ચોમાસું દેશના વિવિધ ભાગોમાં મૌસમના આ અસામાન્ય વ્યવહારને હવામાન નિષ્ણાતો પણ સમજી નથી શકતા
દેશનો મોટા ભાગનો હિસ્સો પાણીમાં ડુબેલો છે, જ્યારે બિહાર, પૂર્વ ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ જેવા વિસ્તારો જ્યાં દર વર્ષે પૂર આવે છે. આ વર્ષે તે દુષ્કાળ હેઠળ છે. છતાં સરકાર વિક્રમી પાકનો દાવો કરી રહી છે. દેશમાં ૨૦૦૯માં કુલ ઉત્પાદન ૨૩૪ મિલિયન ટન હતું જ્યારે ૨૦૧૦માં આ ગબડીને ૨૧૮ ટન થઇ ગયું હતું. આ વર્ષે મૌસમની અનિશ્ચિત્તા વચ્ચે સરકારનું અનુમાન ૨૪૦ ટન પાકનો છે. શું છે હવામાન ખાતાની અનિશ્ચિતતાનું કારણ અને તેની અસર શું થશે.
હિમાચલ : સફરજનનો પાક. બરબાદ
રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ - ૫૦૪ મિમી
આ વર્ષે અત્યાર સુધી - ૭૦૦ મિમી
ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે રાજ્યમાં સફરજનનો ૨૦૦થી ૩૦૦ કરોડ રૂપિયાનો પાક નાશ પામ્યો છે. તો ૨૦થી ૨૫ કરોડ રૂપિયાના અન્ય પાકને પણ નુકસાન પહોંચ્યું છે. રોગ લાગતા ખેતરોમાં ટામેટા પણ સડી ગયા છે.
હિમાચલ પ્રેદેશના કૃષિ અધિકારી જેસી રાણાએ જણાવ્યું કે આ વખતે પ્રદેશના પાક પર વરસાદ અને હિમવર્ષાએ કેર વર્તાવ્યો છે. જ્યાં બે વર્ષ પહેલાં ખેડુતો અને માળીઓ વરસાદની અછતથી પરેશાન હતા ત્યાં આ વર્ષે અતિવૃષ્ટિ હિમવર્ષા અને પૂરે કહેર વર્તાવ્યો છે.
ગુજરાત : ક્યાંક વધુ તો ક્યાંક ઓછું
રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ - ૪૮૫ મિમી
આ વર્ષે અત્યાર સુધી - ૭૨૧ મિમી
સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થાય છે, પણ આ વખતે ત્યાં અત્યાર સુધીમાં સામાન્ય વરસાદ થયો છે. આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લો રાજ્યમાં ચેરાપુંજી ગણાય છે. જોકે, ૧૭મી ઓગસ્ટ સુધીમાં ત્યાં ૪૯ ટકા જ વરસાદ નોંધાયો છે.
નવસારીમાં ૫૬, સુરતમાં ૫૨ અને તાપી નદીના કાંઠા વિસ્તારમાં ૪૦ ટકા વરસાદ નોંધાયો છે. તેનાથી વિપરીત કચ્છમાં ૧૫૮, જામનગરમાં ૧૫૭, પોરબંદરમાં ૧૪૦ અને જુનાગઢમાં ૧૧૧ ટકા વરસાદ વરસી ચૂકયો છે. ગુજરાતમાં કપાસ, મગફળી, તલ અને અનાજની ૮૩ લાખ હેકટર જમીન પર વાવણી થઇ ચૂકી છે.
છત્તીસગઢ : ત્રણ જિલ્લા કોરાધાકોર, આઠમાં પૂર
રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ - ૭૭૪ મિમી
આ વર્ષે અત્યાર સુધી - ૭૫૬ મિમી
પ્રદેશના ઉત્તરી જિલ્લા સરગુલા, જશપુર અને કોરબામાં દુષ્કાળના એંધાણ વર્તાઇ રહ્યા છે. સરગુલા જિલ્લામાં કુલ વરસાદનું પ્રમાણ ૭૮૬ મિમી છે. જેની સામે માત્ર ૪૦૨ મિમી વરસાદ થયો છે. જશપુરમાં પણ ૪૮૨ મિમી અને કોરબામાં ૫૦૬ મિમી વરસાદ નોંધાયો છે.
