છેલ્લા બે વર્ષથી વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘનું કેબિનેટ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં કેબિનેટમાં નવા ચહેરાઓને સામેલ કરવાની વડાપ્રધાનને તક મળશે. જેના કારણે મંત્રીપદ મેળવવા માટે સરકારના વર્તમાન પ્રધાનો અને કોંગ્રેસના નેતાઓમાં હલચલ મચી ગઈ છે.
-આવે છે : કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારો
-પક્ષની અંદરથી દબાણ
-સાથી પક્ષોનું પણ પ્રેશર
-ડૉ. સિંઘ સામે મુશ્કેલ રાહ
યુપીએના બીજા કાર્યકાળમાં કપિલ સિબ્બલના રેટિંગ જોરદાર રીતે વધ્યા છે. ત્યારે તેમનો ભાર હળવો કરવા માટે કેબિનેટ અને સંગઠનમાં હિલચાલ છે. ત્યારે જયરામ રમેશની કામગીરીથી ખુદ વડાપ્રધાન ખુશ નથી. કારણ કે, તેઓ કેટલીક વખત સાથીઓને જ નિશાન બનાવે છે. ગુલામનબિ આઝાદ અને અંબિકા સોનીનું જૂથ પણ તેમનો પ્રભાવ ટકી રહે તે માટે સક્રિય છે. જ્યારે ગત કેબિનેટ વિસ્તરણ સમયે સ્થાન મેળવનારા કેટલાક પ્રધાનો સામે તેમનું પદ ટકાવી રાખવાની કવાયત છે. તા. 28મી મેના વડાપ્રધાન વિદેશપ્રવાસ પરથી પરત ફરશે. ત્યારબાદ તેઓ જર્મનીના વાઈસ ચાન્સેલરની પ્રસ્તાવિત યાત્રામાં વ્યસ્ત રહેશે. આથી, જૂનના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, કેબિનેટના ફેરફારમાં કેટલાક ચહેરાઓ બદલાશે, કેટલાકના ખાતા ઘટાડવામાં આવશે. અને કેટલાક નવા ચહેરાઓને સામેલ કરવાના સંકેતો મળી રહ્યાં છે. 2જી સ્પેક્ટ્રમ કૌભાંડના ઓછાયાની વચ્ચે ટેલિકોમ ખાતાનું પદ સંભાળનારા કપિલ સિબ્બલ કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ માટે જણસ બની ગયા છે. તેમની પાસેથી અન્ય ખાતા લઈ લેવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે, વધુ પડતા ભારના કારણે તેમના પરફોમન્સને અસર પહોંચી રહી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય કોઈ નવી વ્યક્તિને સોંપવામાં આવે તેવી સંભાવના છે.
આઈઆઈટી અને આઈઆઈએમની ગુણવતા અંગે કપિલ સિબ્બલ અને જયરામ રમેશ વચ્ચેનો શાબ્દિક વિવાદ તાજો જ છે. વારંવાર આ પ્રકારના નિવેદનો કરીને સરકારની મુશ્કેલી વધારતા જયરામ રમેશને વડાપ્રધાન કદ પ્રમાણે વેતરવા માંગે છે. જો કે, પક્ષમાં અનેક અગત્યની ભૂમિકા ભજવી રહેલા જયરામ રમેશને હટાવતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની મંજૂરી લેવી અનિવાર્ય બની રહેશે.
એવું માનવામાં આવે છે કે, અંબિકા સોનીનું ખાતું બદલવામાં આવશે. તેમને અન્ય કોઈ ખાતું સોંપવામાં આવે તેવી સંભાવના છે. ગુલામ નબિ આઝાદ પર પક્ષ અને સરકારી હોદ્દાઓનો ભાર છે. તેમનો ભાર ઓછો કરવા માટે પાર્ટીમાંથી સતત દબાણ થતું રહ્યું છે. જો કે, આઝાદ આ માટે તૈયાર નથી જણાતા. કાંતિલાલ ભૂરિયાને મધ્યપ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને તેમને રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે તેમના પદ અંગે પણ સ્પષ્ટ વિરોધાભાસ પ્રવર્તે છે.
કોંગ્રેસમાં એક વ્યક્તિ-એક હોદ્દાનો સિદ્ધાંત ગંભીરપણે લાગૂ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ પ્રણવ મુખરજી અને એ. કે. એન્ટોની જેવા નેતાઓને બેવડી જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. કેરળમાં જીત સુધી લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ઈ. અહેમદને કેબિનેટમાં ઉન્નતી આપીને તેમને ભેટ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કેરળના જ કે. વી. થોમસનું ખાતું બદલવામાં આવે તેવી વકી છે. મુકુલ રાયને પણ કેબિનેટનો દર્જો આપવામાં આવે તેવી સંભાવના છે.
કેન્દ્ર સરકારના રેલવેપ્રધાન મમતા બેનરજી હવે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બની ગયા છે. તેમને કેન્દ્રમાં વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પદ જોઈએ છે. વળી, રેલવેખાતું તૃણમુલ કોંગ્રેસ પાસે જ રહે તેવા તેમના પ્રયાસો છે. ત્યારે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ મનમોહન સિંઘ માટે મુશ્કેલ બની રહેશે.
તમારો મત
શું તમને લાગે છે કે, ડૉ. મનમોહન સિંઘ તેમની મરજી પ્રમાણેની કેબિનેટની રચના કરી શકશે ? ભ્રષ્ટાચારના આરોપોને દુર કરવા માટેના કોઈ મહત્વપૂર્ણ પગલા આ ફેરબદલમાં જોવા મળશે ? સરકારની નવી ઈન્ટરનેટ નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર ધ્રુણાસ્પદ, વિવાદાસ્પદ કે નિમન્ન પ્રકારની ટિપ્પણી કરવી પ્રતિબંધિત છે. આમ કરવું ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરશે. આમ થવાથી જો કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તો તેના માટેની જવાબદારી ટિપ્પણી કરનાર વ્યક્તિની રહેશે.