રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવે રવિવારે કહ્યું હતું કે બિહારમાં ઉંચી જાતિના કોઈપણ નેતાનું રાજ્યના મુખ્યમંત્રી બનવું અઘરું છે. જો કે તેમણે સવર્ણોને પોતાના તરફ આકર્ષવાની કોશિશો તો શરૂ કરી દીધી છે.
રાષ્ટ્રીય જનતા દળના પ્રદેશ કાર્યાલયમાં આયોજીત એક સમારંભમાં ભૂતપૂર્વ મંત્રી અશોક કુમાર સિંહ સહીત કેટલાંક અન્ય લોકોના પાર્ટીમાં સામેલ થવાનું સ્વાગત કરતાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે એ તેમની દેણ છે કે બિહારમાં સવર્ણોને મુખ્યમંત્રી બનાવાની કોઈ હિંમત કરતું નથી.
બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં હાર ખાધા બાદ સવર્ણ વોટબેંક પર નજર લગાવીને બેઠેલા લાલુએ આર્થિકપણે પછાત સવર્ણો માટે સરકારી નોકરીમાં દસ ટકા અનામતનો ચારો પણ ફેંક્યો છે.
બિહારની નીતિશ કુમાર સરકાર પર પગથી માથા સુધી ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ લગવાતા લાલુએ કહ્યું હતું કે રાજ્યમાં આરજેડી-લોક જનશક્તિ પાર્ટીની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.
બિહાર સરકાર પર 11412 કરોડ રૂપિયાના નકલી ડીસી બિલ જમા કરાવાનો આરોપ લગાવતા લાલુ પ્રસાદે તેની સીબીઆઈ તપાસની માગણી કરી છે. બીજી તરફ જનતાદળ-યૂનાઈટેડના સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય જનતા દળના કાર્યાલયમાં ઉંચી જાતિના લોકોને હેરાન કરવામાં આવે છે.
રાજકારણમાં રાબડી દેવીની ભૂમિકામાં કાપ
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા રાબડી દેવીની રાજકીય ભૂમિકાને સિમિત કરી દેવાય છે. તેઓ લગભગ આઠ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં હતા. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવે તાજેતરમાં કહ્યું હતું કે રાબડી હવે આરજેડી-એલજેપી ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નથી.
આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય જનતા દળ અને લોક જનશક્તિ પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી બાદ એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાને પણ કહ્યું હતું કે ગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલુપ્રસાદ યાદવ જ હશે.
પાસવાનના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેમણે લાલુને એ કહ્યું હતું કે રાબડી મુખ્યમંત્રી તરીકે જનતાને મંજૂર થશે નહીં. પાસવાને લાલુને મુખ્યમંત્રી અને પોતાના ભાઈ તથા એલજેપીના પ્રદેશ અધ્યક્ષ પશુપતિ કુમાર પારસને નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કર્યા છે.