તેની સામે દક્ષિણમાં બસ્તર, બિજાપુર અને દુર્ગ જેવા જિલ્લાઓમાં કુલ ટકાવારી કરતાં દોઢગણો વધુ વરસાદ થયો છે. અહીં લગભગ ૫,૦૦ હેકટર જમીન પરનો પાક ખરાબ થઇ ગયો છે. સમસ્યા એક જ દિવસમાં તૂટી પડતાં મુશળધાર વરસાદની છે.
હરિયાણા : પૂરથી ભારે નુકસાન
રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ - ૭૦૦ મિમી
આ વર્ષે અત્યાર સુધી - ૫૨૧.૯ મિમી
આ વર્ષે ધગ્ગર નદીનો આડબંધ તૂટતાં અંબાલા, શાહાબાદ,કુરક્ષેત્ર અને કૈથલ પૂરમાં ફસાયા હતા. પછી તો પંજાબમાંથી એસવાયએલ નહેરમાંથી વધુ પાણી છોડાતાં હરિયાણાના અનેક વિસ્તારોમાં પૂર આવતાં ૨૭ લોકો માર્યા ગયા.
રાજમાર્ગ પણ ઘણા દિવસ સુધી પાણીમાં ડૂબેલો રહ્યો. પૂરની સ્થિતિને કારણે વાવેતર થયેલા ૨.૮૫ લાખ હેકટર વિસ્તારમાં નુકસાન થયું. તેમાં૨.૫૯ લાખ હેકટર વિસ્તારમાં તો ડાંગરનું વાવેતર હતું.
પંજાબ : ધગ્ગર નદીએ તબાહી મચાવી
રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ - ૩૪૨.૧ મિમી
આ વર્ષે અત્યાર સુધી - ૩૧૨.૬ મિમી
રાજ્યમાં ધગ્ગર નદીમાં આવેલા પૂરે કારણે ભારે તબાહી મચી છે. માનસા જિલ્લાના ૨૦ ગામોમાં પાંચ હજાર એકર વિસ્તારમાં પાકને નુકસાન પહોંચ્યું છે. સંગરુર અને મોગા પણ ધગ્ગર નદીની ચપેટમાં આવ્યા છે. મોગામાં ૪૪૨ મકાન ધરાશાયી થઇ ગયા અને ૧૪ એકરમાં પાક નાશ પામ્યો.
એસવાયએલ કેનાલમાં તિરાડ પડતા પટિયાલાના ૧૫૦ ગામો પૂરસંકટમાં ઘેરાયા હતા. જિલ્લામાં સવા લાખ એકરમાં ડાંગરનો પાક ખરાબ થઇ ગયો જેનાથી ૬૦ કરોડનું નુકસાન થવાની આશંકા છે. બીજી બાજુ લુધિયાનામાં સતલજ નદીના પૂરમાં ડાંગરના ૪૦ ટકા પાકને અસર થઇ છે.
રાજસ્થાન : બાડમેરના ગામોમાં પાણી ભરાયાં
રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ - ૩૮૨.૩૫ મિમી
આ વર્ષે અત્યાર સુધી - ૩૮૬.૮૫ મિમી
રાજ્યમાં સામાન્યથી અતિભારે વરસાદ થઇ ગયો છે. રણના બાડમેર અને જેસલમેર જિલ્લામાં ૬૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે. બાડમેરમાં ૧૪૩ ટકા, જેસલમેરમાં ૧૮૫ ટકા અને બીકાનેરમાં ૭૨ ટકા વધુ વરસાદ નોંધાયો છે. એટલું જ નહિ પણ ઉદયપુરમાં ૪૯૪.૧૪ અને રાજસમંદમાં ૪૨૪.૪૮ મિમી વરસાદ થયો છે. જે સામાન્ય કરતાં અનુક્રમે ૩૦ અને ૩૬ ટકા વધુ છે.
