ભાજપે કાશ્મીર ખીણમાં સર્જાયેલી અશાંતિને નિયંત્રણમાં કરવામાં અસફળ થઈ રહેલી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરીને કહ્યું છે કે કાશ્મીરી ભારતથી અલગ થવાની માગણી કરી રહ્યાં છે અને તેઓ નોકરીઓ તથા આર્થિક વિકાસની માગણી કરી રહ્યાં નથી.
જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર લોકસભામાં ચર્ચા દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ગૃહમંત્રીને પી. ચિદમ્બરમને કાશ્મીરીઓને સ્પષ્ટપણે જણાવા કહ્યું હતું કે તેમની `આઝાદી` અને સ્વાયત્તતાની માગણી પૂરી કરી શકાય તેમ નથી.
જોશીએ કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને દુનિયાની કોઈ શક્તિ તેને ભારતથી અલગ કરી શકે તેમ નથી. મુરલી મનોહર જોશી દ્વારા લોકસભામાં જમ્મુ-કાશ્મીર મુદ્દે જોશભેર ભાષણની શરૂઆતને ભાજપના સાંસદોએ પાટલીઓ થપથપાવીને વધાવી લીધી હતી.
તેમણે કહ્યું હતું કે `તમે કહ્યું કે મૂળ દર્દો છે. હું પુછું છું કે તે ક્યાં છે? શું ભારતે લશ્કર મોકલ્યું હતું...શું આપણે કાશ્મીરને કબ્જે કર્યું છે? શું ફરીયાદો છે? મને કાશ્મીરની આઝાદીની માગણી સિવાય કોઈ દર્દ દેખાતું નથી. જો તમે તેને અસલ ફરીયાદો ગણતાં હોય તો મહેરબાની કરીને તેમને સ્પષ્ટપણે જણાવી દો કે આઝાદી કે સ્વાયત્તતા શક્ય નથી, તે ઉપયુક્ત નથી.`
જોશીની આ ટિપ્પણી પર લોકસભામાં નેશનલ કોન્ફરન્સના સાંસદો શરીફુદ્દીન શરીક અને મહેબૂબ બેગે વાંધો ઉઠાવતા ગૃહમાં હોબાળો સર્જાયો હતો. સ્પીકર મીરા કુમારે ઉશ્કેરાયેલા નેશનલ કોન્ફરન્સના સાંસદોને તેમના સ્થાન પર જવાનું કહ્યું હતું.
વડાપ્રધાન મનમોહન સિંહની સર્વપક્ષીય બેઠકની ઠેકડી ઉડાતા કટ્ટર અલગતાવાદી સૈયદ અલી ગિલનીના નિવેદનને ટાંકીને જોશીએ સરકારને કહ્યું હતું કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં વધારે નાણાં બરબાદ ન કરે. જોશીએ કહ્યું હતું કે ગિલાનીએ કહ્યું છે કે તેઓ આવી બેઠકોને મહત્વ આપતા નથી, કારણ કે તેનાથી કાશ્મીરની આઝાદી આવવાની નથી. જોશીએ ગૃહમંત્રીને તેમણે ક્યાં પ્રકારની વાતચીતનો પ્રસ્તાવ મુક્યો હતો તે વિગતવાર સમજવા કહ્યું હતું.
મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે કાશ્મીરી કહે છે કે તેઓને ભારતથી આઝાદી જોઈએ છે, જો તે સમસ્યા હોય, તો તેને તમે કેવી રીતે ઉકેલશો? તમે વાતચીત માટે કેવા ફ્રેમવર્કનો પ્રસ્તાવ મુક્યો હતો? જોશીએ કહ્યું હતું કે જો સરકાર રાજ્યમાં સ્વાયત્તતા આપવાનો વિચાર કરી રહ્યી હોય તો, તેમણે એ પણ વિચારવું જોઈએ કે પૂર્વોત્તરમાં શું થશે?
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ-370ને હટાવાની વાતની તરફેણ કરીને ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે કંઈક હિંમત દેખાડો અને તેમને કહો કે કાશ્મીર ભારતનો અતૂટ હિસ્સો છે તથા તે સંદર્ભે કોઈ સમજૂતી નહીં થાય.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં છેલ્લા બે માસથી અશાંતિ ચાલી રહી છે. પ્રદર્શનો અને પથ્થરમારાની ઘટનાઓ વચ્ચે 64 લોકો માર્યા ગયા છે.
જોશીએ કહ્યું હતું કે સરકારે 94 હજાર કરોડ રૂપિયા જમ્મુ-કાશ્મીરમાં વહેવડાવી દીધા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર દેશની વસ્તીના 1 કે 2 ટકા થાય છે.
તેમણે કહ્યું હતું કે કલ્પના કરો કે 1 કે 2 ટકા જેટલી વસ્તી 10-12 ટકા જેટલી વસ્તીનું બજેટ મેળવે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જમ્મુ-કાશ્મીરનું શાસન ભ્રષ્ટ વહીવટદારો દ્વારા થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે જો સ્થાનિક નેતાઓ રૂપિયા ખાય છે, તો તેઓ ભારતની શા માટે નિંદા કરે છે?