સુપ્રીમ કોર્ટે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ને સોંપવાના ગુજરાત સરકારના નિર્ણય પર શુક્રવારે બ્રેક મારી દીધી છે. સીટ ગુજરાતમાં ગોધરાકાંડ પછીની કોમી હિંસાના કેસની તપાસ કરી રહી છે.
ઈશરતની માતા શમીના કૌસર વતી એડવોકેટ બ્રિન્દા ગ્રોવરે અરજી કરી હતી અને ઈશરત એન્કાઉન્ટર કેસની તપાસ સીટને સોંપવાના ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. તેને પગલે જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીની અધ્યક્ષતા હેઠળની બેન્ચે ઉપરોકત આદેશ કર્યો હતો. ઈશરતની માતા આ કેસની તપાસ સીટ નહીં, પરંતુ સીબીઆઈ કરે તેવું ઈચ્છે છે.
અગાઉ હાઈકોર્ટે શમીનાની અરજીની સુનાવણી કરી ત્યારે ઈશરત અને અન્ય ત્રણની હત્યાના કેસની તપાસ સીટને સોંપવાનો નિર્ણય લીધો હતો. મેજિસ્ટ્રેટ એસ.પી. તમાંગનાં તારણોને પગલે કોર્ટે આ નિર્ણય કર્યો હતો.
તમાંગે તેમના તારણમાં કહ્યું હતું કે આ બનાવટી એન્કાઉન્ટર ઠંડે કલેજે કરાયેલી હત્યા જ હતી. શમીનાની દલીલ છે કે, સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની તપાસ જે રીતે સીબીઆઈને સોંપાઈ છે તે જ રીતે આ કેસની પણ સીબીઆઈને જ તપાસ સોંપવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ સ્થિત ૧૯ વર્ષીય ઈશરતનું જાવેદ શેખ ઉર્ફે પરેશ પિલ્લઈ તથા અન્ય બે શખસો સાથે ૧૫ જુન, ૨૦૦૪ના રોજ પોલીસે અમદાવાદ નજીક એન્કાઉન્ટર કર્યું હતું. ગુજરાત પોલીસે એ વખતે દાવો કર્યો હતો કે ઈશરત અને જાવેદ સહિત આ તમામ લશ્કર-એ-તોઇબાના ત્રાસવાદીઓ હતા, જે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે ઈશરત અને પિલ્લઈ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાના નિયમિત સંપર્કમાં હતા અને ખાસ કરીને ગુજરાતમાં ત્રાસવાદી હુમલાને અંજામ આપવા માટે તેઓ તોઇબાના સંપર્કમાં હતા.