બિહારમાં બંધક બનાવાયેલા 4 પોલીસકર્મીઓના બદલામાં પોતાના 8 સાથીદારોની મુક્તિ સાથે જોડાયેલી નક્સલીઓની બીજી ડેડલાઈન પણ આજે સવારે 10 કલાકે સમાપ્ત થઈ ગઈ. નક્સલીઓએ હવે જનતા અદાલત લગાવાની વાત કરી છે. પોલીસનું કહેવું છે કે બંધકોને મુ્કત કરાવાના પ્રયાસો ચાલુ છે.
પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી)ના મુંગેર-જમુઈ-લખીસરાય ઝોનના સ્વંયભૂ પ્રવક્તા અવિનાશે ફરી એક વાર સ્થાનિક ચેનલોને ફોન પર કહ્યું છે કે બંધક બનાવાયેલા લોકોના પરિવારજનોની વિનંતી પર તેણે સમય-મર્યાદા 10 વાગ્યા સુધી વધારી દીધી હતી. પરંતુ હવે એવું થશે નહીં. તેણે કહ્યું હતું કે હજી સુધી સરકારે કોઈ પહેલ કરી નથી. અવિનાશે કહ્યું હતું કે હવે જનતા અદાલત લગાવીને બંધકોના સંદર્ભે ફેંસલો કરવામાં આવશે.
જ્યારે બીજી તરફ પોલીસ મુખ્યમથકનું કહેવું છે કે બંધકોની મુક્તિના પ્રયાસ ચાલુ છે. આ સાથે બાંકા, જમુઈ, ભાગલપુર અને લખીસરાય જિલ્લાઓમાં પોલીસને એલર્ટ કરી દેવાય છે અને અહીંની જેલોની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે બિહારના મુખ્યમંત્રીને મળવાગયેલા બંધકોના પરિવારજનોને મુખ્યમંત્રી નીતિશ કુમાર મળ્યા નથી.
મહત્વપૂર્ણ છે કે રવિવારે લખીસરાયના કજરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડાણમાં નક્સલીઓએ 4 પોલીસકર્મીઓને બંધક બનાવ્યા હતા. અવિનાશે મંગળવારે સ્થાનિક ચેનલોને ફોન કરીને કહ્યું હતું કે રવિવારે લખીસરાય જિલ્લાના કજરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના લોકોએ પોલીસ ટુકડી પર હુમલો કર્યા બાદ રાજ્યના 2 એસઆઈ અને 2 બીએમપીના જવાનોને બંધક બનાવ્યા છે.
બંધક બનાવાયેલા પોલીસકર્મીઓમાં રૂપેશ કુમાર સિંહા (બેતિયા), અભય યાદવ (બેગુસરાય), એહતશામ ખાન (માંડર, રાંચી) અને લુક્સ ટેટે (સિમડેગા, ઝારખંડ)નો સમાવેશ થાય છે. નક્સલીઓએ બંધક બનાવાયેલા 4 પોલીસકર્મીઓની અવેજમાં સરકારની સામે પહેલા બુધવાર સાંજે 4 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું.