દહેજના કાયદામાંથી પતિના પરિવારજનો થશે બહાર
Pradeep Surin, New Delhi | Aug 30, 2012, 10:22AM IST

-પતિ-સાસુ-સસરા પર જ આરોપ લાગી શકશે
કોઈપણ મહિલા દ્વારા દહેજ અંગેનાં ત્રાસનાં આરોપમાં પતિનાં ભાઈ-બહેન, પરિવારજનો અને સંબંધીઓને મોટી રાહત મળશે. દહેજ સંબંધીત કાયદામાં સુધારાના મુસદા પ્રમાણે પીડિતા દહેજનાં નામે માત્ર પતિ, સાસુ અને સસરા પર જ આરોપ મુકી શકશે. સાસરી પક્ષનાં અન્ય સંબંધીઓ સામે દહેજના કાયદા હેઠળ આરોપ નહીં મુકી શકાય.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યપ્રધાન કૃષ્ણા તિર્થે 'ભાસ્કર' સાથે વાતચીતમાં જણાવ્યું હતું, ''સામાન્ય રીતે દહેજ અંગે ત્રાસનાં કેસમાં પીડિતા પતિ અને સાસુ-સસરા ઉપરાંત તમામ સંબંધીઓનાં નામો સામેલ કરી દે છે. આ ઝગડા સાથે તેમને કોઈ લેવા-દેવા પણ નથી હોતાં. અનેક વખત સમગ્ર પરિવારને માત્ર પરેશાન કરવાના હેતુસર તેમનું નામ ઉમેરી દેવામાં આવે છે.''તિર્થે ઉમેર્યું હતું કે, વિવિધ સમુદાયો અને પક્ષો સાથે ચર્ચા કરીને દહેજના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાયદાને પીડિતાના પતિ અને માતા-પિતા કે વાલીઓ સુધી મર્યાદિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારો થશે તો પતિનાં પરિવારજનો અને દૂરનાં સંબંધીઓને મોટી રાહત મળશે.
દોષિતને સાત વર્ષ સુધીની સજા
દહેજ અંગેના કાયદામાં દોષિત ઠરતા આરોપીને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. હાલ દહેજ માટે ત્રાસના કેસમાં મોટી સજાની જોગવાઈ નથી. વર્તમાન કાયદામાં સંશોધન કરનારાં નિષ્ણાતોનું કહેવું છે કે, દહેજના કેસમાં દોષિત ઠરે તો આરોપીને સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવી જોઈએ.
આપવામાં આવતી સૌગાદોની યાદી તૈયાર થશે
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે, રાષ્ટ્રીય મહિલા પંચની ભલામણને નવા સુધારામાં સામેલ કરવામાં આવી છે. પંચે મંત્રાલયને જણાવ્યું હતું કે,શાદીમાં આપ-લે થતી તમામ સૌગાદોની યાદી તૈયાર કરવામાં આવે અને તેને સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાસે પ્રમાણિત કરાવવામાં આવે, જેથી દહેજ અંગે ફરિયાદ થાય, ત્યારે વધુ સારી રીતે નિર્ણય લઈ શકાય.