હવામાન વિજ્ઞાની મોહરસિંહના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર પરથી આવનારું ચોમાસું અધિક સક્રિય થવાના કારણે દેશના પશ્ચિમી ભાગમાં પૂરની સ્થિતિ ઊભી થઇ છે.
મધ્યપ્રદેશ : અઢાર ટકા ઓછો વરસાદ
રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ - ૬૩૬ મિમી
આ વર્ષે અત્યાર સુધી - ૫૫૭ મિમી
આ પ્રદેશમાં ચાલુ વર્ષે ૧૮ ટકા ઓછો વરસાદ થયો છે. રિવા, સતના, રૂ.ટીકમગઢ, કટની, અનુપપુર, સિહોર, શાઝાપુર, શ્યોપુર અને ઝાબુઆ જિલ્લામાં સામાન્યથી ૩૦થી ૫૦ ટકા ઓછો વરસાદ પડ્યો છે.
વરસાદ થઇ ચૂક્યો છે પરંતુ ડાંગરનું વાવેતર કરતા ગોહદક્ષેત્રમાં ઓછો વરસાદ થતાં વાવણી પર ખરાબ અસર પડી છે. તો બીજી તરફ સાગર જિલ્લામાં દેવરી તાલુકામાં પાંચ વર્ષમાં સૌથી ઓછો વરસાદ (૨૮૭.૮૦ મિ.મી.) થતાં દુષ્કાળનો ભય સેવાઇ રહ્યો છે.
બિહાર : ડાંગરના વાવેતર પર દુષ્કાળનો માર
રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ - ૬૮૬ મિમી
આ વર્ષે અત્યાર સુધી - ૫૦૬ મિમી
પ્રત્યેક વર્ષે કોસી જેવી નેપાળના પહાડોમાંથી નદીઓના પૂરપ્રકોપને સહેનારા રાજ્યના ત્રણ જિલ્લામાં સામાન્યથી સાધારણ વધુ વરસાદ થયાની ઘટનાને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં દુષ્કાળ જાહેર થયો છે. રાજ્યમાં ૩૫.૫૦ લાખ હેકટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થવાનું હતું પરંતુ ૧૭.૭૯ લાખ હેકટરમાં જ વાવેતર સંભવ બન્યું છે. મકાઇ વાવેતરનું લક્ષ્યાંક ૩.૭૫ લાખ હેકટર હતું જ્યારે વાવેતર માત્ર ૨.૯૧ લાખ હેકટર વિસ્તારમાં જ થયું.
આશા હજી બાકી છે
ભારતીય હવામાન વિભાગ, નવી દિલ્હીના નિયામક બી.પી.યાદવ કહે છે કે દેશના કેટલાક વિસ્તારમાં પૂરપ્રકોપ રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં દુષ્કાળનો ખતરો તોળાઇ રહ્યો છે. આ ઘટનાને સીધી ગ્લોબલ વોર્મિંગ સાથે ના જ જોડી શકાય. સમયાંતરે આવી સ્થિતિ સર્જાતી રહે છે. બિહાર સહિત પૂર્વના વિસ્તારોમાં પણ હવે વરસાદ થવા લાગ્યો છે અને આશા હજી બરકરાર છે.
ગ્લોબલ વોર્મિંગ
ભોપાલ હવામાન વિભાગના નિયામક ડીપી દુબેએ જણાવ્યા મુજબ હવામાન પર ગ્લોબલ વોર્મિંગ સહિત અનેક બાબતોનો પ્રભાવ સર્જાતો હોય છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં અંતર વધે છે તો હવા સમુદ્ર પરથી વધુ ભેજ લઇને જોરદાર ગતિથી નીકળે છે.આગળ જતાં એ જ જબરજસ્ત વરસાદનું કારણ બને છે.