આતંકવાદીઓ સાથે લડતા પિતા શહીદ થયા તો બલવિંદર પોલીસમાં જોડાયા પરંતુ ગત મે મહિનામાં લૂંટારા સાથે લડતા તેમને પણ શહાદત મળી. હેડકોન્સ્ટેબલ ગુરપ્રીત કૌરના પિતા પણ આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા. બન્ને પરિવારોને મદદ મળી પરંતુ પોતાનાને ગુમાવવાનું દુ:ખ ભુલાવી શકાતું નથી.
અમૃતસરના પોશ વિસ્તાર લારેન્સ રોડ પર ગત ૧૯મી મેના રોજ પોલીસ અને લૂટારા વચ્ચે સર્જાયેલી અથડામણમાં શહીદ થયેલા પંજાબ પોલીસના કોન્સ્ટેબલ બલવિન્દર સિંહનાં સંતાનો આજે પણ તેમની રાહ જુએ છે. બાળકોની માતા કંવલજીત કૌરને પતિની શહાદત પર ગર્વ છે. વીસ વર્ષ પહેલાં બલવિન્દર સિંહના પિતા ગુરમેજ સિંહ પણ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. ત્યારબાદ બલવિન્દરને રહેમરાહે નોકરી મળી હતી.
રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે પરિવારને રૂપિયા ૧૫ લાખની મદદ આપી છે. પતિના નિવૃત્ત થવાના સમય સુધી પૂરેપૂરો પગાર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે પરંતુ કંવલજીત કૌર કહે છે કે, પતિ વગર તેમના માટે આ રૂપિયા કોઇ કામના નથી. બન્ને પુત્રો લવદીપ અને રાજદીપ પોતાના પિતાની તસવીર જોઇને રડી પડે છે પરંતુ માતા જ્યારે પિતાની શહાદતની વાર્તા સંભળાવે છે તો તેમને પણ ગર્વ થાય છે.
બન્ને પુત્રો લશ્કર અથવા પોલીસમાં ભરતી થઇને દેશની સેવા કરવા માગે છે. જલ્લેવાલ ગામમાં રહેતી કંવલજીત કૌર જણાવે છે કે, પતિની શહાદત બાદ તેમનું જીવન સંઘર્ષમય બની ગયું છે. જ્યારે તરનતારનની ગુરપ્રીત કૌરના મનમાં પિતાને ગુમાવવાનું દુ:ખ છે. તેમણે પોતાની સામે પિતા સબ ઇન્સપેક્ટર કશ્મીરસિંહને ગોળીઓથી વિંધાતા જોયા હતા.
૧૯૮૧માં જ્યારે તેઓ દુબુર્જી ચોકીએ તૈનાત હતા તો સુલ્તાનવિંડ નાકે આતંકવાદીઓ સાથે સર્જાયેલી અથડામણમાં શહીદ થયા હતા. તેમનો કોઇ પુત્ર નથી. તેથી ગુરપ્રીતને પોલીસ વિભાગમાં નોકરી આપવામાં આવી છે. ગુરપ્રીતને બે પુત્રો છે અને તેઓ પણ પોલીસમાં ભરતી થવા માગે છે.
હેડકોન્સ્ટેબલ ગુરપ્રીતમાં પણ પિતા જેવો જુસ્સો છે. તેઓ કહે છે કે, ‘જો જરૂર પડશે તો હું દેશ માટે જીવ આપવાથી પીછેહઠ કરીશ નહીં. તેમનું કહેવું છે કે, તેમને વિભાગ તરફથી શક્ય બધી જ મદદ મળી. વાર્ષિક શહીદ દિવસે અધિકારી તેમની ખાનગી સમસ્યાઓ સાંભળે છે પરંતુ પિતા ગુમાવવાનું દુ:ખ થાય છે.