સૌમિલ ચૌબે તેમના પિતાની વાત કરે તો તેમની આંખોમાં ગર્વ સ્પષ્ટપણે છલકાતું જોવા મળે છે. ગત વર્ષે ૧૨ જુલાઈ રવિવારની સવારે રાજનાંદ ગામના એસપી તેમના પિતા વિનોદકુમાર ચૌબેને માહિતી મળી કે નક્સલવાદીઓએ મદનવાડાનાં અંતરિયાળ જંગલોમાં બે પોલીસ જવાનોની હત્યા કરી છે એટલે તુરંત તેઓ પોલીસ કાફલો લઈને નીકળી ગયા.
મહારાષ્ટ્રની સરહદે આવેલા કેરકેટ્ટી ગામમાં તેમના પર ખૂબ જ મોટો નકસલી હુમલો થયો. આ હુમલામાં ૪૯ વર્ષીય ચૌબે સહિત કુલ ૨૩ પોલીસ કર્મીઓ શહીદ થયા હતા. સૌમિલ તેમની માં રંજના ચૌબે સાથે આજે પણ ઈએસી કોલોનીના એ જ મકાનમાં રહે છે જે ચૌબેને રાયપુર પોસ્ટિંગ વખતે ફાળવવામાં આવ્યું હતું.
એન્જિનિયરિંગના વિદ્યાર્થી સૌમિલ એમ કહે છે કે આ મકાનમાં તેમના પિતાની સ્મૃતિઓ વસે છે તો આજે પણ તેમના પિતા અહીં હયાત હોય તેવો અહેસાસ થાય છે. તેમની શહાદત સ્પષ્ટપણે જણાવે છે કે નકસલીઓની વિચારધારા મુજબનું સામ્રાજ્ય ઊભું થઈ શકે તેમ નથી. લાશોના ઢગલા પર સામ્રાજ્ય નહીં પણ કબ્રસ્તાન બને છે. વિનોદકુમારે બિલાસપુરના સીએમડી ગર્લ્સ કોલેજમાં કેમેસ્ટ્રી ભણાવવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી.
૧૯૮૩માં તેઓ ડીએસપી તરીકે એ વખતના અવિભાજીત મધ્યપ્રદેશની પોલીસ સર્વિસમાં પસંદગી પામ્યા હતા. ત્યારબાદ ૧૯૯૬માં આઈપીએસમાં પસંદગી પામ્યા અને પોતાની બહાદુરી બદલ બે વખત તેમને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ પદક પણ આપવામાં આવ્યું હતું. અંતિમ અભિયાન પહેલાં પણ તેઓ નકસલીઓ સાથે થયેલી અથડામણોમાં બે વખત મોતના મોંથી બચીને આવ્યા હતા.
સૌમિલે જણાવ્યું હતું કે ‘પિતાના જવાથી તેમની ખોટ તો ક્યારેય નહીં પુરાય પરંતુ લોકો અમને દયાની નજરથી નહીં પરંતુ ગર્વની નજરથી જુએ છે. સમાજમાં સન્માન મળે છે. સાચા ભારતીય હોવાનો અહેસાસ થાય છે.’ તેમણે જણાવ્યા પ્રમાણે શાસન-પ્રશાસન દ્વારા દરેક તબક્કે મળેલા સન્માનથી લાગે છે કે નક્સલવાદ વિરુદ્ધ જાગરૂકતા વધી રહી છે. આ જ આ વિકરાળ સમસ્યા સામે લડવાનો એકમાત્ર ઉપાય છે.