કિસ્સામાં ભોગ બનનારાને R ૧૫૦૦ કરોડના વળતરની રકમ હજી ઓછી છે. હવે કેન્દ્રીય કેબિનેટ આવતીકાલે ગુરુવારે સમિતિ દ્વારા બિલમાં કરાયેલા સુધારા અંગે વિચારણા કરશે.
કોંગ્રેસ
આ આરોપો બકવાસ છે. ન્યૂકલીયર બિલ અને ગુજરાત વચ્ચે કોઈ જ સંબંધ નથી. સીબીઆઈ એક સ્વાયત્ત એજન્સી છે, તે સોહરાબ કેસમાં સુપ્રીમ કોર્ટને અહેવાલ આપે છે. તે કોઈને નિર્દોષ ઠેરવે તો તેણે સુપ્રીમને જવાબ આપવો પડશે.- શકીલ અહેમદ, પ્રવકતા, કોંગ્રેસ
ભાજપ
સૌપ્રથમ તો ખુદ લાલુ અને મુલાયમે સીબીઆઈ સમક્ષ તેમના કેસના મામલે કોંગ્રેસ સાથે કઈ રીતે ડીલ કર્યું હતું તેનો ખુલાસો કરવો જોઈએ. ભાજપમાં આવું ડીલ કરવાની કળા નથી. લાલુ-મુલાયમ તે કળામાં નિષ્ણાત છે. - રાજીવ પ્રતાપ રૂડી, પ્રવકતા