નેશનલ હાઇવે ઓથોરિટીના એન્જિનિયર સત્યેન્દ્રકુમાર દુબેએ ૨૦૦૩ની ૨૭મી નવેમ્બરે પોતાની હત્યા પહેલાં સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાના જે અધિકારીઓ અને કોન્ટ્રેક્ટરોના ભ્રષ્ટાચાર વિશે તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો, તેઓ આજે પણ માત્ર કાયદાની પહોંચથી બહાર જ નથી પરંતુ અધિકારીઓ સતત બઢતી મેળવતા રહ્યા અને કોન્ટ્રેક્ટરો નેતા બની ગયા.
દુબેએ પત્રમાં પોતાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રેક્ટરોને ગુપ્ત માહિતી લીક કરવા અને કોન્ટ્રેકટ આપવાના આગામી દિવસે જ ૪૦ કરોડ રૂપિયા સુધીની એડવાન્સ ચુકવણી કરવા જેવા સંગીન આરોપ મૂક્યા હતા. કોન્ટ્રેકટ એલ એન્ડ ટી પાસે હતો અને એલ એન્ડ ટીએ થોડુંક કામ સ્થાનિક માફિયાને સબલેટ કરી દીધું હતું. તે વખતે ઓથોરિટી (એનએચએઆઇ)ના પ્રોજેક્ટ ડિરેક્ટર એસકે સોની અને જનરલ મેનેજર આરપી ઇંદોરિયા હતા. સોની અને પ્રોજેક્ટ કન્સલટન્ટ બ્રિગેડિયર સતીશ કપૂરનું તો સીબીઆઇએ એફઆઇઆરમાં નામ પણ આપ્યું હતું. સીબીઆઇના દરોડામાં સોનીના ઘરેથી બિનહિસાબી સંપત્તિ મળી હતી.
જોકે, ૨૭મી માચેઁ આ કેસમાં પટણાની એક અદાલતે ત્રણ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી હતી, પણ સત્યેન્દ્રના વૃદ્ધ પિતા બાગેશ્વરી દુબેનું માનવું છે કે સાચા આરોપીઓ હજી આઝાદ ફરે છે. જેમને સજા ફટકારાઇ છે તે નિર્દોષ છે. તેમને કોઇના દબાણમાં આવીને બલિના બકરા બનાવવામાં આવ્યા છે.
આઇઆઇટી કાનપુરના વિદ્યાર્થી રહી ચૂકેલા ૩૧ વર્ષના સત્યેન્દ્રની ૨૭મી નવેમ્બર-૨૦૦૩ના રોજ બિહારના ગયા શહેરના સિર્કટ હાઉસ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે દિવસે સત્યેન્દ્ર બનારસથી પાછો ફર્યો હતો અને ટ્રેનમાંથી ઊતરીને રિક્ષામાં પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. સત્યેન્દ્રના નાના ભાઇ ધનંજય કહે છે કે માફિયા ઠેકેદારોના ગઠબંધનના કારણે અસલ હત્યારા આજે પણ આઝાદ ફરી રહ્યા છે. જેમનાં સામે કોઇ કાર્યવાહી નથી થઇ રહી.ગુણવત્તા સાથે સમજુતી ન કરવી એ સત્યેન્દ્રની આદત હતી.
દિલ્હી સ્થિત કેન્દ્રીય ભૂતળ પરિવહન મંત્રાલયમાં જોડાયા ના એક માસની અંદર જ સત્યેન્દ્રને એક બંધ કવરમાં લાંચ આપવાનો પ્રયાસ થયો હતો, પણ સત્યેન્દ્રએ પોલીસ બોલાવી લીધી હતી. ધનંજય કહે છે કે આખી દુનિયાના રૂપિયા પણ મારા ભાઇને લાંચ આપવા માટે ઓછા હતા. કેમ કે, તે સ્વભાવથી જ ઇમાનદાર હતો.
સત્યેન્દ્રની પિતા કહે છે કે જે ભ્રષ્ટાચારીઓ અને માફિયા તત્વો સામે મારા પુત્રએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. જો તેમને સજા થતી તો તે તેની કુરબાની પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ ગણાત.
દોષી કોણ : સીબીઆઇએ સત્યેન્દ્રના હત્યાના કારણ લૂંટનો વિરોધ કરવો માન્યું હતું. આ કેસમાં મંટુ સિંહ, ઉદય સિંહ અને પિંકુ રવિદાસને આજીવન કેદની સજા થઇ છે. સત્યેન્દ્રની માં કહે છે કે સજા થઇ છે તે તમામ નિર્દોષ છે. સત્યેન્દ્રને રિક્ષામાં ઘર તરફ લાવી રહેલા રિક્ષાચાલક પ્રદીપને સરકારી સાક્ષી બનાવી દેવાયો છે. જ્યારે સત્યેન્દ્રનો મોબાઇલ આ રિક્ષાચાલક પાસેથી જ મળ્યો હતો. એ વાતની પણ તપાસ નથી થઇ કે સત્યેન્દ્ર દ્વારા વડાપ્રધાનને લખેલો પત્ર લીક કેવી રીતે થયો?