....આખરે હારી ગઈ જિંદગી, ના દવા કામ આવી ન દુઆ
divyabhaskar.com
| Dec 29, 2012, 04:46AM IST
- માથામાં ગંભીર ઈજા, ફેફસાં અને પેટમાં પણ ઈન્ફેક્શન, જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાતી હતી
છેલ્લા બાર દિવસથી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમતી 23 વર્ષિય સામુહિક બળાત્કારની પીડિતાએ શનિવારે સવારે 02:15 વાગ્યે જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો હતો. દિલ્હીથી સિંગાપોરમાં સારવારાર્થે પીડિતાને ખસેડવામાં આવી હતી.
દિલ્હીમાં ચાલુ બસે દુષ્કર્મનો શિકાર બનેલી યુવતી જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. તેની હાલત અત્યંત નાજુક હતી. તેના માથામાં ગંભીર ઈજા હતી અને પેટ તેમજ ફેફસાંમાં ઈનફેકશન ફેલાઈ ગયું હતું. સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. કેલવિન લોહના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન આ મુશ્કેલીઓની જાણ થઈ હતી.
- માતા-પિતા અને ભાઈ હોસ્પિટલમાં હાજર
સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં આ માહિતી આપવામાં આવી હતી. જોકે, ભારતીય હાઈકમિશનના અધિકારી અને પીડિતના માતા-પિતા અને ભાઈ હોસ્પિટલમાં હાજર છે. મોત નિપજવાનું મુખ્ય કારણ મલ્ટી ઑર્ગન ફેલ્યુર માનવામાં આવી રહ્યું છે.
- સફદરજંગ હોસ્પિટલેથી શિફ્ટ કરાય
ડૉ. ત્રેહાન દ્વારા પીડિતાને સર્વોત્તમ મેડિકલ સુવિધા અપાવવાની ખાતરી સરકારને આપી હતી. આ આશ્વાસન પછી સરકારે પીડિતાને સિંગાપુર મોકલવાનો નિર્ણય લીધો હતો. બુધવારે સાંજે ગૃહ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા આ અંગે ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ એર એમ્બ્યુલન્સ બુક કરવામાં આવી હતી અને રાત્રે 10.30 કલાકે પીડિતાને સફદરજંગ હોસ્પિટલેથી શિફ્ટ કરી દેવાઈ હતી. પીડિતા સાથે ભારતીય તબીબોની એક ટીમ પણ ગઈ હતી.
'દામિની'ની ઈચ્છા અધૂરી રહી
પીડિતાએ જ્યારે એસડીએમ સમક્ષ નિવેદન નોંધાવ્યું ત્યારે તેણીએ કહ્યું હતું કે, તે આરોપીઓને સજા અપાવવા માંગે છે. તેમને કડક સજા મળવી જોઈએ. તબીબોનાં કહેવા પ્રમાણે, દામિની ખુબ જ જીજીવિષાથી ભરેલી હતી. તેણી જીવવા માંગતી હતી.





