વન ચાઇના પોલિસી હેઠળ ચીન પોતાની મુખ્ય ભૂમિની આસપાસના ઘણા વિસ્તારો પર દાવો કરે છે. તેના કારણે ચીનનો મોંગોલિયા, ભુતાન, તિબેટ અને ભારત સાથે સરહદી વિવાદ ચાલુ છે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા અસ્પષ્ટ હોવાથી અને સરહદનું સ્પષ્ટ વિભાજન નહીં હોવાને કારણે બન્ને દેશો વચ્ચે કાશ્મીર, અરુણાચલપ્રદેશ અને સિક્કીમ અંગે વિવાદ ચાલુ છે.
કાશ્મીર - કબજો પણ, પાકિસ્તાનનું સમર્થન પણ
કાશ્મીર પાસે આવેલા વિસ્તારો- અકસાઇ ચીન અને સિયાચીન પાસેની ખીણ અંગે તનાવ છે. અકસાઇ ચીન પર ચીને ૧૯૬૨ની લડાઇ બાદ કબજો કર્યો હતો. આ કાશ્મીરના ૩૦ ટકા ક્ષેત્રફળની બરાબર છે. જ્યારે સિયાચીન પાસે આશરે ૩૦ હજાર સ્કવેર કિલોમીટરનો વિસ્તાર પણ ૧૯૬૨થી ચીનના કબજામાં છે. ચીન કાશ્મીરને વિવાદાસ્પદ વિસ્તાર માને છે, તેની પાછળનું કારણ ચીનની પાકિસ્તાન સાથે નિકટતા છે.
અરુણાચલ - તવાંગ પર પોતાનો દાવો કરે છે
ચીનનો એવો તર્ક છે કે, અરુણાચલપ્રદેશના તવાંગ વિસ્તારમાં બૌદ્ધ મઠ છે જે મહાયના બુદ્ધિજમનું પ્રતીક છે. ચીનનો દાવો છે કે, છઠ્ઠા દલાઇ લામાનો જનમ અહીં થયો હતો. જેનાથી જાણવા મળે છે કે, આ તવાંગ તિબેટનો ભાગ છે. ભારત અને ચીન વચ્ચે અરુણાચલપ્રદેશ અંગે ૧૯૮૧થી હજીસુધી ઘણી વાર મંત્રણા થઇ છે, પરંતુ હજીસુધી આ મામલે કોઇ ઉકેલ આવ્યો નથી.
સમગ્ર તિબેટ પચાવી પાડ્યું
ભારત સાથેની ચીનની સરહદે આવેલું તિબેટ ચીનના ભાગે આવે છે. ચીને ૧૯૫૧માં તિબેટ પર કબજો કર્યો હતો. તિબેટના લોકો લાંબા સમયથી આઝાદીની લડાઇ લડી રહ્યા છે. આઝાદીની લડાઇ લડી રહેલા તિબેટના ધર્મગુરુ દલાઇ લામાને ભારતે રાજકીય આશ્રય આપ્યો છે, અને તેઓ હિમાચલપ્રદેશમાં રહે છે. ભારતે તિબેટના આંદોલનને પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે. ચીનના વાંધાનું આજ કારણ છે, ચીન તિબેટની આઝાદીની માગણીને શરૂઆતથી જ ફગાવી દેતું આવ્યું છે. ચીને દલાઇ લામાની ભારતીય વડાપ્રધાન મનમોહનસિંઘ સાથેની મુલાકાત અને દલાઇ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો પણ વિરોધ કર્યો છે.
સિક્કિમ
ચીને સિક્કિમ પર પોતાના કબજાનો દાવો કર્યો છે, પણ કેટલાંક વર્ષો અગાઉ ચીને પોતાની ભુલને યોગ્ય કરતાં નકશો બદલ્યો હતો અને સિક્કિમને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો. વાસ્તવમાં ચીને સિક્કિમનું ભારતમાં વિલયનો જ વિરોધ કર્યો હતો. જોકે, ચીનની ઘુસણખોરીનો સિલસિલો ચાલુ જ છે.
તાકાત ચીનની અને તાકાત ભારતની
સુરક્ષા : ચીનનું વર્તમાન સુરક્ષા બજેટ ૭૮ બિલિયન ડોલર છે. જ્યારે ભારતનું ૨૯.૮૪ ડોલર છે. ચીન પાસે લગભગ ૧૧,૦૦૦ કિલોમીટર પર વાર કરી શકે તેવી મિસાઇલ છે. જ્યારે ભારત ૩,૦૦૦ કિ.મી.સુધી વાર કરી શકે તેવી મિસાઇલ જ વિકસાવી શક્યું છે.
અર્થવ્યવસ્થા : અર્થવ્યવસ્થાના ક્ષેત્રે પણ ભારત કરતાં ચીન ઘણું આગળ છે. એક્સચેન્જ રેટની દ્રષ્ટિએ ભારત દુનિયાની ૧૨મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જ્યારે ચીન આ બાબતે ત્રીજા સ્થાન પર છે. ભારતની ૧,૨૦૦ ટ્રિલિયન ડોલર જીડીપીની સરખામણીમાં ચીનની ટકાવારી લગભગ ૭.૮ ટ્રિલિયન ડોલર છે. પ્રતિ વ્યક્તિ આવકની બાબતે પણ ચીન(૬,૧૦૦ ડોલર), ભારત(૧૦૧૬ ડોલર)થી ખૂબ જ આગળ છે.
મૂળભૂત માળખા : ચીનમાં આરોગ્ય સેવાઓ પાછળ ૨૫૮ બિલિયન ડોલર ખર્ચ થઇ રહ્યોછે જ્યારે ભારત આ ક્ષેત્ર પાછળ માત્ર ૭૭.૩ બિલિયન ડોલર ખર્ચે છે. ચીનમાં વ્યક્તિ દીઠ ડોક્ટરની સંખ્યા ૧.૭ છે. જ્યારે ભારતમાં માત્ર ૦.૬ છે. શિક્ષણ ક્ષેત્રે પણ ખર્ચ કરવામાં ચીન ભારતથી આગળ છે. ચીનમાં શિક્ષણનું બજેટ૮.૧૧ બિલિયન છે. ભારતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૧૮૯ મિલિયન ડોલરનો ખર્ચ કરાયો છે.