ગુજરાતને 'કેનાલ કવચ' આપવા મોદીની માંગ

-કચ્છ સુધી ઈન્દિરા ગાંધી કેનાલ લંબાવવા માંગ
-એક કાંકરે મરશે બે પંખીઓ
-કચ્છ વિસ્તારમાં આવશે હરિયાણી
-સામાન્યતઃ કચ્છમાં પડતો વરસાદ ઓછો
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 'એક કાંકરે બે પક્ષી મારી શકાય' તેવી યોજના કેન્દ્ર સરકારને સૂચવી છે. મુખ્યપ્રધાન મોદી ઈચ્છે છે કે રાજસ્થાનના રણવિસ્તારમાં હરિયાળી લાવનારી ઈન્દિરા ગાંધી કેનાલને કચ્છ સુધી લંબાવવામાં આવે, જેથી પરંપરાગત યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાને અટકાવી શકાય.
સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યપ્રધાનો મુલાકાત કરવાના છે. આંતર-રાજ્ય સંબંધો અંગે પશ્ચિમી ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મોદી આ અંગે ગૃહ વિભાગ સાથે ચર્ચા કરશે.
શું છે મોદીની યોજના?
હાલમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર રાજસ્થાનના રણવિસ્તારમાં ઈન્દિરા ગાંધી કેનાલ વહે છે. આ કેનાલને કારણે રાજસ્થાનના અનેક વેરાનપ્રદેશમાં હરિયાણી આવી છે. મોદી ઈચ્છે છે કે આ કેનાલને ગુજરાત સાથેની પાકિસ્તાની સરહદ સુધી લંબાવવામાં આવે. આ રીતે કચ્છ વિસ્તાર સુધી પાણી પહોંચાડી શકાશે.
ચાલુ સિઝન દરમિયાન પણ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સિત્તેર ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં પાણી પહોંચતા સિંચાઈ વિસ્તાર વધશે. વધુમાં પાકિસ્તાન સાથે પરંપરાગત ઢબે યુદ્ધ થશે તો પાકિસ્તાનની સેના માટે અવરોધનું પણ કામ કરશે.
મોદીના અન્ય મહત્વપૂર્ણ સૂચનો
-ડાયરેક્ટ્રેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ હવાલા નેટવર્ક પર નજર રાખે, કારણ કે હવાલાનાં નાણાંનો ઉપયોગ ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે થતો હોવાનું માલૂમ પડ્યું છે.
-પાકિસ્તાનના માછીમારો દ્વારા બોટોમાં વાપરવામાં આવતી સંચાર પ્રણાલીનો તોડ શોધવામાં આવે, જેથી તેનો ઉપયોગ દેશદ્રોહી ગતિવિધિઓ માટે ન થઈ શકે.
-સુરક્ષાનાં કારણોસર બંદર પર કામ કરતી કંપનીઓમાં વિદેશીને નોકરી ન મળવી જોઈએ. કોઈ વિદેશીને બંદરમાં પ્રવેશ આપતાં પહેલા તેની પૂરતી તપાસ થવી જોઈએ. બંદરના કોઈપણ ભાગની તસવીર ખેંચવાની મંજૂરી ન આપવી જોઈએ.
-પાકિસ્તાન સાથેની ગુજરાતની સરહદ પર ફેન્સિંગનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે, જેમાં ગતિ લાવવામાં આવે.







