કિનલે નહીં તો હિમાલય પીવડાવો
બાબા રામદેવ સાથે આંતરિક સમજુતીનો પત્ર જાહેર કર્યા બાદ સત્તાધારી પક્ષ ભલે બાબા સમર્થકોનાં નિશાન પર આવી ગયા હોય, પરંતુ સત્તાનાં વર્તુળોમાં લોકો બાબા સાથે બંધ રૂમનો કિસ્સા મસાલો ભભરાવીને એકબીજાને કહી રહ્યા છે. એક મંત્રીએ કહ્યું કે બાબા રામદેવને હોટેલ ક્લેરિજેજમાં સમજુતીની વાતચીત વખતે પાણી પીવાની ઈચ્છા થઈ તો તેમના માટે કિનલેની બોટલ મંગાવવામાં આવી. બાબાએ કહ્યું કે તેઓ એ પાણી નથી પીતા. મંત્રીઓએ કહ્યું કે કોઈ વાંધો નહિ બાબા માટે હિમાલયની બોટલ લાવો. પાણીની બીજી બોટલ આવી અને બાબાએ ત્યારે પાણી પીધું. કદાચ બાબાને ખબર નહોતી કે તેમની દરેક વાત પર હા-હૂં કરનારા મંત્રી બહાર નીકળતાં જ સંપૂર્ણપણે અલગ જોવા મળશે. હવે તો બાબા સાથે જોડાયેલો દરેક કિસ્સો જાહેર કરવાની તૈયારીમાં છે સરકારના મંત્રી મહાશય.
રાહુલના એક નેતાનું મૌન વ્રત
વૈદિક કથાઓમાં શક્તિ સંચય માટે ઋષિમુનિઓ અને તપસ્વીઓ દ્વારા મૌન ધારણ કરવાના કિસ્સાઓ તો અનેક વખત જોવા મળે છે. પરંતુ આધુનિક રાજનીતિ ખાસ કરીને વૈશ્વીકરણના દોરમાં કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીની યુવા બ્રિગેડના મોટાભાગના પદાધિકારીઓ સાદગી સાથે બ્લેકબેરી, પામ ટોપ વગેરેથી સજજ થઈ સમય સાથે કદમ મીલાવી રહ્યા છે તો બીજી તરફ રાહુલની ટીમમાં એક નેતા એવા પણ છે જેઓ સમયની સાથે તો ચાલે છે પરંતુ પ્રાચીન પરંપરાઓને પણ જાળવી રાખવામાં પાછા નથી પડતા. વાત છે રાહુલ સાથે સંબંધ રાષ્ટ્રીય સચિવ મીનાક્ષી નટરાજનની. તેઓ એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રભારી તરીકે પોતાના કામકાજને સાદગી સાથે અંજામ સુધી પહોંચાડે છે. તેઓ શનિવારે ફોન પર કોઈને જોવા નથી આપતા તેમજ કોઈની સાથે વાત પણ નથી કરતા. તેમની નિકટવર્તીઓ જણાવે છે કે મેડમ દર શનિવારે મૌન ધારણ કરી એકાગ્ર થઈને આગામી અઠવાડિયાની કાર્યયોજનાઓ તૈયાર કરે છે. કદાચ તેમની સફળતાનું રહસ્ય ‘મૌન’ હોઈ શકે છે.
ઉમાથી મુંડે સુધી ગડકરીની યાત્રા
ઉમા ભારતીને તમામ મોટા નેતાઓના વિરોધ છતાં ભાજપમાં પાછા લાવીને અધ્યક્ષ નીતિન ગડકરીએ પોતાનો સિક્કો જમાવી દીધો. બધાએ કહ્યું કે હવે તો ભાઈ ભાજપમાં એ જ થશે જે ગડકરી ઈચ્છશે. કેટલાક લોકોએ ધીમા અવાજે ગડકરીના બદલે સંઘ પણ કહી દીધું પરંતુ બધાએ એક વાત તો સ્વીકારી જ લીધી કે હવે સિક્કો જામી ગયો છે. અફસોસની વાત એ છે કે આ ધાક એક મહિનો પણ ન ચાલી શકી. મુંબઈમાં ગોપીનાથ મુંડે મોં ફુલાવીને બેઠા છે. કોંગ્રેસ તરફ પણ ઘણા પ્રયત્નો કરી લીધા. પાર્ટી અચાનક હરક્તમાં આવી. ગડકરીને પણ લાગ્યું કે આ તો આપણા જ ઘરમાં ગરબડનો મામલો છે. તાત્કાલિક તેમણે પાર્ટીના દિગ્ગજોની મીટિંગ બોલાવી. અંતમાં પોતે પણ નરમ પડ્યા અને સમજાવવા-મનાવવાનું શરૂ કર્યું. નસીબ સારું હતું કે મુંડેની કોંગ્રેસમાં વાત ન બની શકી. હવે લોકો કહી રહ્યા છે કે મુંડેનું ભવિષ્ય બચે કે નહીં પણ ગડકરીની પ્રતિષ્ઠા જરૂર બચી ગઈ.
ચ્યૂઈંગ ગમ તો નથી સાહેબ
નાણામંત્રી કાર્યાલયમાં જાસૂસી મામલાની તપાસ બાદ આઈબી દ્વારા ૧૬ જગ્યાએ મળેલા એડહેસિવને ચ્યૂઈંગ ગમ ગણાવ્યા બાદ હવે મંત્રાલયની સુરક્ષામાં તૈનાત સીઆઈએસએફના જવાનો આવતા-જતા લોકોની બેગમાં ચ્યૂઈંગ ગમ તો નથી ને એ બરાબર ચકાસી રહ્યા છે. જવાન પૂરેપૂરા અદબ સાથે મંત્રાલયમાં આવતા-જતા આગંતુકોને પૂછે છે કે સાહેબ તમારી પાસે ચ્યૂઈંગ ગમ તો નથી ને? હવે એમને કોણ જઈને કહે કે નાણામંત્રીના ટેબલ નીચેથી મળેલું સારી ગુણવત્તાનું એડહેસિવ હતું જેને ચ્યૂઈંગ ગમ ગણાવાય છે.