આસામ અને ત્રિપુરાની પોલીસ પૂર્વોત્તર ભારતમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની પ્રવૃતિઓની સંયુક્ત તપાસ કરી રહી છે. ગત માસ એક સંદીગ્ધ આઈએસઆઈ એજન્ટની ધરપકડ બાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે આઈએસઆઈ એજન્ટ મનીર ખાન ઉર્ફે ઉમર અશરફ અને તેના ભારતીય સાથીદારોને પૂછપરછ માટે ગૌહાટી લઈ જવા માટે આસામ પોલીસની પાંચ સભ્યોની ટુકડી પહોંચી છે. ત્રિપુરા પોલીસે ત્રણ જુલાઈએ મનીર અને તેના છ સાથીદારોને અગરતલામાં ઝડપ્યા હતા.
મુખ્ય મેટ્રોપિલિટન મેજીસ્ટ્રેટ ત્રિબિદ ચંદ્ર રાય ભૌમિકે સોમવારે મનીર અને તેના સાથીદારોને આસામ પોલીસની ટ્રાન્ઝિટ રિમાન્ડમાં મોકલી આપ્યા અને તેમને આગામી 30 દિવસમાં કામરૂપ જિલ્લાના મુખ્ય મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આસામ પોલીસ આઈએસઆઈ એજન્ટ અને તેના સાથીદારોને આસામ સાથે જોડાયેલા મામલાઓમાં પૂછપરછ માટે લઈ જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે પૂછપરછ દરમિયાન ત્રિપુરા પોલીસને મળેલી માહિતી આસામ પોલીસને પણ ઉપલબ્ધ કરવાય રહી છે.
ઉપ પોલીસ અધિક્ષક હરિમોહન દાસે કહ્યું હતું કે મનીરે પૂછપરછ દરમિયાન પૂર્વોત્તર અને દેશના અન્ય વિસ્તારોમાં આઈએસઆઈની યોજનાઓનો ખુલાસો કર્યો છે. તેના ખુલાસા બાદ ત્રિપુરાની એક પોલીસ ટુકડી આસામના ગૌહાટી મોકલવામાં આવી હતી.
દાસે કહ્યું હતું કે મનીર પાસેથી મળેલી જાણકારીના આધારે આસામ પોલીસે ગત મહિને ગૌહાટીમાં આઈએસઆઈ સાથે જોડાયેલા એક વ્યક્તિ બિક્રમ દાસની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, મનીર ગત માસની શરૂઆતમાં બાંગ્લાદેશથી પશ્ચિમી ત્રિપુરા આવ્યો હતો. આઈએસઆઈના નેટવર્કને વધારવા તે ગૌહાટી અને અન્ય શહેરોમાં ગયો હતો.
એક અન્ય પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મનીર પાકિસ્તાની નાગરીક છે અને તેણે પાકિસ્તાનમાં મુલ્તાન તથા ભાવલપુરમાં આઈએસઆઈની શિબિરોમાં તાલીમ લીધી છે.