વીજળીની આપણી જરૂરિયાત પૂરી કરવાના ઉદ્દેશ્યથી આપણે એટોમિક પ્લાન્ટ શરૂ કરવા માટે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો હતો. બુધવારે લોકસભામાં જવાબદારી વિધેયક પસાર થવા સાથે આ કરારના અમલીકરણનો માર્ગ મોકળો થઈ ગયો છે. શું છે જવાબદારી વિધેયક અને તેના પરનો વિવાદ
પરમાણુ કરાર સાથે સંબંધ
જવાબદારી કાયદો અમેરિકા સાથે થયેલા એટોમિક કરાર સાથે જોડાયેલો છે જેને ઓક્ટોબર ૨૦૦૮માં કાનૂની સ્વરૂપ મળ્યું હતું અને તેના માટે યુપીએએ પોતાની સરકાર પણ દાવ પર લગાવી દીધી હતી.
આ કાયદો અમેરિકા સાથે ઊર્જા ક્ષેત્રે ભાગીદારીનો માર્ગ મોકળો કરે છે.
કરાર અનુસાર આપણે એટોમિક ક્ષેત્રની નાગરિક અને સૈન્ય સુવિધાઓ અલગ અલગ કરીશું.
નાગરિક એટલે કે ઊર્જા સંબંધિત પરમાણુ પ્લાન્ટ આપણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(આઈએઈએ)ની દેખરેખ હેઠળ રાખીશું.
કાયદાની જરૂરિયાતનું કારણ
અમેરિકાની ખાનગી કંપનીને એટોમિક વેપાર માટે આકર્ષિત કરવાના ઉદ્દેશ્યથી આ કાયદો જરૂરી છે.
આ કાયદાથી પરમાણુ દુર્ઘટના થાય તો એટોમિક ઉપકરણોના નિર્માતા, સપ્લાયર, ઓપરેટર અને સરકારની આર્થિક અને કાયદાકીય જવાબદારી નક્કી થશે.
આ મામલે નિર્માતા અને સપ્લાયર અમેરિકી કંપની હશે જ્યારે ઓપરેટર ભારતીય પરમાણુ ઊર્જા નિગમ હશે.
‘ઈરાદો’ પણ ગયો
સરકારે સેકશન ૧૭ની જોગવાઈની વચ્ચેથી ‘અને’ શબ્દ દૂર કરી એક નવી જોગવાઈ ‘સી’ જોડી દીધી છે. તેમાં જણાવાયું છે કે એટોમિક દુર્ઘટના કોઈના ‘ઈરાદા’ કે ભૂલના કારણે થઈ હોય. વિપક્ષના વિરોધ બાદ ‘ઈરાદો’ શબ્દ દૂર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બિલના મૂળ મુસદ્દામાં પણ ૧૮ ફેરફારો કરવામાં આવ્યા છે.
આ ફેરફારો વિશેષ છે
વળતરની વહેલામાં વહેલી તકે ચુકવણી
વળતર માટે R ૧૫૦૦ કરોડ સુધીનો દાવો થઈ શકશે
દુર્ઘટના બાદ ૨૦ વર્ષ પછી પણ વળતરનો દાવો કરી શકાશે
પીડિતોને વળતર આપ્યા બાદ જ ઓપરેટર, સપ્લાયર વિરુદ્ધ કાયકાદીય કાર્યવાહી શરૂ કરાશે
બે દેશોમાં આ કાયદો નથી
એટોમિક ઊર્જાનો ઉપયોગ કરતા ૩૦ દેશોમાંથી માત્ર ભારત અને પાકિસ્તાનમાં જ જવાબદારી કાયદો નથી. આપણે ત્યાં આ સંબંધે વિધેયક લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે.
માત્ર આપણા દેશમાં જ આ હક
કોઈપણ દેશમાં જવાબદારી કાયદામાં સપ્લાયર વિરુદ્ધ કાર્યવાહીનો હક નથી. આપણા દેશમાં પ્રસ્તાવિત કાયદામાં ઉપકરણ કે સેવાઓમાં ખામી હોય તો સપ્લાયર વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ છે.
આ મુદ્દે હતો વિવાદ
પ્રસ્તાવિત કાયદાના સેકશન ૧૭ અનુસાર ઓપરેટર, સપ્લાયર પાસે વળતરની માગણી ત્યારે જ કરી શકાય જ્યારે :
(એ) તેનો ઉલ્લેખ સોદામાં થયો હોય અને
(બી) દુર્ઘટના નબળા કે ખરાબ ઉપકરણોના સપ્લાયના કારણે થઈ હોય
વિપક્ષને આ બંનેજોગવાઈઓને જોડવા વચ્ચે લગાવેલા ‘અને’ શબ્દ સામે વાંધો હતો.