ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જયપુર ખાતે યોજાઈ રહેલા 'પ્રવાસી ભારતીય દિવસ'ના મહાસંમેલનને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીંના મંચ પરથી તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં 'વિપક્ષ' શાસિત રાજ્યોને કેન્દ્રનું સમર્થન મળતું નથી અને તેમણે પોતાની પાસે ઉપલબદ્ધ સ્ત્રોતોમાંથી ખુદનો વિકાસ કરવો પડે છે.
-કેન્દ્ર પાસેથી નાણા માંગ્યા નથી અને માંગ્યું તે મળ્યું નથી: મોદી
-પ્રવાસી ભારતીયોની સામે કેન્દ્રની ઝાટકણી
-ઓરમાયા વર્તનનો મુક્યો આક્ષેપ
મહાસંમેલનમાં શ્રોતાઓના પ્રતિસાદથી મોદી ઉત્સાહિત થઈ ગયા હતા. તેમણે પોતાની અગાઉથી તૈયાર કરવામાં આવેલી પ્રવચનની કોપી બાજુએ મુકી હતી અને પ્રવાસી ભારતીયોની સામે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.
મોદીએ દાવો કર્યો હતો કે, તેઓ ક્યારેય નાણા માંગવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખતા નથી. મોદીએ કહ્યું હતું કે, "એક વખત મેં ગુજરાતને સેટેલાઈટ ફાળવવા માટે ગતવર્ષે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. પરંતુ, તેઓ અવઢવમાં મુકાઈ ગયા. હું ક્યારેય વિકાસ કાર્યોના નાણા મેળવવા માટે વડાપ્રધાનને પત્ર લખતો નથી." મોદીના કહેવા પ્રમાણે, તેમને એક પૂર્ણપણે સમર્પિત એવું ટ્રાન્સપોન્ડર આપવામાં આવ્યું હતું. જેની મદદથી રાજ્યના 12 સેક્ટરમાં એક જ સમયે શિક્ષણ આપી શકાશે. આ ટ્રાન્સપોન્ડરનો ઉપયોગ વહિવટી તંત્રમાં સુધારા લાવવા, ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ અને ટેલિમેડિસિન જેવા ક્ષેત્રમાં કામ આવશે. "
મોદીએ જણાવ્યું હતું કે, "એક વખત મેં વડાપ્રધાનને સૂચવ્યું હતું કે, રાજસ્થાન અને ગુજરાતમાં સરહદી વિસ્તારમાં સોલર પ્રોડક્શન યુનિટ સ્થાપવા જોઈએ. જેથી સરહદનું સંરક્ષણ થઈ શકે અને સોલાર એનર્જી પણ ઉત્પન્ન થઈ શકે છે. " પછી શું થયું તમને ખબર છે ? એમ કહી તેમણે સવાલ પુછ્યો હતો પરંતુ જવાબ આપ્યો ન હતો. મોદીના કહેવા પ્રમાણે, મંદીને તકમાં ફેરવી શકાય તેમ છે. તે માટે સ્કેલ સ્પીડ અને સ્કિલ વિકસાવવા જોઈએ. ગુજરાતના ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટમાં 100 દેશોએ ભાગ લઈને 450 મિલિયન ડોલરના એમઓયુ કર્યા હોવાનું જણાવ્યું હતું. મોદીએ દાવો કર્યો હતો કે, રાજસ્થાન કરતા ગુજરાત વધુ પ્રમાણમાં સૌર ઊર્જા ઉત્પાદિત કરે છે.
મોદીના કહેવા પ્રમાણે, "રાજસ્થાન 8,500 મેગાવોટ પાવર મેળવે છે. પરંતુ અમે 4,000 મેગાવોટ વીજળી વધુ ઉત્પાદિત કરીએ છીએ અને વર્ષ 2012ના અંત ભાગ સુધીમાં 7000 મેગાવોટ વધુ વીજળી ઉત્પાદિત કરતા હોઈશું. ગુજરાતમાં જો વીજળી જાય તો લોકોને આશ્ચર્ય થાય છે. મોદીએ તેમના લેખિત ભાષણમાં લોકોને વિકાસના સમાન ભાગીદાર બનાવવાની હિમાયત કરી હતી.
મોદીના કહેવા પ્રમાણે, આર્થિક વિકાસ અને ગ્રોથ જેવા શબ્દો સુધી પોતાને મર્યાદિત ન રાખતા આપણે ભવિષ્યને લગતા વિચારો ઘડવા જોઈએ. ગુજરાતે બિન-પરંપરાગત ઊર્જા ક્ષેત્ર, કૃષિ, ઔદ્યોગિક વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે અલગ ચિત્ર રજૂ કર્યું છે. ગુજરાત સરકારે સૌપ્રથમ સૌર નીતિ રજૂ કરીને, ફોરેન્સિક સાઈન્સ અને સિક્યુરિટી એજન્સી માટે યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે અને તેમના વિકાસ માટે વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓ સાથે કામ ચાલી રહ્યું છે. મોદીએ જણાવ્યું હતું કે, એનઆરઆઈ અને ભારતીય મુળના લોકોએ તેમના દેશોમાં મંદીરોની સ્થાપના કરી છે. પરંતુ ત્યાં પૂજારીઓની તંગી છે. આ માટે પૂજારીઓને ટેમ્પલ મેનેજમેન્ટમાં પારંગત કરવામાં આવી રહ્યાં છે. પંદર દેશોમાં આ પ્રકારની તાલિમ હાંસલ કરેલા પૂજારીઓ સેવાઓ આપી રહ્યાં છે. જેનાથી ભારતીય સમુદાય અને સાથે સાંસ્કૃત્તિક સંબંધ મજબુત બનશે. શિક્ષકો માટે પણ અલગ યુનિવર્સિટી ઊભી કરવામાં આવી છે અને તેમને વિદેશમાં ઊંચા પેકેજ સાથે મોકલવાની નેમ હોવાનું પણ મોદીએ ઉમેર્યું હતું.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.