ડિઝલ-કેરોસિનમાં લિટરદીઠ રૂ. દસનો ભાવવધારો ઝીંકાશે

ડીઝલમાં તોળાતો ૧૦નો વધારો
ઓઇલ કંપનીઓની દરખાસ્ત ઓઇલ મંત્રાલય સ્વીકારી લેશે તો આગામી ૧૦ મહિનાની અંદર ડીઝલમાં રૂ.૧૦ સુધીનો અને આગામી બે વર્ષની અંદર કેરોસીનમાં પણ આટલી રકમનો વધારો થઇ શકે છે.
આ ભાવવધારાને, ડીઝલ, રાંધણગેસના સિલિન્ડર અને કેરોસીનનાં વેચાણ પર ચાલુ નાણાકીય વર્ષે થનારી અસાધારણ એવી રૂ.૧,૬૦, ૦૦૦ કરોડની ખોટને પહોંચી વળવા સરકાર દ્વારા શોધાઇ રહેલા ઉપાયોમાંથી એક તરીકે ગણવામાં આવી રહ્યો છે. કેમ કે, ઓઇલ કંપનીઓ આ તમામ ઇંધણનું વેચાણ તેની પડતર કિંમત કરતાં પણ ઓછા ભાવે કરી રહી છે.
હાલમાં દિલ્હીમાં ડીઝલ ૪૭.૧પ રૂપિયા લિટરના ભાવે અને કેરોસીન ૧૪.૭૯ રૂપિયાના લિટરના ભાવે વેચાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીઝલના ભાવમાં ૧૪મી સપ્ટેમ્બરે પ.૬૩ રૂપિયાનો વધારો કરાયો હતો. જ્યારે કેરોસીનના ભાવમાં ગત જૂન મહિનાથી હજુ સુધી કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઓઇલ મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અમારી પાસે કોઇ જ વિકલ્પ રહ્યો નથી. ભાવવધારાની જરૂરિયાત છે. આ ઇંધણની પડતર કિંમતના સમાંતર રિટેલ ભાવ લાવવા હશે તો ડીઝલના ભાવમાં આગામી ૧૦ મહિના સુધી દર મહિને રૂપિયા એકનો વધારો કરવા અંગે સરકાર વિચારી રહી છે.
સરકાર હસ્તકની ઓઇલ કંપનીઓ હાલમાં લિટરે રૂપિયા ૯.૨૮ની ખોટ ખાઇને ડીઝલનું વેચાણ કરી રહી છે અને આગામી ૧૦ મહિના સુધી ભાવ વધારો થતો રહેશે તો ઓઇલ કંપનીઓ ખોટમાંથી મુક્ત થશે અને દેશના સૌથી વપરાતા ઇંધણ પર કોઇપણ પ્રકારની સબસિડી આપવામાંથી સરકારને મુક્તિ મળશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બે વર્ષના સમયગાળા દરમિયાન કેરોસીનના ભાવમાં પણ રૂપિયા ૧૦ સુધીનો વધારો કરવા વિચારણા ચાલી રહી છે.






