લોકપાલ બીલ તૈયાર કરવા માટે નીમવામાં આવેલી સંયુક્ત સમિતિ નવી દિલ્હી ખાતે મળી હતી. આ તેમની વચ્ચેની નવમી બેઠક હતી. જેમાં સરકારના પ્રતિનિધિઓ અને સિવિલ સોસાયટીના સભ્યોએ ચર્ચા કરી હતી. આ બેઠકમાં બંને પક્ષો દ્વારા મુસદ્દાની આપલે કરી હતી. જો કે, સરકાર દ્વારા આપવામાં આવેલા મુસદ્દા પર ટીમ અણ્ણાએ નિરાશા વ્યક્ત કરી હતી.
-સરકારની ટીમ અણ્ણાને સ્પષ્ટ વાત-PM નહીં આવે લોકપાલ હેઠળ
-મુસદ્દાઓની આપલે થઈ-ઓડિયો ટેપ અંગે નિર્ણય નહીં
-વિવાદ યથાવત
બેઠક બાદ સિવિલ સોસાયટીના સભ્યો પ્રશાંત ભૂષણ અને અરવિંદ કેજરીવાલે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે સરકારી બીલની જોગવાઈઓ પર નારાઝગી પ્રગટ કરી હતી. સરકારી મુસદ્દાની જોગવાઈ પ્રમાણે વડાપ્રધાન, ન્યાયતંત્ર, સાંસદોને લોકપાલ હેઠળ આવરવામાં નહીં આવે. છતાં સરકારી મુસદ્દાની જોગવાઈઓ પર ઉપર છેલ્લી ચર્ચા કરતી વખતે તેમણે કહ્યું હતું કે, લોકપાલની નિમણૂક માટે પાંચ સરકારના લોકો અને બે અન્ય રાજનેતાઓ સહિત કુલ દસ લોકો લોકપાલ પસંદ કરશે. જે દર્શાવે છે કે, લોકપાલની પસંદગી રાજનેતાઓ ઈચ્છે તે રીતે થશે. વધુમાં ભ્રષ્ટાચારી સામે ફરિયાદ નોંધતા પહેલા લોકપાલ દ્વારા તેની સુનાવણી કરવામાં આવશે ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવશે. ઉપરાંત કોર્ટમાં કેસ ચલાવતા પહેલા પણ લોકપાલ દ્વારા ભ્રષ્ટાચારના આરોપીની સુનાવણી હાથ ધરવામાં આવશે. કેજરીવાલે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, દુનિયામાં ક્યાંય આવી જોગવાઈઓ નથી કે, ભ્રષ્ટાચાર જેવા ફોજદારી ગુનાની સુનાવણી કરતા પહેલા આરોપીની સુનાવણી કરવામાં આવે. આ રીતે તો અગ્યાર સભ્યોનું લોકપાલ ટૂંક સમયમાં પડી ભાંગશે. બેઠક દરમિયાન જસ્ટિસ સંતોષ હેગડેએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
વળી, દરેક તબક્કે આરોપીને કેસમાં થઈ રહેલી પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આમ કેસ ચાલે તે પહેલા જ આરોપી પાસે કેસને લગતી તમામ વિગતો આવી ગઈ હશે. પ્રશાંત ભૂષણે આરોપ મુક્યો હતોકે, સરકાર માત્ર પ્રતિકાત્મક કાયદો અને લોકપાલ ઈચ્છે છે. સરકારના પ્રતિનિધિઓ દ્વારા બેઠક દરમિયાન થયેલી કાર્યવાહીનું ઓડિયો રેકોર્ડિંગ બહાર પાડવું કે કેમ તે અંગે કોઈ નિર્ણય જણાવાયો ન હતો અને ઉમેર્યું હતું કે, આ અંગે ભવિષ્યમાં નિર્ણય લેવાશે.
સિવિલ સોસાયટીના સભ્યો સરકારી ડ્રાફ્ટ અંગે જાહેર જનતાને તથા સરકારને આ અંગે આગામી બે-એક દિવસમાં ટિપ્પણીઓ આપી દેશે. કેજરીવાલના કહેવા પ્રમાણે, અગાઉ જે છ મુદ્દાઓ પર મતભેદ ચાલુ હતા, તે હજૂપણ યથાવત છે. સરકારના ડ્રાફ્ટ પ્રમાણે લોકપાલ સ્થાપના થતાની સાથે જ કૂંઠીત થઈ જશે. અને સ્થાપનાના ટૂંક સમયમાં કામના બોજાં તળે દબાય જશે. સરકાર ઈચ્છે છે કે, લોકપાલ માટે બીલ આવે. જ્યારે સિવિલ સોસાયટીના સભ્યો લોકપાલ અને લોકાયુક્ત અંગેનો કાયદો એક સાથે ઈચ્છે છે.
બેઠક બાદ કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમના કહેવા પ્રમાણે, લોકપાલ મુસદ્દો કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં અમારો મુસદ્દો હોય શકે છે, તેમનો મુસદ્દો હોય શકે છે અથવા બંને મુસદ્દાની સંયુક્ત જોગવાઈઓ પણ હોય શકે છે. આ અંગેનો મુસદ્દો રાજકીય પક્ષોને મોકલવામાં આવશે અને રાજકીય પક્ષોની સંયુક્ત બેઠકમાં તેની ચર્ચા થશે. દરમિયાન વડાપ્રધાન ડૉય મનમોહન સિંઘ દ્વારા મંગળવારે સાંજે સાત વાગ્યે નવીદિલ્હી ખાતે યુપીએના ઘટકદળોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સરાકારી પ્રતિનિધિઓ હાજર લોકોને આ અંગે માહિતી આપે તેમ માનવામાં આવે છે.
સિબ્બલે મોનસૂન સત્રમાં કડક જોગવાઈઓ ધરાવતો લોકપાલનો ખરડો રજૂ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સિબ્બલના કહેવા પ્રમાણે, આ અંગે સરકારે દેશની જનતાને વચન આપ્યું હતું અને તેને પુરું કરવામાં આવશે.
તમારો મતશું તમને લાગે છે કે, કેન્દ્ર સરકાર લોકપાલના કાયદા પ્રત્યે ગંભીર છે ? શું દેશને કડક લોકપાલ કાયદો મળશે ? તમારો મત નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી આઈટી નીતિ પ્રમાણે, ઈન્ટરનેટ પર ધૃણાસ્પદ, વિવાદાસ્પદ કે ધિક્કારાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારો વાંચક પોતે જવાબદાર રહેશે.