કાર્યકર તરીકે સાથી કાર્યકરોને હિસાબ આપવા આવ્યો છું: મોદી

- નવી દિલ્હીમાં ભાજપ ઓફિસે ભવ્ય સ્વાગત પછી સરકાર પર મોદીના પ્રહાર
- સ્વાગતનું સુકાન નીતિન ગડકરીએ સંભાળ્યું, કાર્યકરોએ ‘પીએમ પીએમ’નાં સૂત્રો પોકાર્યા
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આર્થિક વિકાસને મોરચે કેન્દ્ર સરકારના ઠાગાઠૈયા જેવા વલણની આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારમાં નીતિ અને નેતૃત્વનો સદંતર અભાવ છે. આ પરિસ્થિતિને કારણે દેશ નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયો છે. એનડીસીની બેઠક બાદ ભાજપ કાર્યાલય પર આવી પહોંચેલા મોદીનું ઉષ્માબેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હાજર પક્ષના કાર્યકરોએ મોદીના ભાષણ દરમિયાન ‘પીએમ, પીએમ’ એવાં સૂત્રો પોકાર્યા હતાં. મોદીના ભવ્ય સ્વાગતનું સુકાન ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ સંભાળ્યું હતું. મોદીએ ગુજરાતમાં તેમની હેટ્રિક બદલ થયેલા સ્વાગતનો આભાર વ્યક્ત કરતાં ટકોર કરી હતી કે આવા ભવ્ય સ્વાગતની તેમણે કલ્પના કરી ન હતી.
અગાઉ પક્ષના કાર્યકરોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે દેશ કેન્દ્રમાં નીતિવિષયક લકવાથી પીડાય છે અને બૌધિક દેવાળિયાપણું તેમજ સબળ નેતૃત્વના અભાવને કારણે નિરાશાનો માહોલ છવાયો છે. દેશના વિકાસદરનો અંદાજ નીચો લઈ જવા બદલ કેન્દ્રને ઝાટકતાં તેમણે કહ્યું કે સરકાર પાસે મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવવા કોઈ યોજના જ નથી. તેમણે ઉમેર્યું હતું કે જીડીપીના વૃદ્ધિ દરનો અંદાજ ગત વર્ષના ૭.૯ ટકાથી વધારીને માત્ર ૮.૨ ટકા કરવામાં આવ્યો છે.
આનો અર્થ એ થયો કે દેશને માત્ર ૦.૩ ટકા વિકાસ સાથે આગળ લઈ જવા એનડીસીની બેઠક બોલાવવામાં આવી હતી, જ્યારે ગુજરાત ૧૧ ટકાના દરે વિકાસ સાધી રહ્યું છે. તેમણે વિકાસદરને મામલે ભારતને ચીનની હરોળમાં મૂકી શકાય તેવાં પગલાંનું વચન આપ્યું હતું.
સરકારને ટોણો મારતા મોદીએ જણાવ્યું હતું કે ૨૦ મુદ્દાના યુપીએના ગરીબી નાબૂદી કાર્યક્રમના અમલમાં ગુજરાત પ્રથમ નંબરે છે અને પહેલાં પાંચ રાજ્યોમાં કોંગ્રેસ શાસિત રાજ્યો ક્યાંય નથી. દર છ મહિને આ અમલની યાદીનો ક્રમ બહાર પડાતો હતો પરંતુ સરકારે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાને બદલે આ યાદી જ બહાર પાડવાનું બંધ કરી દીધું છે.
- અર્થ : પક્ષ હવે તેમના નેતૃત્વ માટે તૈયાર થઇ રહ્યો છે. અડવાણી, સુષ્માને લખલખું આવી જાય એવું ભવ્ય સ્વાગત. ગડકરીને આવતા મહિને ફરી ચૂંટાવા માટે મોદીની જરૂર પડવાની છે. કોંગ્રેસ અને મોદીવિરોધી પક્ષ માટે મોદીની દિલ્હી એન્ટ્રીના સ્પષ્ટ સંકેત.
- અસર : મોદીના ‘ગુજરાત મોડલ’ને કારણે પક્ષમાં નવો સંચાર. બીજી હરોળના નેતાઓ તેમના નેતૃત્વ માટે તૈયાર. પહેલી હરોળના નેતાઓ મૂક સાક્ષી બની રહેશે. મોદીવિરોધી પક્ષો એક થશે અને ૨૦૦૨ની યાદ અપાવીને તેમની દિલ્હી એન્ટ્રી સામે મુશ્કેલી ઊભી કરી શકે.
વધ્યું નરેન્દ્ર મોદીનું કદ
સ્વાગત માટે મુકવામાં આવેલ મુખ્ય તસવીરમાં મોદીનું કદ ઉડીને આંખે વળગતું હતું. તસવીરમાં એનડીએના ચેરમેન અડવાણીજી, રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા અરૂણ જેટલી, લોકસભામાં વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, અધ્યક્ષ નીતીન ગડકરી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીરો હતી. તેમાં સૌથી મોટી તસવીર સૌથી મોટી હતી. મોદી જ્યારે સુષ્મા સ્વારજ અને મુરલી મનોહર જોશીને મળ્યા હતા.
દિલ્હીમાં નરેન્દ્ર મોદી શું બોલ્યા આ અંગે વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...





