ગૃહમંત્રી પી. ચિદમ્બરમે બુધવારે કહ્યું હતું કે, ઘણાં બોમ્બ વિસ્ફોટમાં ‘ભગવા ત્રાસવાદ’ની નવી ઘટના બહાર આવી છે જે ચિંતાજનક છે. એક પ્રકારે ભગવત્ ત્રાસવાદનો જાણે કે ઉદય થઈ રહ્યો છે, તેમણે કહ્યું હતું કે યુવાનોને કટ્ટરવાદ તરફ ધકેલવાના પ્રયાસને સાંખી નહીં લેવાય. આ ઉપરાંત દેશમાં છેલ્લા ૨૧ મહિના ત્રાસવાદથી મુક્ત રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
દેશભરનાં પોલીસદળોના વડાની એક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા ચિદમ્બરમે કહ્યું હતું કે ‘ભારતમાં યુવાનો અને યુવતીઓને કટ્ટરવાદ તરફ લઈ જવાના પ્રયાસો ચલાવી નહીં લેવાય. આ ઉપરાંત તાજેતરના સમયમાં ભગવા ત્રાસવાદની ઘટના પ્રકાશમાં આવી છે અને ઘણાં બોમ્બ વિસ્ફોટમાં તેમની સંડોવણી બહાર આવી છે.’
આ ઉપરાંત ચિદમ્બરમે, કાશ્મીર ખીણમાં હિંસાની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરીને આશા વ્યક્ત કરી હતી કે, થોડા દિવસોમાં હિંસા બંધ થશે અને મંત્રણાની પ્રક્રિયા શરૂ થશે. તેમણે કહ્યું કે ૨૦૦૫થી અત્યાર સુધીમાં, ૨૦૦૮ને બાદ કરતા, જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી રહી છે. દુભૉગ્યે ગત જુન મહિનાથી અનઅપેક્ષિત ઘટનાઓ બનતી રહી છે. તેમણે ઉમેર્યું કે ‘મને ડર છે કે જમ્મુ-કાશ્મીર પથ્થરમારો, લાઠીચાર્જ, ટીયરગેસ અને ગોળીબારના વિષચક્રમાં સપડાઈ ગયું છે જેને કારણે જાનહાનિ થઈ રહી છે અને તેને કારણે વધુ પથ્થરમારો થઈ રહ્યો છે. આ વિષચક્રને અટકાવી શકાયું નથી તેની ચિંતા છે.’
ગૃહમંત્રીએ કહ્યું કે ૨૦૦૯થી અત્યાર સુધીમાં દેશની અંદર અને બહારના બન્ને ખતરા સામે સુરક્ષાની સ્થિતિ પડકારજનક હતી. પરંતુ મીડિયાના કેટલાક વિચારો અને તેને પગલે લોકોના ઘડાઈ ગયેલા કેટલાક વિચારોથી વપિરીત દેશ આ પડકારો ઝીલવામાં સફળ રહ્યો છે. તેમણે કહ્યું કે, એક ઘટનાને બાદ કરતા છેલ્લા ૨૧ મહિના ત્રાસવાદી હુમલાથી મુક્ત રહ્યા છે અને પુણેમાં જર્મન બેકરી પરનો હુમલો ચોક્કસ એક કલંક છે. તેના શકમંદોને ટૂંક સમયમાં ઝડપી લેવાશે. નકસલોને પણ હિંસાનો માર્ગ છોડીને મંત્રણા માટે આગળ આવવા સરકાર સતત કહી રહી છે. પરંતુ તેમના તરફથી હજી સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જ પ્રતિસાદ મળ્યો નથી.