ટીમ અણ્ણાના સભ્યો પ્રશાંત ભૂષણ અને અરવિંદ કેજરીવાલ પર હુમલાની ઘટનાઓ હજૂ તાજી જ છે. ત્યારે બહાર આવ્યું છે કે ખુદ સમાજ સેવક અણ્ણા હજારે પર હુમલો કરવાનું અને તેમનું મોઢું કાળું કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ટીમ અણ્ણાના પ્રમુખ સભ્ય મેધા પાટકર પર પણ હુમલો કરવાની તૈયારી કરવામાં આવી છે. આ ખુલાસો શુક્રવારે રાત્રે ઈન્ડિયા ટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં થયો હતો.
- અણ્ણા હજારેનું મોઢું કાળું કરવાની યોજના
- બોમ્બ વિસ્ફોટનું પણ કાવત્રું
- થઈ ચૂક્યાં છે કેજરીવાલ-ભૂષણ પર હુમલા
- મેધા પાટકર પણ છે નિશાન પર
પ્રશાંત ભૂષણ પર હુમલો કરનારા તેજિંદર સિંઘ બગ્ગા અને ઈંદર કુમાર તથા અરવિંદ કેજરીવાલ પર હુમલો કરનારા જીતેન્દ્ર પાઠકના સ્ટિંગ ઓપરેશનમાં ટીમ અણ્ણા સામેના કાવત્રાઓનો પર્દાફાશ થયો છે. પ્રશાંત ભૂષણની ઉપર તેમની જ ચેમ્બરમાં હુમલો કરનારા ઈન્દર કુમારે કેમેરા પર સ્વીકાર્યું છે કે, તે અણ્ણા હજારેના મોઢા પર મેશ લગાડવા માંગે છે.
ઈન્દ્રના મિત્ર અરૂણ ઉપાધ્યાયે શિવસેનાના નેતા બાળ ઠાકરે અને સંજય રાઉત સાથે પણ નજીકના સંબંધોની વાત સ્વીકારી છે. અરૂણના ક હેવા પ્રમાણે, બાલાસાહેબ ઠાકરેએ તેમને મુંબઈ બોલાવ્યા છે. બીજી બાજુ તેજિન્દર સિંઘ બગ્ગાએ પણ સામાજિક કાર્યકર મેધા પાટકર અને સંદીપ પાંડે પર પણ હુમલો કરવાની વાત સ્વીકારી છે. પ્રશાંત પર હુમલો કર્યા બાદ વીએચપીના અનેક નેતાઓએ ફોન કર્યા હોવાનું પણ તેજિન્દરે ઉમેર્યું હતું.
લખનઉમાં અરવિંદ કેજરીવાલ પર હુમલો કરનારા જીતેન્દ્ર પાઠકે કહ્યું હતું કે, અણ્ણા હજારે જો યુપીમાં આવ્યા તો તેમની ઉપર બોમ્બથી હુમલો કરવામાં આવશે. જીતેન્દ્રએ દાવો કર્યો હતો કે, તે બોમ્બ બનાવી શકે છે અને અણ્ણા ઉપર બોમ્બથી હુમલો કરશે, ચાહે કેટલાક નિર્દોષ લોકોના જીવ ભલે જાય.