અમેરિકી આઇટી નિષ્ણાતોની એક ટુકડીએ દાવાપૂર્વક જણાવ્યું છે કે, ભારતના ઇવીએમ સાથે છેડછાડ થઇ શકે છે. ટુકડીનું માનવું છે કે, ભારતના ચૂંટણી પંચે વધુ પારદર્શી અને વિશ્વસનીય એવા બીજા વિકલ્પો વિષે વિચારણા કરવી જોઇએ. શિક્ષણવિદો અને નિષ્ણાતોના એક જુથે નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતીય ઇવીએમની રચના ઘણી સારી છે, પરંતુ તેમાં છેડછાડ થઇ શકે છે.
વોશિંગ્ટન ખાતે અમેરિકી નિષ્ણાતો અને ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે એક સંમેલનમાં આ મુદ્દે ગહન ચર્ચા થઇ હતી. આ ચર્ચા બાદ નિષ્ણાતોએ ઇવીએમ સાથે છેડછાડ થઇ શકવાની સંભાવના હોવાનું કહેતાં નિવેદન જારી કર્યું હતું.
નિવેદન મુજબ ઇવીએમ આવી ગયા બાદ તેની સાથે છેડછાડ કરવાના કીમિયા પણ શોધી કાઢવામાં આવ્યા છે. ઇવીએમની સુરક્ષા માટે હવે ઉપાય કરવાનો કોઇ અર્થ નથી. ચર્ચાને અંતે અમે નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, ભારતીય ઇવીએમ મશીન આજે એટલા પારદર્શી અને સુરક્ષિત નથી રહ્યાં કે, જેના દ્વારા મળતાં ચૂંટણી પરિણામો પર વિશ્વાસ મૂકી શકાય.
જોકે, ભારતના ચૂંટણી પંચ, આઇઆઇટી મદ્રાસના નિષ્ણાત અને નાયબ ચૂંટણી અધિકારી ઇંદ્રસેન આ વાતને નકારે છે. તેમના કહેવા પ્રમાણે, ભારતનું ઇવીએમ ટેમ્પરપ્રૂફ છે. જોકે, તેઓ, સ્વીકારે છેકે, હજૂ કેટલાક સુધારા શક્ય છે. જોકે, યુએસઇનેક્સમાં ભાગ લેનારા બહુ થોડા આઇટી નિષ્ણાતોએ આ વાતનો અસ્વીકાર કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, ભારતનું ઇવીએમ મશિન ટેમ્પર કરી શકાય છે.