સરકાર 13 વર્ષમાં 21 લાખ હેકટર ખેતીલાયક જમીનને અન્ય કામોમાં લઈ ચુકી છે. સરકારની અધિગ્રહણ નીતિના વિરોધમાં ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો આજે દેશની સૌથી મોટી પંચાયત સંસદનો ઘેરાવો કરી રહ્યાં છે. તેઓ એ વાતથી ગુસ્સામાં છે કે વિકાસના નામ પર સરકાર તેમની જમીન લઈ રહી છે અને બદલામાં ઓછું વળતર આપીને તેમની રોજી-રોટી છીનવી રહી છે.
જમીન અધિગ્રહણને લઈને સરકારની નીતિ વાસ્તવમાં એવી છે કે લોકોને ભૂખે મરવાની નોબત આવી શકે છે. દેશની લગભગ સવા અબજ વસ્તીમાંથી બે તૃતિયાંશ વસ્તી હજી પણ ખેતી પર નિર્ભર છે. વધી રહેલા શહેરીકરણ અને ઔદ્યોગીકરણને કારણે ખેતી સિવાયના કાર્યો માટે જમીનની જરૂરત વધી છે. પરંતુ સરકાર આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ખેતીલાયક જમીન લઈ રહી છે. આ અન્ન સંકટને નોતરું આપવાનું પગલું છે. સરકારી આંકડા પ્રમાણે, 1990થી 2003 સુધીના 13 વર્ષના ગાળામાં સરકારે 21 લાખ હેકટર ખેતીલાયક જમીન અન્ય બિનખેતીલાયક કામો માટે લઈ લીધી છે. આટલી જમીનમાંથી પેદા થનારા અનાજમાંથી કરોડો લોકોનું પેટ ભરી શકાય તેમ હતું.
2006થી 2008 વચ્ચે ભારતમાં કૃષિ ક્ષેત્રમાં માત્ર 2.3 ટકાનો વધારો થયો છે. ઘટતી ઉપજ અને ખેતી માટે વધી રહેલા ખર્ચાને કારણે દક્ષિણ અને પશ્ચિમી રાજ્યોના લગભગ 2 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. સરકારની કોટી જમીન અધિગ્રહણ નીતિ પણ આ સ્થિતિ માટે જવાબદાર કારણોમાંનું એક કારણ છે.
જમીન અધિગ્રહણને લઈને ખેડૂતોનો વિરોધ નવો નથી. વર્ષોથી જ્યાં પણ સરકાર ખેડૂતોની જમીન લે છે, ત્યાં વળતરને લઈને હંગામો મચે છે. તેના કારણે સેંકડો ઔદ્યોગિક પરિયોજનાઓ અધરમાં લટકી ચુકી છે અને હાલ પણ પરિસ્થિતિમાં મોટું અંતર આવ્યું નથી. આમ છતાં સરકારે આ સંદર્ભે કોઈ ઠોસ નીતિ બનાવી નથી.
જમીન અધિગ્રહણની જરૂરતનું કારણ વધી રહેલી શહેરી વસ્તી અને ઉદ્યોગ-ધંધાનો વિકાસ છે. એવામાં જમીનની જરૂરિયાત પણ વધી રહી છે. મુશ્કેલી એ છે કે વસ્તી વધવાને કારણે અનાજની જરૂરિયાત પણ વધી છે. એટલે કે સવા અબજની વસ્તીનું પેટ ભરવા માટે વધારે ખેતીલાયક જમીનની જરૂર છે. પરંતુ સ્થિતિ એ છે કે ખેતીલાયક જમીન ઔદ્યોગિક પરિયોજનાઓમાં વપરાય રહી છે. 2006થી સરકારે 568 વિશેષ આર્થિક ક્ષેત્ર (એસઈઝેડ)ને મંજૂરી આપી છે. એ વાત અલગ છે કે અડધાથી પણ ઓછાં એસઈઝેડમાં કામ ચાલુ થઈ શક્યું છે. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સના જણાવ્યા પ્રમાણે, જમીન અધિગ્રહણ સાથે જોડાયેલી ઠોસ નીતિના અભાવમાં 100 અબજ ડોલરથી પણ વધારેનું રોકાણ પ્રભાવિત થઈ રહ્યું છે.
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ)ના મહાનિદેશક રહી ચુકેલા સી.બેનર્જીએ કહ્યું છે કે જમીન અધિગ્રહણ સાથે જોડાયેલી સમસ્યા દેશમાં ઉદ્યોગ-ધંધાના વિકાસને ખરાબ રીતે પ્રભાવિત કરશે, જેની સીધી અસર દેશની સમગ્ર આર્થિક પ્રગતિ પર પડશે. દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રોફેસર સુરેશ તેંડુલકર કહે છે કે દેશણાં શ્રમશક્તિ વધી રહી છે. આટલી મોટી સંખ્યામાં લોકોને કૃષિક્ષેત્રથી રોજગાર મળી શકે નહીં. માટે આર્થિક પ્રગતિ માટે ખેતી સિવાયની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવું પડશે. દેશના સકલ ઘરેલુ ઉત્પાદમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન 17 ટકા છે, જ્યારે ઉદ્યોગ જગત જીડીપીના 29 ટકાની ભાગીદારી ધરાવે છે. તેના માટે ઉદ્યોગોનો વિકાસ પણ જરૂરી છે. પરંતુ કૃષિનો ભોગે આ વિકાસ ખતરનાક પરિણામ લાવી શકે છે.
આ સંદર્ભે નાણાંમંત્રી પ્રણવ મુખર્જીનું કહેવું છે કે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ખેડૂતોને મુશ્કેલી ન થાય અને તેમના હિતોને નુકસાન ન પહોંચે, કારણ કે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખેડૂતોની ભૂમિકા સૌથી વધારે મહત્વપૂર્ણ છે.
બુકર પુરસ્કાર વિજેતા લેખિકા અરુંધતી રોયનું કહેવું છે કે ભારત એક જ સમયમાં ઘણી શતાબ્દિઓની જીંદગી જીવી રહ્યું છે. કોઈને કોઈ સ્વરૂપે આપણે એકસાથે પ્રગતિ પણ કરીએ છીએ અને પાછળ પણ પડતાં જઈએ છીએ.