- દિલ્હીની ઘટના અંગે બેશરમ નિવેદન : ગુરુમંત્રનો જાપ કરી અપરાધીઓને ભાઈ બનાવી લેવાની જરૂર હતી
સંત આસારામ બાપુએ દિલ્હી સામૂહિક દુષ્કર્મની ઘટનાને દુ:ખદ ગણાવી છે. જોકે આ સાથે જ તેમણે કહ્યું છે કે પીડિત વિદ્યાર્થિની પણ દુષ્કર્મીઓ જેટલી જ દોષિત છે. તેમણે કહ્યું કે પીડિતાએ દુષ્કર્મીઓને ભાઈ બનાવી લીધા હોત અને કરગરીને બચી શકી હોત.
આસારામના આ નિવેદનની ચારે તરફથી ઉગ્ર ટીકા થઈ છે. ભાજપે આ નિવેદનને ‘ખેદજનક, સ્તબ્ધ કરી દેનારું અને પીડાજનક’ ગણાવ્યું છે. સતત વિવાદોમાં રહેતા આસારામે દિલ્હી દુષ્કર્મ કેસમાં આ છબરડો વાળતા લોકોમાં રોષ ફેલાયો છે. અમદાવાદમાં લોકોએ તેમની માફીની માગણી સાથે તેમના પુતળા બાળ્યા હતા.
- નવા કાયદાનો દુરુપયોગ થઈ શકે છે :
આ નિવેદન ઓછું હોય તેમ વધુ એક વિવાદાસ્પદ નિવેદનમાં સોમવારે આસારામે ફરીદાબાદમાં તેમના અનુયાયીઓને સંબોધન કરતા કહ્યું કે દિલ્હી-દુષ્કર્મની ઘટનાએ ‘પુરુષો-વિરોધી’ ઝુંબેશ ચલાવી છે અને તેમણે સાવધ કરતા કહ્યું છે કે મહિલાઓ પર અત્યાચાર સામેના કોઈ પણ નવા કાયદાનો સ્થાપિત હિતો દ્વારા દુરુપયોગ થઈ શકે છે. આમ આ મુદ્દે પણ આસારામે જુનો વિવાદ ખતમ કરવાની કોશિષને બદલે નવા વિવાદને જન્મ આપ્યો છે.
- પહેલા વિવાદ સર્જ્યો : તાળી માત્ર એક હાથથી નથી વાગતી
‘ઘટના માટે તે શરાબી પાંચ-છ લોકો જ દોષિત ન હતા. તાળી બંને હાથે વાગે છે. વિદ્યાર્થિનીએ કોઈનો હાથ પકડીને તેને ભાઈ બનાવી લીધો હોત અને અન્ય બે શખ્સને કહ્યું હોત કે ‘હું નિ:સહાય છું, તમે મારા ભાઈ છો, તમે મારા ધર્મના ભાઈ છો’ અને આ રીતે બચવાનો પ્રયાસ કરી શકી હોત. તેણે ભગવાનનું નામ લઈને આરોપીઓના પગ પકડી લીધા હોત તો દુષ્કર્મ થતું અટકી શક્યું હોત.’ - આસારામ, ભરતપુરમાં
- પછી વાહિયાત ઉપાય : અજબ ‘બાપુ’નો ગજબ ઉપાય
દિલ્હીમાં દુષ્કર્મ પીડિત પેરામેડિકલની વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું તેને પણ ઘણા દિવસ થઈ ગયા, પરંતુ લોકો નિવેદનો કરતા હજી થાક્યા નથી. સંત આસારામ બાપુએ ઘટના માટે વિદ્યાર્થિનીને પણ દુષ્કર્મીઓ જેટલી જ દોષિત ગણાવી છે. આ સાથે જ બચવા માટે ગજબનો ઉપાય પણ આપ્યો છે. તેમણે કહ્યું કે ‘જો યુવતીએ ગુરુમંત્રનો જાપ કરીને તે યુવાનોને ભાઈ બનાવી લીધા હોત તો આટલી યાતના સહન કરવી પડી ન હોત.’
- મીડિયા પર હુમલો : ચેનલો વિદેશી નાણાંના જોરે ચાલે છે
બાપુ આટલું કહીને જ ન અટક્યા. સોમવારે મીડિયાએ જ્યારે તેમને પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે ‘મેં સદ્ભાવ સાથે કહ્યું હતું, પરંતુ વિદેશી નાણાંના જોર પર ચાલતી ચેનલો કહી રહી છે કે બાપુએ આમ કહી દીધું-તેમ કહી દીધું.’
આસારામના નિવેદન ઉપર બબાલ થતાં તેમણે કહ્યું કે, 'હું તો સંવેદના સાથે બોલ્યો હતો પણ વિદેશી પૈસે ચાલતી ચેનલો જણાવે છે કે બાપૂએ આવું બોલી નાંખ્યુ, બાપૂ તેવું બોલી નાંખ્યુ.' આસારામના આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં ફિલ્મ અભિનેતા રણબીર કપૂરે જણાવ્યું કે, આવું નિવેદન આપ્યું યોગ્ય નથી, આસારામે તેમના મગજનો ઈલાજ કરાવવો જોઈએ.
વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...