સિવિલ સોસાયટીના સભ્ય અરવિંદ કેજરીવાલ દ્વારા નવીદિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે આરોપ મુક્યો હતો કે, સરકારી ડ્રાફ્ટ પ્રમાણે, લોકપાલનો કાયદોએ સરકારી અધિકારીઓ માટે નહીં પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓ સામે ઘડાઈ રહ્યો હોય તેવું જણાય છે.
-''સ્વૈચ્છિક સંસ્થાઓ છે સરકારી લોકપાના નિશાન પર''
-સરકારના 65 હજાર કર્મચારી અને સાડા ચાર લાખ એનજીઓ પર નજરનું કામ સોંપાશે
-વિવિધ જોગવાઈઓ અયોગ્ય હોવાનો આરોપ
કેજરીવાલના કહેવા પ્રમાણે, સરાકરી ડ્રાફ્ટ પ્રમાણે તમામ સરકારી કર્મચારીઓ નહીં, પરંતુ માત્ર 65 હજાર કર્મચારીઓને આવરી લેવાની વાત કરવામાં આવી છે. વધુમાં સાડા ચાર લાખ એનજીઓ પર લોકપાલ નજર રાખશે. વળી, કંપનીઓ પર લોકપાલ નજર નહીં રાખે. જે દર્શાવે છે કે, સરકાર ઈચ્છતી નથી કે, અધિકારીઓ આ કાયદા હેઠળ આવે.
લોકપાલની નિમણૂંક, હકાલપટ્ટી તેના ખર્ચ અંગેના સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચેના મતભેદોને તેમણે દોહરાવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, સામાન્ય જનને પણ સત્તા રહેવી જોઈએ કે, તે લોકપાલ સામે ફરિયાદ દાખલ કરી શકે. જો લોકપાલના કોઈ કર્મચારી સામે ફરિયાદ થાય. તો તેની સામે તપાસ માટે સ્વાયત સંસ્થા હોવી જોઈએ. જે સુપ્રીમ કોર્ટ દ્વારા પોલીસ વ્યવસ્થા માટે સૂચવવામાં આવેલી સંસ્થા જેવી રહેશે. પરંતુ, સરકાર દ્વારા આ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
એફઆઈઆર કરતા પહેલા આરોપી અધિકારીને પૂછપરછ કરવાની જોગવાઈ સરકારી ડ્રાફ્ટમાં કરવામાં આવી છે. જે વાસ્તવિક નથી અને વાહિયાત છે. કારણ કે, ગુનો સાબિત થાય તે પહેલા તમામ પુરાવા તેમને આપી દેવા જેવી વાત છે. વિશ્વના કોઈ ફોજદારી સંસ્થામાં આ પ્રકારની હાસ્યાસ્પદ જોગવાઈ નથી. સીબીઆઈ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વે પ્રમાણે, જો સરકારી અધિકારી ભ્રષ્ટાચાર કરતા પકડાઈ તો તેને ક્યારેય સજા થતી જ નથી. કારણ કે, તપાસમાં 13 મહિના લાગે છે, ટ્રાયલમાં 13 મહિના લાગે છે, અને સજા થતા વધુ 25 વર્ષ નીકળી જાય છે. ત્યાર સુધીમાં તે નિવૃત્ત થઈ ગયો હોયછે.
સિવિલ સોસાયટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે, ભ્રષ્ટાચારના કેસોમાં સુનાવણી કરવા માટે હાઈકોર્ટની બેન્ચો ઊભી કરવામાં આવે. જેથી છ મહિનામાં કેસનો નિકાલ થઈ શકે. પરંતુ, આ જોગવાઈ ઉપર સરકારે ધ્યાન નથી આપ્યુ. સિવિલ સોસાયટીએ ભ્રષ્ટાચાર માટે આજીવન કેદની સજાની માંગણી કરી છે, જ્યારે સરકાર દસ વર્ષની ટોચ મર્યાદા લાવવા માંગે છે. સરકાર હોદ્દા વધતા સજા વધે, તેવી જોગવાઈ સાથે પણ સહમત નથી.
કેજરીવાલના કહેવા પ્રમાણે, સરકારી ડ્રાફ્ટ મુજબ લોકપાલ કોઈપણ અધિકારીને દુર કરવા માટે ભલામણ કરી શકે. તેને હટાવી શકે નહીં. જ્યારે અધિકારીને હટાવવાની સત્તા જે-તે મંત્રીને રહે. આમ કરવું શક્ય નથી, કારણ કે, જો અધિકારી ભ્રષ્ટ હોય તો નેતા તેની સાથે સંડોવાયેલો નથી તેની શું ખાતરી? તેમણે ઉમેર્યું હતું કે, એનજીઓની તપાસ સામે તેમને કોઈ વાંધો નથી. 'વ્હીસલ બ્લોઅર' માટે સુરક્ષાની જવાબદારી લોકપાલ હેઠળ રાખવાની માંગ પર સરકારે ધ્યાન નથી આપ્યું.
કેજરીવાલના કહેવ પ્રમાણે, જો કોઈ સરકારી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તો લોકપાલને સત્તા મળવી જોઈએ કે, તે હાઈકોર્ટના દરવાજા ખખડાવીને જે-તે પ્રક્રિયા અટકાવી શકે. આ માટે કેજરીવાલે 2જી સ્પેક્ટ્રમનું ઉદાહરણ ટાંક્યું હતું. કેજરીવાલના કહેવા પ્રમાણે, જે-તે સમયે મીડિયાના રિપોર્ટ પર ધ્યાન અપાયું હોત તો કૌભાંડ અટકાવી શકાયું હોત. કેજરીવાલે આોપ મુક્યો હતો કે, માનવ સંશાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલ વિવિધ મુદ્દાઓ પર દેશને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.
તમારો મત
શું તમને લાગે છે કે, દેશને કડક લોકપાલ મળશે ? જો અણ્ણા હજારે દ્વારા 16 ઓગસ્ટે આંદોલન શરૂ કરવામાં આવે તો તમે તેને સમર્થન આપશો ? તમારો મત નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી આઈટી નીતિ પ્રમાણે, ઈન્ટરનેટ પર ધૃણાસ્પદ, વિવાદાસ્પદ કે ધિક્કારાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારો વાંચક પોતે જવાબદાર રહેશે.