હવે, ડાયાબિટીસ પીડિત પણ ભાત ખાઈ શકશે
Anil Mishra, Raipur
| Jul 17, 2012, 23:15PM IST

ડાયાબિટીસ પીડિત દર્દીઓ હવે ભાત પણ ખાઇ શકશે. ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના વિજ્ઞાનીઓને છત્તીસગઢનું 'સ્વર્ણા’ ડાંગર ડાયાબિટિક લોકો માટે યોગ્ય જણાયું છે. રિપોર્ટ મુજબ 'સ્વર્ણા’ પ્રકારના ડાંગરમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ (જીઆઇ) ૪૮ જણાયો છે. આ રિપોર્ટ તાજેતરમાં મનિલામાં કૃષિ વિજ્ઞાનીઓના સંમેલનમાં રજૂ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જીઆઇ ચોખાથી ડાયાબિટીસના સ્ટેજ-૨ નો વિકાસ થતો નથી અને દર્દીનું ડાયાબિટીસ કન્ટ્રોમાં રહે છે. વિભિન્ન પ્રકારના ચોખામાં જીઆઇ ૪૮થી ૯૨ સુધી હોય છે. અત્યાર સુધી ડોક્ટરો ઊંચા જીઆઇ લેવલને કારણે ડાયાબિટીસ પીડિતોને ચોખાથી દૂર રહેવાની સલાહ આપતા રહ્યા છે. ૪૮થી પપ સુધીના જીઆઇ લેવલને નિમ્ન સ્તરનો માનવામાં આવે છે. પ૬થી ૬૯ને મીડિયમ અને તેનાથી વધુને હાઇ લેવલ માનવામાં આવે છે.
અત્યારે કહી શકતો નથી : ડાયાબિટીસથી પીડિત દર્દીઓને લો જીઆઇ આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. આહાર પછી શરીરમાં જેટલી ઝડપથી ગ્લુકોઝ બને છે, તેને જીઆઇથી માપવામાં આવે છે. ચોખાનો જીઆઇ વધુ હોય છે, તેથી દર્દીઓને ઘઉં, જવાર વગેરે ખાવાની સલાહ આપવામાં આવે છે. અત્યારે મેં રિપોર્ટ વાંચ્યો નથી, તેથી તેના વિશે કશું કહી શકતો નથી.- ડો. જી.બી. ગુપ્તા, ડો. ભીમરાવ આંબેડકર હોસ્પિટલ, રાયપુર.
કોણે સંશોધન કર્યું
ઓસ્ટ્રેલિયાની સંસ્થા કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ મનિલાની સંયુક્ત ટીમે આ સંશોધન કર્યું છે. સંશોધન કરનાર ટીમનું નેતૃત્વ સીએસઆઇઆરઓના ટોની બર્ડ અને આઇઆરઆરઆઇના ડો. મેલિસાએ કર્યું હતું.






