રાજદના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવની આગેવાની હેઠળ સાંસદોએ પગારવધારાની માગણીના મુદ્દે મંગળવારે લોકસભામાં ભારે ધમાલ કરી હતી. તેને કારણે સંસદની કાર્યવાહી બે કલાક સુધી સ્થગિત કરવી પડી હતી. આ દરમિયાન નાણામંત્રી પ્રણવ મુખરજીએ ખાતરી આપી છે કે સાંસદોના પગારવધારા અંગેનું બિલ સંસદના ચાલુ સત્રમાં જ લાવવાનો પ્રયાસ કરાશે. તેમણે એવી પણ ખાતરી આપી હતી કે બિલ ગમે ત્યારે પસાર થાય, પગારવધારો પશ્વાદ્વર્તી અસરથી અમલી બનશે અને ૧૫મી લોકસભાની શરૂઆતથી જ તેનો લાભ મળશે.
લોકસભામાં શૂન્યકાળ દરમિયાન જ આ મુદ્દે લાલુ યાદવે આ મુદ્દો ઉઠાવ્યો હતો. સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવે તેમનો સાથ આપ્યો હતો. બસપ, જેડી(યુ), શિવસેના અને તૃણમૂલ કોંગ્રેસ તથા કોંગ્રેસના પણ કેટલાક સાંસદોએ લાલુની માગણીનું સમર્થન કર્યું હતું. ભારે ધમાલ વચ્ચે સ્પીકર મીરા કુમારે નારાજ સાંસદોને શાંત કરવા પ્રયાસ કર્યા હતા, પરંતુ સાંસદો કંઈ જ સાંભળવા તૈયાર ન હતા. આથી તેમણે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી હતી.
ત્યારબાદ પ્રણવ મુખરજી લાલુ પાસે ગયા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. જોકે ગૃહની બેઠક ફરી મળી ત્યારે પણ લાલુ અને અન્ય સાંસદોએ ભારે દેકારો મચાવ્યો હતો. લાલુની દલીલોના જવાબમાં પ્રણવ મુખરજીએ કહ્યું કે સરકાર સાંસદોની લાગણીઓથી સંપૂર્ણ વાકેફ છે અને પગારવધારા અંગેનું બિલ ચાલુ સત્રમાં જ લાવવા તે પ્રયાસ કરી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે પગારવધારાનો અમલ તો ૧૫મી લોકસભાના આરંભથી જ થશે.
વિરોધીઓના નાણાં સ્વિસ બેંકમાં છે : લાલુ
પગાર વધારાનો વિરોધ કરનારાઓને લાલુએ તેમના અંદાજમાં કહ્યું હતું કે ‘જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમની પાસે બંગલા અને ફાર્મ હાઉસ છે. તેમના નાણાં સ્વીસ બેન્કોમાં જમા છે. આવા લોકો આ મુદ્દે અમને સલાહ ન આપે તો જ સારું છે.’ લાલુની આવી ટકોરને કારણે લોકસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.