-સાંસદોએ પીએમઓને પ્રશ્ન કર્યો ‘મેલ’ અને ‘ઇમેલ’માં ભેદ શો?
-નવસારીના સાંસદ સી.આર.પાટિલે અને બિહારના સાંસદે પ્રશ્ન પૂછ્યો
‘મેલ’ અને ‘ઇમેલ’ વચ્ચેનો તફાવત આમ તો બધાને ખબર હશે પણ દેશના બે સંસદસભ્યો એવા છે કે જેમને આ તફાવતની જાણકારી નથી. આ બે સાંસદોએ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)પાસેથી આ અંગેની જાણકારી માગી છે.
બિહાર ગોપાલગંજના જનતા દળ (યુનાઇટેડ)ના સાંસદ પૂરનમાસી રામ અને ગુજરાતના નવસારી બેઠકના સાંસદ સી.આર.પાટિલે વડાપ્રધાન કાર્યાલય પાસેથી આ માહિતી માગી છે. વડાપ્રધાન મંત્રાલયના રાજ્યમંત્રી વી.નારાયણસામીએ બંને સાંસદોને પ્રશ્નનો જવાબ પણ આપ્યો છે. જવાબમાં નારાયણસામીએ જણાવ્યું છે કે ‘મેલ તે કાગળ આધારિત સંદેશાવ્યવહારનું માધ્યમ છે, જ્યારે ઇ-મેલ તે સંદેશાવ્યવહારનું એક વીજાણુ સ્વરૂપ છે.
બંનેએ એ પ્રશ્ન પણ પૂછ્યો કે જનતા વરિષ્ઠ અધિકારીઓને ઇ-મેલ દ્વારા પોતાની સમસ્યા જણાવે તેના પર કોઇ પ્રતિબંધ છે? એવું તો નથી ને કે સરકારી કર્મચારી જનતાના ઇ-મેલ વાંચ્યા કે જવાબ આપ્યા વિના જ ડિલીટ કરી દેતા હોય? નારાયણસામીએ બંને પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું કે જનતાના તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે.
ગુજરાતના અને બિહારના આ સાંસદોએ કેવા હેતુથી આ પ્રશ્ન કર્યો તે અંગે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. દેશની આમ જનતા અને સામાન્ય વ્યક્તિ પણ મેલ અને ઇ-મેલ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે, ત્યારે આ સાંસદો દ્વારા પૂછાયેલા આ સવાલથી તેમની જાણકારીનો અંદાજ તેમના મતદારો અને અન્ય લોકોને આવી ગયો છે.
તમારો મત
શું તમને લાગે છે કે, આ સવાલ હેતુપૂર્વક આ રીતે પુછાયો હતો? શું તમને જાણ હતી કે ઈમેલને સામાન્ય પત્ર જેટલું જ મહત્વ પ્રાપ્ત છે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.